Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ડેડબોડીની સ્થિતિ જોઈને ડરેલા તલાટી હાજર ન થયા

સિવિલમાં ક્લેરિકલ કામગીરી માટે ફરજ સોંપાઈ : દર્દીના સગાને ડેડ બોડી સોંપવા માટેની કામગીરી કરનારા ત્રણ તલાટી મૃતદેહોને જોઈને ગભરાઈ પલાયન થઈ ગયા

અમદાવાદ , તા.૨૪ : કોરોનાનું સંક્રમણ વધતાં સરકારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ક્લેરિકલ સહિતની કામગીરી માટે તલાટી સહિતના કર્મચારીઓને ફરજ સોંપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે ગુરુવારે કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા. જો કે, તે પૈકી ડેડબોડીના નિકાલ માટેની વ્યવસ્થા માટે ત્રણ તલાટીઓની નિમણૂક કરાઈ હતી. એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ રીતસરના ગભરાઈ ગયા હતા અને હૃદયદ્વારક દ્રશ્યો જોઈને એટલા બધા હેબતાઈ ગયા કે, બીજા દિવસે ફરજ પર હાજર જ થયા ન હતા.

આ અંગે સત્તાવાળાઓએ તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ કે, દર્દીના સગાને ડેડ બોડી સોંપવા માટેની કામગીરી કરનારા ત્રણ તલાટી મૃતદેહોને જોઈને ગભરાઈ ગયા હતા અને ત્રણ તલાટી પલાયન થઈ ગયા. આ ઉપરાંત સબ સલામતના દાવા વચ્ચે આજે પણ સિવિલમાં ૧૦૮ની લાઈન યથાવત જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, કોરોના સંક્રમણને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભયાવહ સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ ઓક્સિજનની પણ ભારે અછત સર્જાઈ છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં: ૧૧૬૬ દર્દી, આઈ.કે.ડી.આર.સી.માં: ૧૬૯ દર્દી, મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં: ૪૪૫ દર્દી, જી.સી.આર.આઈ. હોસ્પિટલમાં: ૧૯૬ દર્દી, યુ.એન.મહેતા. હોસ્પિટલમાં: ૩૯૫ દર્દી.

સિવિલ હોસ્પિટલના ગેટની બહાર એમ્બ્યુલન્સ વાનની કતારો ઉપરાંત હવે તો ખાનગી વાહનોની લાઈન પણ જોવા મળી રહી છે. દર્દીઓને લાવવા માટે મ્યુનિ. સરકારી કે ખાનગી એમ્બ્યુલન્સ વાહનો ઉપલબ્ધ નથી ત્યારે લોકો જે વાહન હાથવગા હોય તે થતી તેમના દર્દી અને સ્વજનોને હોસ્પિટલ સુધી લાવી રહ્યા છે. ગંભીર સ્થિતિવાળા દર્દીઓને હવે હોસ્પિટલના દ્વાર પર જ ઓક્સિજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

(9:13 pm IST)