Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

હવે કોરોના અને મ્યુકોરમાઇકોસીસ કરતા પણ ખતરનાક રોગઃ આખુ જીવન રિબાઇ રિબાઇને રહેવું પડે છે

કોરોના બાદ એક પછી એક નવા અને વિચિત્ર રોગો આવી રહ્યા છે સામે : ગુજરાત સરકાર દ્વારા આ રોગ અંગે તમામ હોસ્પિટલોને એલર્ટ અપાયું : જીબીએસ નામનો રોગ લાગુ પડતા વ્યકિતને પેરાલિસિસ પણ થઇ શકે છે

અમદાવાદ,તા. ૨૩: છેલ્લાં એક વર્ષથી કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો છે. જો કે કોરોના બાદ એક પછી એક નવા નવા અને વિચિત્ર પ્રકારનાં રોગ સામે આવી રહ્યા છે. મ્યુકોરમાઈકોસીસ  બાદ હવે વધારે એક વિચિત્ર રોગ સામે આવ્યો છે. GBSનામનો આ રોગ કોરોના અને મ્યુકોરમાઇકોસીસ કરતા પણ વધારે ખતરનાક છે. કોરોનામાં મૃત્યુ દર ૨ ટકા હતો, મ્યુકોરમાઇકોસીસમાં ૫૦ ટકા છે. એક વખત આ ફંગસ આંખની પાછળથી ફેલાઈ મગજ સુધી પહોંચ્યું તો દર્દીને બચાવવું અશકય છે. તબીબ કહે છે કે, મ્યુકોરમાઇકોસીસના એક દિવસમાં અમે એક દર્દીને ઓપરેટ કરી શકીએ છીએ. તરત એ જ ઓપરેશન થિયેટરમાં બીજા દર્દીને લઈ શકતા નથી. નાક ભરેલું લાગે અથવા આંખોમાં ઝાંખપ આવે એટલે તાત્કાલિક ડોકટરનો સંપર્ક હિતાવહ છે. આઇબોલ બહાર આવી જતો હોય તેવું પણ જોવા મળ્યું છે એટલે જો દર્દી ૨૪ કે ૪૮ કલાકમાં સારવાર માટે આવે છે તો તેની આંખો બચી શકે છે.

જો કે હવે રાજયમાં મ્યુકોરમાઇકોસીસ બાદ હવે GBSના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.GBSએટલે ગુલિયન બારે સિન્ડ્રોમ કે જેના એકાદ કેસો જોવા મળતા હતા તેના કેસોની સંખ્યા અચાનક વધવા લાગી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં GBSના ૧૦ કેસ નોંધાયા છે. અમદાવાદ સહિત રાજયની કેટલીક ખાનગી હોસ્પિટલમાં પણ GBSના દર્દીઓ જોવા મળી રહ્યા છે. જો કે કેટલાક અભ્યાસ મુજબ GBS ના દર્દીઓ કોરોનાને કારણે વધ્યા હોય તેવું કહેવું યોગ્ય નથી.

શું છે GBS રોગોના લક્ષણો?

* GBSમાં સ્નાયુઓ તીવ્ર ગતિથી નબળા પડે છે, જેમાં વ્યકિતમાં ચેપ સામે લડવાની સિસ્ટમ નબળી પડે છે જેની અસર ચેતાતંતુઓ પર પડે છે

* બેકટેરિયલ અથવા વાયરસના ચેપથી વ્યકિત GBS નો શિકાર બને છે

* GBS માં સૌપ્રથમ પગમાં નબળાઈ અનુભવાય છે ત્યારબાદ તેની અસર હાથ અને ચહેરા સુધી જોવા મળે છે

*હાથ અને પગમાં ઝણઝણાટી થવી અથવા ખાલી ચઢવી, હાથ, પગ અને પીઠમાં અસહ્ય પીડા એ GBSના લક્ષણો છે

*GBS એ વ્યકિતને પેરાલિસિસનો શિકાર બનાવે છે

*થોડા અઠવાડિયા સુધી GBSની યોગ્ય સારવાર લઈ દર્દી સાજો થઈ શકે છે, ત્યારબાદ દર્દીના સ્નાયુમાં નબળાઈ રહેતી નથી

*GBSની સમયસર યોગ્ય સારવારથી વ્યકિતને બચાવી શકાય છે, જેના કારણે મૃત્યુદર નહીંવત.

(10:03 am IST)