Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વહિવટમાં એક ફદિયાનો ભ્રષ્ટાચાર થવા નહિ દઇએ

સુરતમાં કાઠું કાઢયા પછી 'આપ'નો ખુલ્લો લલકાર : લોકોની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરશે : સમસ્યાના નિવારણ માટે લડત આપશે : જીતના સારથી મનોજ સોરઠિયાએ કરેલી જાહેરાત

સુરત તા. ૨૪ : સુરતમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને ૨૭ ઉમેદવારોની જીત થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ ૬ વોર્ડ  પેનલો કબ્જે કરી છે. જયારે ભાજપની બે પેનલો તોડી નાંખી છે. ત્યારે સુરતમાં આપની ભવ્ય જીત માટેનો શ્રેય મનોજ સોરઠીયાને આપવામાં આવી રહ્યો છે. આ સાથે સોરઠીયાએ જીત પછી મોટી જાહેરાત કરી દીધી છે.

મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયની અંદર એક હેલ્પલાઇન નંબર (જનસુવિધા નંબર) ડિકલેર કરવા જઈ રહ્યા છીએ. આ નંબર પર આવનાર તમામ એસએમસીને લગતી ફરિયાદોને લઈને આમ આદમી પાર્ટી લડશે. લોકોને સુવિધા પૂરી પાડવાની કોશિશ કરશે. આજ દિવસ સુધી કોંગ્રેસ જે ભ્રષ્ટાચાર સહન કરતી હતી અને બેફામ ભ્રષ્ટાચાર ભાજપ દ્વારા કરવામાં આવતો હતો. અમે ગેરન્ટી આપીએ છીએ કે અમે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર એસએમસીના વહિવટમાં નહીં કરવા દઈએ.

મનોજ સોરઠીયા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી છે. સુરતમાં ભવ્ય જીત પછી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. અહીં સ્ટેજ પર હાજર આપના કાર્યકરોએ જીત અપાવનાર મનોજ સોરઠીયાને ઉંચકી લીધા હતા.

(12:45 pm IST)