અમદાવાદ, તા.૨૩ : રાજ્યમાં અચાનક સરકાર બદલીને તેમજ જૂના તમામ મંત્રીઓને પડતા મૂકીને ભાજપના મોવડી મંડળે સૌ કોઈને ચોંકાવી દીધા છે. જોકે, તાજેતરમાં જ થયેલી આ ભારે ઉથલપાથલ બાદ હવે તેનાથી પણ મોટું કંઈક કરવાની તૈયારીઓ હાલ જોરશોરમાં ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને માંડ સવા વર્ષ જેટલો સમય રહ્યો છે ત્યારે એક્શનમાં આવેલું મોવડીમંડળ અત્યારથી જ મોટો પ્લાન બનાવી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો, જેમ નવા મંત્રી મંડળમાં નો રિપીટ થીયરી લાગુ કરાઈ, તે જ રીતે હવે વિધાનસભા ચૂંટણી ટાણે ટિકિટ વહેંચણીમાં પણ તેને મોટાપાયે લાગુ કરવામાં આવી શકે છે.
તેવામાં હાલ ભાજપના હાલના ૬૦ ટકા જેટલા ધારાસભ્યોના પત્તાં કપાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, આ અંગે કોઈ ખૂલીને કશુંય બોલવા તૈયાર નથી.
વળી, ઉપરથી બધા નિર્ણયો લેવાતા હોઈ સ્થાનિક નેતાગીરી પણ ક્યારે શું થશે તે અંગે અજાણ છે. નવી સરકારને આવ્યે હજુ ૧૫ દિવસ માંડ થયા છે, ત્યારે રુપાણી સરકારના એક સિનિયર નેતા સામે તો ભાજપના જ સાંસદે મોરચો માંડ્યો છે.
આ સિનિયર નેતાને પડતા મૂકાયા ત્યારે તેમણે જાહેરમાં નારાજગી વ્યક્ત તો નહોતી કરી, પરંતુ જો ટિકિટ ના મળી તો નવાજૂની થઈ શકે તેવો અંદેશો પણ આપ્યો હતો.
હાલ તો એવી પણ અટકળો ચાલી રહી છે કે જે મંત્રીઓને પડતા મૂકાયા તેમાંના કેટલાકને ટિકિટ મળશે કે કેમ તે પણ કોઈ નથી જાણતું. બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ જાણે ઈલેક્શન મોડમાં આવી ગઈ હોય તેમ જૂની સરકારના નિર્ણયો પર ફેરવિચાર કરાઈ રહ્યો છે. કેટલાક નવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.
જેમાં રાહત સમયે ચૂકવાતી રકમમાં વધારો પણ સામેલ છે. આ ઉપરાંત, અધિકારીઓ અને મંત્રીઓને પણ તમામ પેન્ડિંગ કામ પૂરા કરવા તાકીદ કરાઈ છે. અઠવાડિયામાં બે દિવસ તમામ મંત્રીઓને ફરજિયાત ઓફિસમાં હાજર રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જે દર્શાવે છે કે ચૂંટણી પહેલા સરકાર પોતાની છબી બદલવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં ગુજરાતની સાથે યુપી, હિમાચલ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં સંભવતઃ સૌથી છેલ્લે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
આ તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે, અને ચૂંટણીને ખાસ સમય નથી રહ્યો ત્યારે સરકારની ઈમેજ બદલવા અને એન્ટિ ઈક્નમ્બન્સી ફેક્ટરને ખાળવા માટે મોવડી મંડળે એડી-ચોટીનું જોર લગાવી દીધું છે. ગુજરાત, ઉત્તરાખંડ જેવા રાજ્યમાં સીએમ અને મંત્રીમંડળ પણ બદલવામાં આવ્યા છે. યુપીમાં પણ નવાજૂની કરવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
યુપી અને ગુજરાતમાં ભાજપને ટક્કર આપી શકે તેવા પક્ષો ખાસ મજબૂત નથી. તેમ છતાંય અહીં મોટી જીત મળે તે માટે પક્ષ દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. ૨૦૧૭માં ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહે ૧૫૦ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે પક્ષને માંડ ૯૯ બેઠકો મળી હતી.
જ્યારે આ વખતે પ્રદેશ પ્રમુખ તમામ ૧૮૨ બેઠકો જીતવાની વાતો કરી રહ્યા છે. અંદરખાને મોવડી મંડળ પણ માધવસિંહનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ તૂટે તેવું ઈચ્છી રહ્યું છે. જેના ભાગરુપે જ તમામ કવાયત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રયાસોનું પરિણામ શું આવે છે.