Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરતના લિંબાયતમાં કમલેશ તિવારીની હત્યાનો પ્લાન ઘડ્યો હતોઃ પૈસા ખૂટી જતા સુરત આવવા જતા એટીએસ ટીમે દબોચી લીધા

અમદાવાદ :લખનઉમાં કમલેશ તિવારી હત્યા કેસમાં ગઈકાલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી હતી. ફરાર આરોપી અશ્ફાક અને મોઈનુદિનની ગુજરાત એટીએસની ટીમે શામળાજી નજીકથી ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓ નેપાળ તરફ ગયા હતા. ત્યાંથી શાહજહાંપુર આવ્યા હતા અને પૈસા ખૂટી જતા ગુજરાત તેમના પરિવાર પાસે મદદ માંગી હતી. જે માટે સુરત આવવા જતા એટીએસની ટીમે શામળાજીથી જ ઝડપી લીધાં હતાં.

કમલેશ તિવારીનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ

કમલેશ તિવારી હત્યાકેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સામે આવ્યું કે, કમલેશ તિવારીની ખૂબ જ ક્રુરતાપૂર્વક ગુજરાતના યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. છરીના 15 વાર કર્યા બાદ કમલેશ તિવારીને ગોળી મરાઈ હતી. કમલેશ તિવારીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે, હત્યારાઓએ છાતી અને માથા વચ્ચે 15 છરીના ઘા માર્યા હતા. 10 સેન્ટીમીટરના ગાળામાં કમલેશ તિવારીને છરીના ઘા મારવામાં આવ્યા હતા. તેમજ માથાના પાછળના ભાગમાંથી 32 બોરની ગોળી મળી આવી છે. છરીના ઘા અને ગોળી મારી બેરહેમીપૂર્વક હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

હત્યાનો પ્લાન બનાવી રશીદ દૂબઈ ગયો હતો

ઉત્તર પ્રદેશનાં પાટનગર લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાનો પ્લાન સુરતમાં બનાવ્યો હતો. મોહંમદ પયગંબર સાહેબના વિરોધમાં ડિસેમ્બર 2015માં કમલેશ તિવારીએ વિવાદી નિવેદન આપ્યું હતું. જેથી ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદએ કમલેશ તિવારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જો કે તે વખતે રશીદ દુબઈ જતો રહ્યો હતો. નોકરી છોડીને બે મહિના પહેલા જ તે સુરત આવ્યો ત્યારે આ વાત પાછી યાદ કરી હતી. લિંબાયત પદમાવતી સોસાયટીમાં ગલી નં-1માં ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટ નીચે બેસીને ફૈઝાન, મોહસીન, અશફાક, ફરીદ અને રશીદ સાથે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 16મીએ ફૈઝાને તેના મિત્ર સાથે ઉધનાની ધરતી નમકીન ફરસાણની દુકાન પરથી મીઠાઈ ખરીદી હતી.

આજે યુપી પોલીસ બંને આરોપીનો કબજો મેળવશે

કમલેશ તિવારી હત્યા કેસનો મામલામાં ગઈકાલે પકડાયેલા બંને મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. ગુજરાત ATS આરોપીઓને આજે કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે રજૂ કરશે, જેના બાદ લખનઉ પોલીસ બંને આરોપીઓનો કબજો લેવા આવશે. લખનઉથી 4 પોલીસ અધિકારી અમદાવાદ આવશે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓને યુપી લઇ જવાશે.

જ્યારથી આ મામલો સામે આવ્યો ત્યારબાદ એટીએસ બંન્ને ફરાર આરોપીઓના પરિવારજનો પર નજર રાખી રહી હતી. મોઇનુદ્દીન ફૂડ ડિલેવરી બોયનું કામ કરી રહ્યો હતો. તેની પાસે પૈસા પૂરા થઈ જતાં તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. ગુજરાત એટીએસને ત્યારબાદ બંન્ને આરોપીઓ ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા શામળાજીમાં છે. આ માહિતી મળ્યા બાદ ગુજરાત એટીએસે ઓપરેશન પાર પા઼ડ્યું હતું. 

(4:44 pm IST)