Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત સહિતના રાજ્યોમાં દૂધ અને દૂધની કોઈપણ પ્રોડ્કટની તંગી નહિ સર્જાઈ : અમુલની ચોખ્ખી વાત

ગભરાટમાં દૂધ કે દૂધની પ્રોડકટસની ખરીદી કરવાની કોઈ જરૂર નથી.: સરકારે દૂધની હેરફેર ઉપર કોઈ પ્રતિબંધ મુક્યો નથી

અમદાવાદ : કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર આર.એસ. સોઢીએ જણાવ્યું કે  કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં અમૂલ દૂધની ઉપલબ્ધિને કોઈ અસર થઈ નથી. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, યુપી હોય કે પંજાબ, અમૂલ દૂધની ઉપલબ્ધિ યથાવત છે.ગયા અઠવાડીયે અમારા દૂધની ઉપલબ્ધિમાં 10થી 12 ટકાનો વધારો થયો છે. ત્યારે આર એસ સોઢી દ્વારા  દેશભરના  ગ્રાહકોને ખાત્રી આપવામાં આવી કે  અમૂલ દૂધનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઉપલબ્ધ રહેશે. તેમણે ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે ગભરાટમાં દૂધ કે દૂધની પ્રોડકટસની ખરીદી કરવાની કોઈ જરૂર નથી.

સોઢીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આવશ્યક ચીજ હોવાને કારણે  કેન્દ્ર અથવા રાજ્ય સરકારે  દૂધની હેરફેર ઉપર કોઈ પ્રતિબંધ મુક્યો નથી.

તેમણે વધુ એક વાર ગ્રાહકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે" અમૂલ દૂધ તથા દહી, ઘી વગેરેનુ ઉત્પાદન યથાવત છે તેની અમે ખાત્રી આપીએ છીએ. ગ્રાહકોએ ગભરાટમાં ખરીદી કરવાની કોઈ આવશ્યકતા નથી."

 વડાપ્રધાન મોદીએ સવારે ટ્વિટ કરીને લોકોને તેમજ રાજ્ય સરકારોને લૉકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. જે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયાને સંબોધતા લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે. સાથે જ મુખ્યમંત્રીએ જીવનજરૂરી તમામ વસ્તુઓની કોઈ જ અછત ઉભી નહીં થાય તેની પણ ખાતરી આપી છે. મીડિયાને સંબોધતા વિજયભાઈ  રૂપાણીએ કહ્યું છે કે, જ્યાં સુધી કોઈ કટોકટી ન હોય ત્યાં સુધી ઘર બહાર નીકળવું જ નહીં. જો આવું કરશો તો પસ્તાવાનો વારો આવશે.

(10:13 pm IST)