Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

તલાટીઓની હડતાળના પગલે પંચાયતોની કામગીરી ઠપ્પ થઈ

પ્રમોશન, પગારવધારા સહિતની જુદી જુદી માંગ : ૧૧ હજારથી વધારે તલાટી હડતાળ પર : રાજય સરકાર દ્વારા પડતર માંગણીનો ઉકેલ લવાય તેવી માંગણી કરાઈ

અમદાવાદ,તા. ૨૨ : અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરના ૧૧ હજારથી વધુ તલાટીઓ વર્ષોજૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે છેલ્લા બે મહિનાથી સરકાર સામે જંગે ચડ્યા છે. સરકારને અનેક વખત પ્રશ્નો ઉકેલવા માટે વિનંતી કરીને સંખ્યાબંધ કાર્યક્રમો આપ્યા બાદ કોઇ નિરાકરણ નહીં આવતાં સરકારની નીતિથી નારાજ થયેલા રાજયભરના તલાટી-કમ-મંત્રીઓ આખરે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા, જેને પગલે રાજયની પંચાયતોમાં કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, દેવભૂમિદ્વારકા સહિતના જિલ્લાઓમાં તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી સ્થાનિક કક્ષાએ સરકાર સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો પણ યોજયા હતા. તલાટીઓ દ્વારા તેમના પડતર માંગણી પરત્વે સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.         સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગામેગામ યોજાઈ રહેલી એકતા યાત્રા, ગ્રામસભા સહિત પંચાયતને લગતી રોજબરોજની કામગીરી ખોરવાતાં ગ્રામજનોની હાલાકી વધી ગઇ છે. નોકરીમાં પ્રમોશન, પગારધોરણ, સળંગ નોકરી, બઢતીની જોગવાઈમાં સુધારા સહિતની પડતર માંગણીઓના મુદ્દે ૧૧ હજાર તલાટીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે. તલાટી-કમ-મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે છેલ્લા બે મહિનામાં ઘણા વિરોધ કાર્યક્રમો અપાયા હતા. વર્ષ ર૦૧૦માં મહેસૂલી તલાટીની ભરતી થયાના પહેલાં ૪૦ વર્ષથી ગુજરાતમાં એક જ તલાટી-કમ-મંત્રીની એક જ કેડર હતી. જે મહેસૂલી રેકોર્ડ નિભાવણીથી લઇને પંચાયતીરાજનાં તમામ કામનું વહન કરે છે. વર્ષ ર૦૧૪માં સરકારે મહેસૂલી તલાટીઓને ઉપલા વર્ગના પ્રમોશન માટે રૂલ્સ તૈયાર કરીને નોટિફિકેશન બહાર પાડ્યું, ત્યારથી પંચાયતના ૧૦,૪ર૧ અકિલા તલાટીઓમાં અસંતોષ સર્જાયો હતો, કારણ કે પંચાયતના તલાટીઓ જે દિવસે સેવામાં પ્રવેશ લે ત્યારથી રિટાયર્ડ થાય ત્યાં સુધી તલાટીના તલાટી જ રહે છે.

 પાયાની સૌથી મોટી કેડરને નજરઅંદાજ કરીને મહેસૂલના ૩૬૦૦ તલાટીઓ માટે નિર્ણય લેવાતાં વિવાદ સર્જાયો છે. રાજયના તલાટી-કમ-મંત્રી મંડળના પ્રમુખ ભરત ડી. આહીરે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી તલાટીઓ રાજય સરકારને રજૂઆત કરતા આવ્યા છે. કાળી પટ્ટી, પેનડાઉન, માસ સીએલ જેવા એક પછી એક કાર્યક્રમ પણ આપ્યા હતા, છતાં સરકારે તલાટીઓની માગણી બાબતે કોઇ ગંભીરતા દાખવી નથી. સરકારથી નારાજ થઇને અમે રાજયના ૧૧ હજાર જેટલા તલાટી-કમ-મંત્રીઓએ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છીએ. સરકાર જયાં સુધી હકારાત્મક નિર્ણય લઇ જાહેરાત નહી કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે.

 

(8:11 pm IST)