Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ડભોડિયા હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશને લઇને તૈયારીઓ

દાદાને એક હજાર તેલના ડબાથી અભિષેક કરાશે : ધનતેરસની રાત્રે ૧૨ વાગ્યાથી કાળી ચૌૈદશનો શુભારંભ

અમદાવાદ, તા.૨૩  : ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના સુપ્રસિધ્ધ અને એક હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન સ્વયંભુ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશની વિશેષ અને તેલથી દાદાના મહાઅભિષેકને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ કાળી ચૌદશના પર્વ નિમિતે ચમત્કારિક ડભોડિયા હનુમાનજી દાદાને લગભગ એક હજાર જેટલા તેલના ડબાથી શ્રધ્ધાળુ ભકતો દ્વારા અભિષેક કરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે, ડભોડિયા હનુમાનજી દાદાની મહાઆરતી ધનતેરસની રાત્રે ૧૨-૦૦ વાગ્યે જેવો કાળીચૌદશના પર્વનો પ્રારંભ થાય કે, તરત જ દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે. દાદાની આ ચમત્કારિક અને અનન્ય મહાઆરતીનો લાભ લેવા અને કાળીચૌદશના દર્શન માટે સાડા ત્રણ લાખથી વધુ ભકતો દર્શનાર્થે ઉમટશે. એટલું જ નહી, ધનતેરસ અને કાળી ચૌદશને લઇ બે દિવસ સુધી ડભોડા ખાતે સુપ્રસિધ્ધ લોકમેળાનું વર્ષોથી પરંપરાગત આયોજન થયું હોય છે,

                 તેને લઇને તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. ડભોડિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી કાળી ચૌદશના દર્શનાર્થે આવનારા લાખો શ્રધ્ધાળુ ભકતો માટે મહાપ્રસાદ સહિતની વ્યવસ્થા પણ કરાઇ છે. ધનતેરસની રાતથી શરૂ થઇ રહેલા સુપ્રસિધ્ધ લોકમેળા અને કાળી ચૌદશની દાદાની વિશેષ પૂજાને લઇ ડભોડિયા હનુમાનજી મંદિર અને સમગ્ર ગામના માર્ગોને ઝળહળતી રોશનીથી સુશોભિત કરાયા છે. આ અંગે ડભોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જર, બળદેવજી પરમાર, હીરાભાઇ પટેલ અને મંદિરના પૂજારી રાજુભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, કાળી ચૌદશના પર્વ નિમિતે ડભોડિયા દાદાની વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવે છે, જેમાં ધનતેરસની રાત્રે ૧૨-૦૦ વાગ્યે કાળી ચૌદશના પ્રારંભ સાથે ડભોડિયા દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે. આ મહાઆરતીનું બહુ જ અનેરૂ અને ચમત્કારિક મહાત્મ્ય હોવાથી સાડા ત્રણ લાખથી વધુ દર્શનાર્થીઓ દેશ-વિદેશથી તેમાં ભાગ લેવા અને દાદાના દર્શનાર્થે ખાસ આવતા હોય છે. ધનતેરસની રાતથી કાળીચૌદશની રાત સુધી દાદાનું મંદિર સતત ખુલ્લુ રહેશે, જેથી લાખો શ્રધ્ધાળુઓ દાદાના દર્શન પામી શકશે અને ધન્યતા અનુભવી શકશે. ડભોડિયા હનુમાનજી મંદિરના ધનતેરસ અને કાળીચૌદશને લઇ બે દિવસના ભરાતાં સુપ્રસિધ્ધ લોકમેળામાં આસપાસના ગામડાઓ અને દૂરદૂરથી લોકો ઉમટતા હોય છે, મેળાની વર્ષો જૂની પરંપરાનું પણ ઘણું મહત્વ હોઇ લોકો તેમાં ખાસ ભાગ લેવા આવતા હોય છે.

               ડભોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જર અને મંદિરના પૂજારી રાજુભાઇ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, કાળી ચૌદશને લઇ દાદાનો તેલ-સિંદૂરથી ખાસ ચોળો કરવામાં આવશે અને દાદાનો વિશેષ સાજ શણગાર કરવામાં આવશે તો, સમગ્ર મંદિરને રંગબેરંગી અને ઝળહળતી રોશની સહિતના આકર્ષણોથી શણગારવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસના સહયોગથી ધનતેરસ અને કાળીચૌદશ દરમ્યાન દેશ-વિદેશથી આવનાર લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામના જ ૩૫૦થી વધુ સ્વયંસેવક યુવકો ભકતોની સેવામાં ખડેપગે તૈનાત રહેશે. તો લેકમેળામાં મોટી ચકરડી, મીની ટ્રેન, જમ્પીંગ, મોતનો કુવો સહિતના અનેકવિધ આકર્ષણો બાળકો, યુવાઓ સહિત અબાલ વૃધ્ધ સૌકોઇને મનોરંજન પૂરું પાડશે. ડભોડિયા મંદિર ખાતે ધનતેરસ અને કાળી ચૌદશ દરમ્યાન દાદાની ભકિતનો માહોલ છવાશે. કારણ કે, દાદાના ચમત્કાર અને અનેરા મહાત્મ્યને પગલે લાખો ભકતો અહીં આપોઆપ દર્શનાર્થે ખેંચાઇ આવે છે.

(8:31 pm IST)