Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ગુજરાતના ૪.૫૧ કરોડ મતદારોમાંથી ૬૩.૭૩ ટકાએ કર્યુ મતદાન : ટકાવારી ૨૦૧૪ કરતા વધી : ઉત્સાહ દેખાયો

શહેરી સામે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન ૨૩મી મેએ પરિણામ

નવી દિલ્હી તા. ૨૪ : મંગળવારે દેશમાં યોજાયેલ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં કુલ ૧૧૭ બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જે પૈકી મહત્વનું વડાપ્રધાન મોદીના ગૃહરાજય ગુજરાતની ૨૬ બેઠકો પર પણ મતદાન યોજાયું હતું. ગઈકાલે યોજાયેલ મતદાનના આંકડા બહુ સંતોષકારક નથી પરંતુ ૨૦૧૪દ્ગક અપેક્ષાએ તો ચોક્કસ વધારે છે. રાજયના કુલ ૪.૫૧ કરોડ મતદારો પૈકી ૬૩.૭૩% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે આ આંકડો હાલ પ્રાથમીક છે અને બુધવારે ચિત્ર વધુ સ્પષ્ટ થયા બાદ અંતિમ આંકડા બહાર આવી શકે છે.

મહત્વનું છે કે આ વખતે શહેરી સામે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ જોવા મળ્યું હતું. તેમજ પૂર્વ ગુજરાતથી લઈને દ. ગુજરાત સુધીના લાંબા આદિવાસી પટ્ટામાં પણ મતદાનનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું હતું. રાજયના સૌથી પછાત જીલ્લામાં ગણતરી થતા ડાંગમાં રેકોર્ડબ્રેક સૌથી વધુ આશરે ૮૧% મતદાન નોંધાયું હતું. જયારે વલસાડની શિડ્યુલ કાસ્ટ અનામત બેઠક પર સૌથી વધુ ૭૪.૦૯% મતદાન યોજયું હતું. જયારે સૌથી ઓછું અમરેલીમાં ૫૫.૭૩ ટકા મતદાન થયું હતું. ગરમીથી બચવા માટે મોટાભાગે વહેલી સવારથી જ ગુજરાતીઓ મતદાન મથક બહાર લાઈન લગાવી ઉભી ગયા હતા.

રાજયના અન્ય બેઠકોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં ૬૦.૭૭ ટકા અને અમદાવાદ પશ્વિમમાં ૫૯.૭૭ ટકા મતદાન થયું છે. અમિત શાહ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ગાંધીનગર બેઠક પર ૬૪.૯૫ ટકા મતદાન થયું છે. આ ઉપરાંત કચ્છમાં ૫૭.૫૩ ટકા, બનાસકાંઠામાં ૬૪.૭૧ ટકા, પાટણમાં ૬૧.૨૩ ટકા, મહેસાણામાં ૬૨.૭૪ ટકા, સાબરકાંઠામાં ૬૭.૦૩ ટકા, સુરેન્દ્રનગરમાં ૫૬.૭૮ ટકા, રાજકોટમાં ૬૩.૧૨ ટકા, પોરબંદરમાં ૫૬.૭૭ ટકા, જામનગરમાં ૫૮.૪૯ ટકા, જૂનાગઢમાં ૬૦.૭૦ ટકા, ભાવનગરમાં ૫૮.૪૧ ટકા, આણંદમાં ૬૬.૨૩ ટકા, ખેડામાં ૬૦.૨૩ ટકા, પંચમહાલમાં ૬૧.૬૮ ટકા, દાહોદમાં ૬૪.૪૧ ટકા, વડોદરામાં ૬૬.૭૫ ટકા, છોટા ઉદેપુરમાં ૭૨.૯૦ ટકા, ભરૂચમાં ૭૧.૧૮ ટકા, બારડોલીમાં ૭૧.૨૬ ટકા, સુરતમાં ૬૩.૧૪ ટકા, નવસારીમાં ૬૫.૨૭ ટકા મતદાન થયું હતું.

અમદાવાદ પૂર્વ, પશ્યિમ તેમજ ગાંધીનગર બેઠકમાં પણ વોટિંગમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. દક્ષિણ ગુજરાતના આદીવાસી વિસ્તારોમાં જોરદાર વોટિંગ જોવા મળ્યું છે. નર્મદા, નવસારી, વલસાડ, બારડોલી, છોટા ઉદેપુર, દાહોદમાં બમ્પર વોટિંગ જોવા મળ્યું છે. આ વખતે પણ મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જવાના, ઈવીએમ કે વીવીપેટ મશીનમાં ખરાબી હોવાના કેટલાક કિસ્સા સામે આવ્યા હતા. જોકે, તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી કરીને મતદાન ફરી શરુ કરાયું હતું. ભાજપના નેતા અડવાણી શાહપુરમાં વોટિંગ કરવા ગયા તે વખતે પણ ઈવીએમ ખોટકાયું હતું. ગરમીમાં મતદારો હેરાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

પીએમ મોદી, અમિત શાહ, એલકે અડવાણી તેમજ આનંદીબેન પટેલ જેવા દિગ્ગજો પણ ગુજરાતમાં પોતાનો વોટ આપવા આવી પહોંચ્યા હતા. સીએમ રુપાણીએ રાજકોટ, ડે. સીએમ નીતિન પટેલે કડીથી જયારે કેશુબાપાએ વિસાવદરથી વોટિંગ કર્યું હતું. પીએમે રાણીપમાં વોટ કર્યા બાદ ભાજપ તરફી નારેબાજી થતા કોંગ્રેસે તેમની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ પણ કરી હતી. જોકે, આ ફરિયાદને ચૂંટણી પંચે રિજેકટ કરી હતી.

સીએમ વિજય રુપાણી રાજકોટ વોટ કરવા પહોંચ્યા ત્યારે આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા સાથે તેમનો ભેટો થઈ ગયો હતો. કગથરાએ આ સમયે રુપાણીને પગે લાગતા આસપાસ હાજર લોકોમાં પણ આશ્યર્ય જોવા મળ્યું હતું.

અત્યાર સુધી એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે વધારે મતદાન ભાજપને ફળ્યું છે, જોકે આ વખતે સૌરાષ્ટ્ર, ઉત્ત્।ર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં જયાં ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ મનાઈ રહી છે ત્યાં જ આ વખતે વોટિંગ ઓછું થતાં કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તેનો કયાસ કાઢવામાં રાજકીય પંડિતો લાગી ગયા છે.

(11:49 am IST)