Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

અન્ના હઝારેના સમર્થનમાં અમદાવાદના નાગરિકોએ પણ ભ્રષ્ટાચારવિરોધી અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા

અમદાવાદઃ નવી દિલ્હીમાં ભ્રષ્ટાચાર નાબૂદી અને ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટે અન્ના હઝારેએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેને અમદાવાદમાં સમર્થન મળ્યું છે અને અમદાવાદના નાગરિકો પણ અચોક્કસ મુદ્દતના ઉપવાસ અને ધરણા શરૂ કર્યા છે.

ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ દ્વારા આખરે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આંદોલન કરવાની મંજૂરી આપવી પડી છે. ભ્રષ્ટાચાર નાબૂદી તથા ખેડૂતોની સમસ્યાઓ માટે અન્ના હજારેએ દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યા છે, તેના સમર્થનમાં અમદાવાદના નાગરિકોએ પણ અચોક્કસ મુદતના ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે વીર કવિ નર્મદના પુતળાની ફૂટપાથ ઉપરના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સવિશેષ રહી હતી.

લલ્લુભાઈ પટેલ અને કૌશિકભાઈ તલાટીએ અચોક્કસ મુદતના ઉપવાસની શરૂઆત કરી હતી. ભારતની આઝાદીના શહીદો ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂને સ્મરણાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ માટે પોલીસ પરવાનગી આપવામાં આવી ન હતી. દિલ્હીમાં અન્નાનો સત્યાગ્રહ ચાલુ રહે ત્યાં સુધી અમદાવાદમાં પણ કાર્યક્રમ કરવા દેવા અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવનાર છે.ભ્રષ્ટાચાર નાબૂદી માટે લોકપાલ અને લોકાયુક્તની અસરકારકતા આવશ્યક છે. નિર્ભીક રીતે લોકો પોતાની સાથે થયેલી ભ્રષ્ટાચારની આપવીતી અંગે ફરિયાદ રજૂ કરી શકે, તેવું વાતાવરણ કાયદાથી બનાવવું જરૂરી છે. આથી વિપરીત ગુજરાત લોકાયુક્ત કાનૂનમાં જોગવાઈ છે કે, ફરિયાદી જો ફરિયાદ સાબિત ન કરી શકે તો તેને છ માસ કેદની સજા થાય. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક થયેલ હોવા છતાં આવી વિચિત્ર જોગવાઇઓના કારણે આજ સુધી ફરિયાદો થઈ હોય તેવું જાણવા મળતું નથી. 

સંજોગોમાં કોઈપણ પ્રકારના વિવાદ વગર ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પોતાની દાનત સાબિત કરવા માટે ગુજરાતના બંને મુખ્ય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં આ કાયદા અંગે સંશોધન કરીને યોગ્ય કાયદાનું નિર્માણ કરે તે અપેક્ષા ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની છે. આ બાબતે ગુજરાતનાં તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવનાર છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આ બાબતે નિષ્ઠાવાન ધારાસભ્યો ચર્ચા ઉઠાવી શકે તે આશયથી તમામ ધારાસભ્યોને જાહેર પત્ર આવતીકાલે લખવામાં આવશે. તેમ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

(6:56 pm IST)