Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જગદીશ પટેલને રીમાન્ડ પર લેવા કાર્યવાહીનો આદેશઃ સન્નાટો

'હું માસ્ટર માઈન્ડ નહિં મ્હોરૂ, ખરા માસ્ટર માઈન્ડ તો એસપી જગદીશ પટેલ': સસ્પેન્ડેડ પીઆઈ અનંત પટેલે વટાણા વેરતા એસપી પર પોલીસનો પંજો પડેલઃ અમરેલી એસપીની મધરાત્રે કંટ્રોલરૂમમાં રાત્રે ૧૨.૧૫ વાગ્યે નોંધ કરી થયેલી અટકાયતથી લઈ ગઈકાલે સાંજે ૬.૧૫ કલાકે થયેલી વિધિસર ધરપકડ સુધીની અથથી ઈતિઃ સીબીઆઈ અધિકારી સામેની તપાસ સીઆઈડીમાં નહિ, સીબીઆઈમાં જ ચાલી રહ્યાની સીઆઈડી વડા આશિષ ભાટીયા દ્વારા સ્પષ્ટતા

રાજકોટ, તા. ૨૪ :. અનેક પ્રકારની જે તપાસ અંગેની સાચી ખોટી ચર્ચાઓનો એક ધડાકે સીઆઈડી વડા આશિષ ભાટીયાના આદેશથી અંત આવી ગયો તેવી કરોડોના બીટકોઈન પડાવી લેવા માટે અપહરણનું કાવત્રુ રચવાનો જેમના પર આરોપ છે તેવા અમરેલી એસપી જગદીશ પટેલની અટકાયતથી ધરપકડ કેવા સંજોગોમાં થઈ ? તે બાબત ખૂબ રસપ્રદ છે. સસ્પેન્ડેડ પીઆઈ અનંત પટેલે વટાણા વેરી નાખતા જ સીઆઈડીનું કામ પોતાની એમ.ઓ. મુજબ સરળ થઈ ગયુ હતું.

૨૦૦૮ બેચના અધિકારી કે જેઓ ૨૦૧૬માં આઈપીએસ તરીકે નોમીનેટ થયેલ જગદીશ પટેલની સંડોવણી હોવાની દ્રઢ શંકા સીઆઈડીને હતી જ પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ મજબુત પુરાવા ન હોવાથી સીઆઈડી વડા આશિષ ભાટીયાએ તપાસ ચલાવતી સીટને પ્રથમ સોલીડ પુરાવા એકઠા કરવા અને તે માટે શું કરવુ જોઈએ ? તેનો આડકતરો ઈશારો કરતા જ સીઆઈડી એ દિશામાં કામે લાગી ગયેલ. સીઆઈડીએ અમરેલીના તત્કાલીન એલસીબી પીઆઈ હાલ સસ્પેન્ડ એવા અનંત પટેલ પર સિકંજો કસતા જ અનંત પટેલે કબુલ્યુ કે, 'હું માસ્ટર માઈન્ડ નહિં, માત્ર મ્હોરૂ... સાચા માસ્ટર માઈન્ડ તો એસપી જ છે'.

આટલી માહીતી તો સીઆઈડી માટે પુરતી હતી. અનંત પટેલે તો ત્યાં સુધી જણાવ્યુ કે, અમે જે કંઈ કર્યુ તે અમારા ઉપરીના આદેશથી જ કરેલું. અમરેલીથી સરકારી વાહનો અને પોલીસ સ્ટાફ ગાંધીનગર સુધી ગયા અને જે કંઈ કાવત્રુ રચાયુ તે પણ અમારા બોસના કહેવાથી જ કરેલ. સીઆઈડી પાસે કેટલીક કોલ ડીટેઈલ્સ હતી જ. અનંત પટેલે તો ત્યાં સુધી કહ્યાનું કહેવાય છે કે હું ફરારી હતો તે સમયે પણ મારા બોસ મારા સંપર્કમાં હતા.

સીઆઈડીએ તુર્ત જ જગદીશ પટેલને આ અંતર્ગત સવાલો કરવા શરૂ કર્યા પણ જગદીશ પટેલ જાણે કંઈ ન બન્યુ હોય તેમ પુરાવા છતાં નનૈયો કરતા જ રહ્યાં. આખરે તપાસ ટીમે સમગ્ર બાબતની સીઆઈડી વડા આશિષ ભાટીયાને જાણ કરતા જ ગત મોડી રાત્રે તેઓએ અમરેલી એસપી જગદીશ પટેલની અદાલતમાંથી રિમાન્ડ મેળવવા આદેશ કર્યો. અત્રે યાદ એ યાદ રહે કે ફરીયાદી ખુદ જગદીશ પટેલ પ્રથમથી જ આ કાવત્રાના મુખ્ય ખલનાયક હોવાનું રટણ કરે છે.(૨-૮)

(3:42 pm IST)