Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ચક્રવાતી તોફાની હિકા વધુ તીવ્ર : તંત્ર સંપૂર્ણપણે સજ્જ

હિકાની અસર હેઠળ દરિયાકાંઠે પ્રચંડ પવન : ગુજરાત તરફ આવવાની શક્યતા ખુબ ઓછી હોવા છતાં સિગ્નલ મુકાયા : દરિયો તોફાની બનશે : વરસાદી માહોલ

અમદાવાદ, તા.૨૩ અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા વધુ તીવ્ર બની ગયું છે. પરિણામ સ્વરુપે ગુજરાતના દરિયાાકાંઠે પ્રચંડ પવન ફુંકાશે સાથે સાથે ભારે વરસાદ પણ થનાર છે જેથી દરિયામાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. મોજા ઉછળી શકે છે. માછીમારોને બુધવાર સુધી દરિયામાં નહીં જવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડાની સંભાવનાને લઇને તંત્ર સાબદુ થઇ ગયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ હિકાના ગુજરાત તરફ આવવાની શક્યતા ઓછી છે પરંતુ આનાથી રાજ્યના દરિયાકાંઠા પર પ્રચંડ પવન ફુંકાશે. રવિવારના દિવસે ઉત્તર પૂર્વ અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં દબાણના ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા પશ્ચિમ તરફ આગળ વધીને મજબૂત થઇ ગયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ હિકા ગુજરાતના વેરાવળના પશ્ચિમ દક્ષિણમાં આશરે ૪૯૦ કિલોમીટર, પાકિસ્તાનના કરાંચીના દક્ષિણ પશ્ચિમમાં ૫૨૦ કિલોમીટર તથા ઓમાનના માસીરાહથી પૂર્વ દક્ષિણમાં ૭૧૦ કિલોમીટરના અંતરે સ્થિત છે.

                   ઘેરા દબાણના કારણે બુધવારે વહેલી પરોઢે તે પશ્ચિમ તરફ આગળ વધશે અને ઓમાન દરિયાને પાર કરે તેવી શક્યતા છે. આગામી ૨૪ કલાક દરમિયાન તે વધુ તીવ્ર બનશે. ત્યારબાદ ક્રમશઃ કમજોર બનશે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. બનાસકાંઠામાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થયો છે. હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ૨૪ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે., ત્યારે બીજીબાજુ, અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. પોરબંદરમાં તો, ત્રણ નંબરનુ સિગ્નલ પણ લગાવી દેવાયું છે. તો, વાવાઝોડાની સંભાવનાને જોતાં તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે.  ચોમાસાની સીઝન પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ હજુ વરસાદ વરસી રહ્યો છે.

                   મેંદરદા, કેશોદ સહિતના પંથકોમાં આજે એકથી બે ઇઁચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગઇકાલે રવિવારે પણ ઠેર-ઠેર વરસાદ પડયો હતો. બીજીબાજુ, હવામાન વિભાગે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ પવનની ઝડપ ૪૦ થી ૬૦ કિમી રહેવાની હોઇ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે. આ ઉપરાંત વેરાવળ, રાજુલા, પોરબંદર સહિતનાં દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આજે જૂનાગઢ જિલ્લાનાં મેંદરડામાં દોઢથી બે ઇંચ, જયારે કેશોદમાં એક ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ ભીના થઇ ગયા હતા. જૂનાગઢ અને વિસાવદરમાં ઝાપટા પડયા હતાં. જ્યારે ગીર-સોમનાથ જિલ્લાનાં સૂત્રાપાડાનાં ધામળેજમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત તાલાલા, વેરાવળમાં અડધો ઇંચ અને ગીરગઢડા અને ઊનામાં ઝાપટા પડયા હતાં. તેમજ હવામાન વિભાગે ૨૩ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેની સાથે જ ૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. જેથી માછીમારોને ન ખેડવા તાકિદ કરવામાં આવી છે.

(8:42 pm IST)