Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભરતીની રાહ જોઈ દરિયામાં લાંગરાયું આઇએનએસ વિરાટ : ૨૮મીએ અંતિમ સલામી અપાશે : ૧ ઓકટોબરે કિનારે ખેંચાશે

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા હાજર રહે તેવી શકયતા : અલંગમાં પહેલા યુદ્ઘ જહાજને જોવુ લોકો માટે ખાસ બનશે

રાજકોટ : ગ્રેટ ઓલ્ડ લેડીના નામથી ઓળખાતું ભારતનું ઐતિહાસિક યુદ્ઘજહાજ INS વિરાટ અસ્તિત્વની અંતિમ સફરે ભાવનગર એન્કરેજ આવી પહોંચ્યું છે. આ જહાજને ૨૮મીએ ભરતીમાં અલંગના પ્લોટ નં.૯માં બીચ કરાશે અને પછી ભાંગવામાં આવશે. ૩૦ વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપનાર INS વિરાટ કેમ ભાવનગર દરિયામાં પહોંચી ગયું છે, પણ આખરે તે કેમ ૨૮ સપ્ટેમ્બરે બીચ કરાશે તે પાછળ એક ચોક્કસ કારણ છે. હાલ INS વિરાટ ભાવનગરના દરિયા કિનારાથી ૧૨ નોટિકલ માઈલ દૂર છે. સોમવાર સાંજથી દરિયામાં જહાજને એન્કર કરાયુ છે. એટલે કે તેના લંગર દરિયામા ઉતારી દેવાયા છે.

INS વિરાટ કિનારે આવવા માટે ભરતીની રાહ જોઈને બેસ્યું છે. ૧ ઓકટોબરે દરિયામાં ભરતી આવશે. પરંતુ તે પહેલા ૨૮ સપ્ટેમ્બરના રોજ INS વિરાટને કિનારે લાવવામાં આવશે. જોકે, તે એક ઔપચારિક વિધી પૂરતુ હશે. ૨૮ સપ્ટેમ્બરે તેને અંતિમ સલામી આપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા હાજર રહેશે. તેના બાદ જહાજની બાકીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. ૨૮મી સપ્ટેમ્બરે જહાજને સેલ્યુટ સેરેમની પૂરતુ જ ખેંચવામાં આવશે. ૨૮ સપ્ટેમ્બર પછી આ મહાકાય જહાજને વધુ ખેંચવામાં આવશે. ૧ ઓકટોબરે ભરતી આવશે, શિપ એ દિવસે ખેંચાશે.

શિપને કિનારે ખેંચવા માટે એક ચોક્કસ પ્રક્રિયા કામ કરતી હોય છે. આ પ્રોસેસને ફોલો કરવાની રહે છે. દરેક ભરતીમાં કિનારા સુધી દરિયાના પાણી આવી જતા હોય છે. જયારે કે, આડા દિવસોમાં દરિયો અડધો પોણો કિલોમીટર અંદર જતો હોય છે. ભરતીના દિવસોમાં પાણીનો ભરાવો વધુ થયેલો હોય છે, જેથી શિપને કિનારા સુધી લાવવું સરળ બની જતું હોય છે. પૂનમ, અમાસ અને બે બીજની તિથિએ ભરતી આવતી હોય છે. તેથી INS વિરાટને પણ ભરતીને ધ્યાનમાં રાખીને ખેંચવામાં આવશે. ભરતી આવે ત્યારે શિપને કિનારે લાંગરી શકવું સરળ બને છે. શિપને ભાંગવાનું કામ શરૂ થાય ત્યારે શિપને પાણીમાં ઉભા રાખીને ભાંગવુ ન પડે તે માટે શિપને એ રીતે લાંગરવામાં આવે છે તે અડધુ દરિયાની અંદર રહે અને અડધુ દરિયાની બહાર રહે. જેથી ભાંગવાનું કામ પણ આસાન થઈ જાય. લાંગરતા સમયે ૫૦૦ મીટર શિપ જેટલું બહાર આવી જશે. આમ શિપનું તળિયુ જમીન પર આવી જશે.

INS વિરાટ જેવા મહાકાય જહાજને ખેંચવું જરા પણ સરળ નથી. આવા જહાજને ભરતીના દિવસે ટોપની લેવલની સ્પીડે લઈ જઈને કિનારે લાંગરવા આવે છે, પછી તેના એન્જિન બંધ કરી દેવાય છે. જોકે, આઈએનએસ વિરાટના બંને એન્જિન પહેલેથી બંધ કરી દેવાયા છે. તેથી બે ટગ દ્વારા શિપને ખેંચવામાં આવશે. બે ટગ વિરાટ જહાજને દરિયા કિનારે લાવવા માટે ખેંચશે. શકય એટલી સ્પીડે વિરાટને ખેંચવામાં આવશે. તેના બાદ જેમ કિનારો નજીક આવતો જશે, તેમ એક ટગ બોટ જમણી બાજુથી, અને બીજી ટગ બોટ ડાબી બાજુથી નીકળી જશે. આમ, સ્પીડમાં જહાજ કિનારા તરફ ધસીને કિનારાથી બહાર નીકળી જશે. એક એક મણના મોટા આંકડાવાળી સાંકળથી શિપને કિનાર તરફ ખેંચવામાં આવશે.

ભાવનગરના ઈતિહાસમાં વોરશીપ અનેક ભંગાયા છે. પણ ભારતનું વોરશિપ પહેલીવાર ભંગાણ માટે અલંગમાં આવ્યું છે. આ પહેલા આઈએનએસ વિક્રાંતને બોમ્બે ડોકડાયર્ડમાં જ ભંગાયુ હતું. ત્યારે વિરાટ પહેલુ એવું યુદ્ઘ જહાજ છે, જે અલંગમા ભંગાશે. તેથી ભાવનગરવાસીઓ માટે આ ક્ષણ ખાસ બની રહેશે.

INS વિરાટ જેવું યુદ્ઘ જહાજ ભાવનગરમાં આવતુ હોય ત્યારે લોકોનો ઉત્સાહ પણ અનેરો બની રહેશે. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો કિનારે ઉમટે તેવી શકયતા છે. આવામા ંINS વિરાટની સિકયોરિટી રાખવી બહુ જ જરૂરી છે. ભાવનગરનો દરિયા કિનારે અનેકવાર જહાજોમાંથી માલસામાનની ચોરી થતી હોય છે. તેથી જો જહાજ લાંબા દિવસો સુધી કિનારે પડી રહે તો તેની સિકયુરિટી રહેતી નથી. આ વિચારે તેને થોડા દિવસ દરિયાથી દૂર રાખવામાં આવશે. તેને ભંગાણના સમયે જ કિનારે લાવવામા આવશે. જોકે, અતિ મહત્વનું યુદ્ઘ જહાજ હોવાથી આઈએનએસ વિરાટના અંદરથી તમામ પ્રકારના સાધન અને મટીરિયરલ બોમ્બે ડોકડયાર્ડમાં કસ્ટમ કિલયર કરીને કાઢી લેવામાં આવી છે. રેડિયો રૂમ, અગત્યના મશીન જે વેચી ન શકાય તેવા સાધનોને તોડી નાંખવામાં આવે છે. એ તમામ પ્રોસેસ બોમ્બે ડોકયાર્ડમાં પૂરી થઈ ગઈ છે.

હાલ દરિયામાં જીએમડી, કસ્ટમ અને જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ) દ્વારા આઈએનએસ વિરાટનો સરવે ચાલી રહ્યો છે. આ સરવે આજે કદાચ પૂરો થવાની શકયતા છે.

(2:55 pm IST)