Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

૭ નવેમ્બર અદાણી સંભાળી લેશે અમદાવાદ એરપોર્ટ વહીવટ

સુવિધાઓ વધશે : વિવિધ ચાર્જીસ પણ વધશે ?

અમદાવાદ,તા.૨૩: અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ ૭ નવેમ્બરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલનની કમાન પોતાના હાથમાં લઈ લેશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)એ ગુરૂવારે જારી કરેલા નિવેદનમાં આ વાત સામે આવી છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન દ્વારા બુધવારે દિલ્હીમાં એએઆઈના મુખ્ય મથકે અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સાથે એક એમઓયુ કર્યો હતો.

આ એમઓયુ વિવિધ સેવાઓ માટે કરવામાં આવ્યા હતા જેમા કસ્ટમ્સ, ઈમિગ્રેશન, પ્લાન્ટ અને એનિમલ કવોરેન્ટીન, હેલ્થ અને સુરક્ષાની સેવાઓ સામેલ છે. તેવી જ રીતે એએઆઈ દ્વારા પણ અદાણી સાથે સીએનએસ-એટીએમ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઓપરેશન્સ, મેનેજમેન્ટ અને અમદાવાદ એરપોર્ટના વિકાસ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીઈ) અંતર્ગત કરાર કરવામાં આવ્યો હતો. જો સૂત્રોનું માનવામાં આવે તો એએઆઈ દ્વારા સપ્ટેમ્બર ૧૧દ્મક જ એરપોર્ટ ઓપરેટરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, કંપનીએ એએઆઈ સાથે ૬૦ દિવસનો ઓબ્ઝર્વેશન પીરિયડ શરૂ કરી દીધો છે. પ્રક્રિયાના ભાગરૂપે એએઆઈ નવા ઓપરેટરને વિવિધ પ્રક્રિયાઓ અને કાર્યોની જવાબદારી આપશે અને તેમને ટેક ઓવરની પ્રક્રિયામાં મદદ કરશે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં એઈએલ દ્વારા એએઆઈને પ્રતિ પેસેન્જર ૧૭૭ રૂપિયા ચૂકવવાની એક બિડ મૂકવામાં આવી હતી. એએઆઈના ડેટા પ્રમાણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૦૧૯-૨૦મા રેકોર્ડ ૧.૧૪ કરોડ પેસેન્જર્સ આવ્યા હતા.

(10:10 am IST)