Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભાભરમાં સોનાના વેપારીની 18 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલાયો :બે આઓપી ઝડપાયા :જેલહવાલે

સોના ચાંદીના દાગીના સહીત 20 લાખથી વધુનો મુદામાલ જપ્ત

બનાસકાંઠાના ભાભર ખાતે મંગળવારે મોડી સાંજે લૂંટની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. ભાભર ખાતે સોના ચાંદીનો વેપાર કરતા વેપારી પાસેથી શમી સાંજે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ થતાં ભાભરમાં ચકચાર મચી ગઇ હતી. જોકે પોલીસે આ લૂંટ કેસનો ભેદ ઉકેલી દીધા બાદ પોલીસે આ લૂંટકેસના આરોપીઓને આજે મીડિયા સમક્ષ રજુ કરી આ કેસની સનસનીખેજ વિગતો રજૂ કરી હતી.

    આ ચકચારી ઘટનાની વિગતો મુજબ ભાભરની સોની બજારમાં સોના-ચાંદીની દુકાન ધરાવતા સગાળચંદ ધારશીભાઇ ઠક્કર ગત રવિવારે સાંજે નિત્ય નિયમ મુજબ દુકાન વધાવી ઘર તરફ જઈ રહ્યા હતા એ વખતે ભાભરના આઝાદ ચોક પાસે ડબલ સવારીમાં આવેલા બાઇક સવારો સગાળચંદ ઠક્કર પાસથી સોના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત આશરે ૧૮ લાખનો મુદ્દામાલ ભરેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ ઘટનાથી ચોંકી ઉઠેલા પીડિત વેપારીએ બૂમાબૂમ કરી મુકી હતી પરંતુ આઝાદ ચોકમાં સાંજના સમયે લોકોની અવરજવર ઓછી હોઇ લોકો ભેગા થાય તે પૂર્વે જ લુટારૂંઓ બાઇક લઇ નાસી જવામાં સફળ રહ્યા હતા

   આ મામલે ભાભર પોલીસને જાણ કરાઇ હતી. દરમ્યાન, ચૂંટણીના માહોલમાં ભાભર ખાતે સમી સાંજે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલની સૂચના અને દિયોદરના ડીવાયએસપી પી.એચ.ચૌધરી તેમજ સર્કલ પીઆઇ મિશ્રાના માર્ગદર્શન હેઠળ ભાભરના પીએસઆઇ એ.એસ.રબારીએ તેમની ટીમ સાથે તુરંત નાકાબંધી કરાવી આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરતા આ લૂંટકેસમાં સંડોવાયેલા ભાભરના નવા માઢ વિસ્તારનો વાસુભા મેરુજી રાઠોડ અને લુદરિયાવાસ વિસ્તારનો મુકેશ મગનજી ઠાકોર નામના બે શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા

  .દરમ્યાન આ શખ્સોની તલાશી લેવાતા તેમની પાસેથી લૂંટમાં ગયેલ ૧૮,૨૮,૪૫૦ રૂપિયાની કિંમતના સોનાના તેમજ ૩૨,૭૨૩ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીના ઉપરાંત ૭૦,૪૦૦ રૂપિયાની રોકડ રકમ તેમજ ૮૦ હજાર રૂપિયાની કિંમતનું પલ્સર બાઇક મળી કુલ ૨૦,૧૧,૫૭૩ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને આ શખ્સોએ લૂંટના ગુન્હાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પણ કરી લેતા આ બન્ને શખ્સોને જેલના હવાલે કરી દેવાયા હતા.

  ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી દઈ મોટી સફળતા મેળવી હતી.જોકે બાદમાં પોલીસ મતદાન પ્રક્રિયાના બંદોબસ્તમાં વ્યસ્ત બની ગયા બાદ આજે બુધવારે આ બન્ને આરોપીઓને પાલનપુર લાવી જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજુ કરાયા હતા.આ આરોપીઓને આજે પાલનપુર લવાયા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં દિયોદરના ડીવાયએસપી પી.એચ.ચૌધરીએ આ લૂંટ કેસની સિલસીલાબંધ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે ઘટના સ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી ગણતરીના કલાકોમાં જ લુંટની આ ઘટનાનો ભેદ ઉકેલી દઈ મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળ્યા બાદ આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયેલા છે કે કેમ તે જાણવા ઊંડી તપાસ હાથ ધરાઈ છે.

(8:54 pm IST)