Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ કેસમાં દિલ્હી પબ્લિક સ્કૂલની મુશ્કેલીમાં વધારો: શાળાએ નકલી NOC બનાવી હતી

અમદાવાદ :અમદાવાદના નિત્યાનંદ આશ્રમ કેસમાં દિલ્હી પબ્લિક સ્કૂલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના હાથીજણ સ્થિત દિલ્લી પબ્લિક સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે. લંપટ નિત્યાનંદ કાંડમાં સામેલ દિલ્હી પબ્લિક સ્કૂલ સામે શિક્ષણ વિભાગની તપાસ બાદ શાળાને તાળાં પણ લાગી શકે છે. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે CBSEને ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં દિલ્હી પબ્લિક સ્કૂલ સામે ફોજદારી પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે, 2010માં શાળાને NOC ન મળી હોવા છતાં શાળાએ નકલી NOC બનાવી હતી. આ ઉપરાંત દિલ્હી પબ્લિક સ્કૂલની જમીનમાં આશ્રમ પણ ગેરકાયદે હોવાનો ધડાકો થયો છે.

નિત્યાનંદના પાસપોર્ટની મુદત પૂરી થઈ છે

અમદાવાદના હાથીજણ સ્થિત સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયેલી યુવતી મામલે તપાસ કરી રહેલી એસઆઇટીએ નિત્યાનંદ ફરતે ગાળિયો કસ્યો છે. એસઆઇટીએ વિદેશ મંત્રાલયને ગુમ યુવતીઓ અંગે માહિતી આપી તપાસ વધુ સઘન બનાવી છે. ટેબ્લેટનો કોણ ઉપયોગ કરતું હતું તેની આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, કબ્જે લેવાયેલ ગેજેટ્સની તપાસ કર્યા બાદ જ નિત્યાનંદની ધરપકડ માટે કાર્યવાહી માટે આગળ વધીશું. તેના પાસપોર્ટની વિગતો હજુ સુધી મળી નથી. તેની પાસે રહેલા હાલના પાસપોર્ટની મુદ્દત પુરી થઈ ગઈ છે, તપાસ દરમ્યાન જરૂર જણાશે તો અમે કર્ણાટક જઈશું.

ગુમ યુવતીના પિતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

નિત્યાનંદ આશ્રમ મામલે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આશ્રમમાં કાલા જાદુની વિધિ કરવામાં આવતી હતી. આશ્રમમાં કાલા ભૈરવની વિધિ કરવામાં આવતી હતી. તો આ તરફ મિસિંગ નિત્યનંદિતાની માતા પોતાની દીકરીઓ માટે આક્રંદ કરતી જોવા મળી છે.. આગળ વાત કરીએ તો નફ્ફટ નિત્યાનંદે પ્રશાસને ધમકી આપતાં જણાવ્યું કે જોઈ લેશું.. આમ દિવસેને દિવસે અવનવા ખુલાસા થઈ રહ્યા છે. તો આશ્રમમાં બાળકો પર અતિશય અત્યાચાર કરવામાં આવતાં હતા તેવું પણ ગુમ યુવતીઓના પિતાએ ગઈકાલે મીડિયાને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બાળકો પર ઠંડુ પાણી રેડવામાં આવતું હતું. નિત્યાનંદને આશ્રમમાં દાનમાં મળેલી વસ્તુઓનું દલાલોના માધ્યમથી વેચાણ કરવામાં આવતું હતું.

અમદાવાદમાં નિત્યાનંદનું પૂતળુ સળગાવાયું

સમગ્ર રાજ્યમાં નિત્યાનંદ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદનાં નારોલમાં ગરમ દળે નફફટ નિત્યાનંદનું પૂતળો સળગાવીને વિરોધ વ્યકત કર્યો હતો. આ વિરોધમાં નફ્ફટ નિત્યાનંદને ફાંસી આપવાની માંગ કરી હતી. નિત્યાનંદ મામલે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નફ્ફ્ટ નિત્યાનંદના પૂતળાને જૂતાં પણ માર્યાં હતા.

(4:51 pm IST)