Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વિદ્યાપીઠમાં ગળથૂથીમાં ગાંધી વિચાર : અજીમ પ્રેમજીનો મત

ગુજરાત વિદ્યાપીઠમાં પદવીદાન સમારંભ યોજાયો સાતને પીએચડી, ૨૫ને એમફીલ, ૩૫૫ને એમએ અને ૨૦૪ વિદ્યાર્થીઓને સ્નાતક ડિગ્રી : ટોપના લોકો ઉપસ્થિત

અમદાવાદ, તા.૨૨ : ગૂજરાત વિદ્યાપીઠનો આજે ૬૬મો પદવીદાન સમારંભ યોજાયો હતો જેમાં મુખ્ય તરીકે વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી ઉપસ્થિત રહયા હતા. તેમણે વિદ્યાર્થીઓને દિક્ષાંત પ્રવચન આપ્યુ હતુ જેમાં ગાંધીજીના જીવન મૂલ્યો આજે પણ પ્રસ્તુત હોવાનું કહીને ગાંધીવિચારની ગળથૂથી અપવનાવી સફળતાના સોપાન સર કરવા તેમણે વિદ્યાર્થીઓને શીખ આપી હતી. સામાન્ય રીતે વિદ્યાપીઠનો પદવીદાન તા.૧૮મી ઓક્ટોબરે યોજવામાં આવે છે, પરંતુ આ વખતે ચાર દિવસ મોડો તા.૨૨ ઓક્ટોબરે યોજાયો હતો. આજના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેનારા તમામને માન્ય સફેદ ગણવેશ સફેદ ટોપી સાથે પહેરીને આવવા સૂચના અપાઈ હતી. જેને પગલે સૌ કોઈએ ખાદીના સફેદ વસ્ત્રો અને ગાંધી ટોપી પહેરી હતી. ગુજરાત વિદ્યાપીઠના આ વાર્ષિક સમારંભમાં ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં ૨૭ વિદ્યાર્થીને પીએચડીની ડિગ્રી, ૨૫ વિદ્યાર્થીઓને એમ.ફીલ, ૩૫૫ વિદ્યાર્થીઓને એમ.એ., અને ૨૦૪ વિદ્યાર્થીઓને સ્નાતકની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થીભવનમાં સવારે આ સમારંભ શરૂ થયો હતો. સવારે સર્વધર્મ પ્રાર્થના બાદ વિદ્યાર્થીમંડળ દ્વારા સમારંભના અધ્યક્ષ કુલપતિ અને મુખ્યમહેમાનને ખાદી અર્પણ કરીને સ્વાગત અને આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પદવીદાન સમારંભનો આરંભ થયો હતો. પદવીદાન સમારંભના અધ્યક્ષ કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર તથા પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ દિક્ષાંત પ્રવચન આપતાં ગાંધીજીના વિચારોની મૂડી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, જીવનમાં સત્ય બોલવું. સત્યવચનીનો વિજય હંમેશા થાય છે. હા થોડી વાર લાગે છે પણ અંતે જે સત્ય હોય તે જ વિજયી બને છે. તેમણે તે પછી નિષ્ઠા અને પ્રામાણિકતાના ગુણને જીવનના ગુરુ ગણાવ્યા હતા.  પ્રામાણિકતાનો ગુણ તમને દુનિયાની હરોળમાંથી સૌથી નોખા ઉભા રાખી દે છે. જો કે, ગાંધીજીની સંસ્થા એટલે કે વિદ્યાપીઠમાં તો ગળથૂથીમાં જ ગાંધીવિચાર મળે છે એટલે હું તેમને વધુ શું કહુ? ગમે તેવો સંઘર્ષ આવે તમે તમારા નીતિ મૂલ્યોને મૂકતા નહી. વળગી રહેજો. ેજેમ ગાંધીજી પોતાના આદર્શો અને જીવન મૂલ્યોને વળગી રહ્યા હતા તેમ. તમારી સફળતાને કોઈ નહીં રોકી શકે. તમે ખુદ પણ નહીં. મારી સફળતા તો મને આ જ રીતે પ્રાપ્ત થઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.

(9:44 pm IST)