Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

માર્ગ દુર્ઘટનામાં મોત અને ઇજાના કેસમાં વધારો થયો

ટ્રાફિક સપ્તાહની શાનદારરીતે ઉજવણી કરાઈ : સ્થિતિ નિવારવા ટ્રાફિકના નિયમોનું ચુસ્તતાપૂર્વક પાલન જરૃરી : લોકજાગૃતિ સિવાય આ દૂષણ નાથી શકાશે નહી

અમદાવાદ,તા. ૨૩ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સહયોગથી અતુલ મોટર્સ પ્રા.લિ, કેસ્ટ્રોલ અને એકટીવ ટ્રાફિક કન્સેપ્ટીવ કમીટીના સંયુકત ઉપક્રમે શહેરના પૂર્વ વિસ્તારમાં રોડ સેફ્ટી અવેરનેસ અને ટ્રાફિક એજયુકેશન સાથે અનોખી રીતે લોજાગૃતિ કેળવવા માટે ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. મેયર ગૌતમ શાહ દ્વારા અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઇ પટેલ, અતુલ મોટર્સ પ્રા.લિના સીઇઓ અનિલભાઇ ચુંચ, ટ્રાફિક વિભાગ આઇ ડિવીઝનના પીઆઇ એમ.એમ.રાજયગુરૃ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફલેગઓફ કરાવી ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવાયો હતો. જેમાં બે મોટા રાક્ષસોની વેશભૂષામાં સજ્જ ટ્રાફિકના દૂષણને નાથવાનો અનોખો સંદેશો રજૂ કરાયો હતો. ટ્રાફિક સપ્તાહની આ અનોખી ઉજવણી અને રાક્ષસની વેશભૂષામાં સજ્જ કલાકારોને જોવા સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. ટ્રાફિક સપ્તાહની ઉજવણીના કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં મેયર ગૌતમભાઇ શાહે જણાવ્યું હતું કે, કોઇપણ શહેરના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં ટ્રાફિક વ્યવસ્થાનો બહુ મોટો ફાળો હોય છે. શહેરમાં નવા ફલાયઓવર અને રસ્તાઓ પહોળા કરવાની કામગીરી કરવા છતાં વધતી જતી વસ્તી અને વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે પરંતુ તેમાં પણ લોકોની ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં અજાગૃતિ અને બેદકારીને કારણે આ સમસ્યા વધુ ઘેરી અને ચિંતાજનક બની રહી છે. જેના કારણે માર્ગ અકસ્માતોમાં નિર્દોષ લોકોના મૃત્યુ અને ઇજાના કિસ્સા નોંધાતા હોય છે. જો લોકો સ્વયં જાતે જ જાગૃત થઇ ટ્રાફિક નિયમોનું પાલન કરતાં થઇ જાય તો, આ સમસ્યાનું ૫૦ ટકા નિવારણ ઘણું સરળ બની જશે. આ પ્રસંગે અમરાઇવાડીના ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે પણ અતુલ મોટર્સ પ્રા.લિ.ના ટ્રાફિક પોલીસ સાથે મળી આ પ્રકારના રોડ સેફ્ટી અવેરનેસ અને ટ્રાફિક એજયુકેશન કાર્યક્રમો યોજી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવાના લોકજાગૃતિ કરવાના કાર્યની ભારે સરાહના કરી હતી. તેમણે અતુલ મોટર્સ પ્રા.લિ સીઇઓ અનિલભાઇ ચુંચને આ પ્રકારની સમાજસેવા માટે ખાસ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે શહેરના નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ટ્રાફિક પોલીસને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે અતુલ મોટર્સ પ્રા.લિ.ના સીઇઓ અનિલભાઇ ચુંચે જણાવ્યું હતું કે, શહેરમાં વકરતી જતી અને માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શહેરીજનોમાં લોકજાગૃતિ કેળવાય તે માટે ખાસ કરીને પૂર્વના નારોલથી નરોડા નેશનલ હાઇવે નં-૮, મણિનગર, કાંકરિયા, અમરાઇવાડી, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ઇસનપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં રોડ સેફ્ટી અવેરનેસ અને ટ્રાફિક એજયુકેશન માટે અમારા વોલેન્ટીયર્સ લોકોને રૃબરૃ મળી, ટ્રાફિક રૃલ્સ અને તેનું મહત્વ સમજાવી જાગૃતિ ફેલાવશે. આ વિસ્તારોના મુખ્ય ચાર રસ્તાઓ પર સેફ્ટી પોઇન્ટ અને ટ્રાફિક રૃલ્સ અંગેના પેમ્ફલેટ અને પત્રિકાઓનું પણ વિતરણ કરાશે. ટ્રાફિક સપ્તાહની ઉજવણી નિમિતે એટીસીસીના પી.જે.કાનાબાર, મીડિયા કો-ઓર્ડિનેટર અશ્વિન લીંબાચીયા, આઇ ડિવીઝનના ટ્રાફિક પીઆઇ એમ.એમ.રાજયગુરૃ, સ્થાનિક કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજની ઉજવણી દરમ્યાન સ્થાનિક લોકો પણ કાર્યક્રમ જોવા ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા.

 

(9:15 pm IST)