Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

૩૧ ઓકટોબરે રાજકોટમાં SPGની પાટીદાર કર્મવીર રેલી, વંથલીમાં PAASનો ખેડૂત સત્યાગ્રહ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સાથે વિવિધ સંગઠનોના સમાંતર કાર્યક્રમો માથાનો દુઃખાવો બનશે : ૅંફિકસ પગારો, આદિવાસી સંગઠનો પણ દેખાવો કરશે

ગાંધીનગર તા. ૨૩ : રાજય સરકાર દ્વારા ૩૧ ઓકટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભવ્ય લોકાર્પણ માટે તૈયારી ચાલી રહી છે અને ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની છે તેવો પ્રચાર જોરશોરથી થઇ રહ્યો છે પરંતુ વિવિધ સંગઠનોના ૩૧ ઓકટોબર-સરદાર જયંતીના સમાંતર આંદોલનાત્મક કાર્યક્રમો સરકાર માટે માથાનો દુૅંખાવો બની શકે છે. પાસ નેતા હાર્દિક પટેલ દ્વારા ૩૧મી ઓકટોબરે જ જૂનાગઢના વંથલી ખાતે ખેડૂત સંમેલન યોજવાની, એસપીજીના લાલજીભાઇ પટેલ દ્વારા ૩૧મીએ રાજકોટમાં એક લાખ પાટીદારોની કર્મવીર રેલી, ૩૧મીએ પાસના એક જૂથ દ્વારા નર્મદા જિલ્લામાં અને અન્ય આદિવાસી સંગઠનો દ્વારા પણ ૩૧મીએ વિરોધના કાર્યક્રમોની જાહેરાત થવા પામી છે.

પાટીદાર સંગઠન એસપીજીના પ્રમુખ લાલજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, એસપીજી દ્વારા દર વર્ષે સરદાર જયંતિની ઉજવણી થાય છે ત્યારે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૩૧ ઓકટોબરે એક લાખથી વધુ પાટીદારોને એકઠા કરીને સંગઠનની તાકાત બતાવાશે. જેમાં ખેડૂતો સહિત સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા માટે માગણી કરાશે. જો તંત્ર મંજૂરી નહીં આપે તો પણ રેલી યોજાશે. આ માટે ઠેર ઠેર મિટિંગનો દોર શરૂ કરી દેવાયો છે.

પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, ૩૧મીએ સાંજે ચાર વાગે વંથલી ખાતે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ યોજાશે. જેમાં ખેડૂતો માટે સત્યાગ્રહ કરીને અંગ્રેજોને ઝુકાવનારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાજય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. અંગ્રેજ જેવું વર્તન કરતી સરકાર સામે ખેડૂતો અને યુવાનોને તેમનો હક અપાવવાનું પ્રણ લેવામાં આવશે. કાર્યક્રમમાં પાસના કાર્યકરો, ખેડૂતો-યુવાનોને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

પાસના એક જૂથના નેતા દિલીપ સાબવાએ નર્મદા જિલ્લામાં જ ત્રિવિધ બનાવવા જમીન તથા પાટીદારો આંદોલનકારીઓને લગતા કાર્યક્રમોનું એલાન કર્યું છે. આ માટે એસટી બસની પણ માગણી કરી છે. સરકારમાં કેટલાક કર્મીઓ ફિકસ પગાર ઉપર વર્ષોથી ફરજ બજાવે છે તેમના દ્વારા પણ સોશિયલ મીડિયામાં ૩૧મીએ અમદાવાદમાં વિરોધનો કાર્યક્રમ યોજવાના સંદેશા ફરતા કરવામાં આવ્યા છે. સરકાર માટે સૌથી મોટો પડકાર આદિવાસી વિસ્તારોમાં થઇ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમના વિરોધનો છે. ઉમરગામથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓમાં કેટલાક સંગઠનો દ્વારા હાલ ૩૧મીએ બંધ પાળવા માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. નર્મદા જિલ્લામાં પણ આદિવાસી સંગઠનો દેખાવ કરીને વિરોધ કરે તેવી શકયતા છે. જેના કારણે સરકાર માટે ૩૧મીનો કાર્યક્રમ સાંગોપાંગ પાર પાડવા ભારે જહેમત થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

(10:47 am IST)