Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કોંગ્રેસ દ્વારા દાંડીથી સાબરમતી આશ્રમ સુધી વાહનયાત્રા

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે આયોજન: કોંગ્રેસના આગેવાનો - કાર્યકરો કરશે : ૩૫૧ કિ.મી.ની યાત્રા : રાજયભરમાં કાર્યકરો જોડાશે

રાજકોટ, તા. ૨૩ : મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે કોંગ્રેસ દ્વારા દાંડીથી સાબરમતી આશ્રમ સુધી વાહનયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા દરમિયાન સમગ્ર રાજયભરમાંથી કાર્યકરો જોડાશે. ગામેગામ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓની આગેવાનીમાં આ વાહનયાત્રાનો તા.૨૭ના શુક્રવારે સવારે ૧૦ વાગ્યાથી દાંડીથી પ્રારંભ થશે. જે મટવાડ, જલાલપોર, નવસારી પહોંચશે. તા.૨૮ના શનિવારે સુરત અને અંકલેશ્વર જિલ્લામાં ફરશે. તા.૨૯ના ભરૂચ, કરજણ જિલ્લામાં ફરશે. રાત્રી રોકાણ વડોદરામાં થશે. તા.૩૦ના સોમવારે વડોદરામાંથી શરૂ થઈ આંકલાવ, બોરસદમાં ફરશે.

તા.૧ ઓકટોબરના સવારે ૧૦ વાગ્યે આણંદ ખાતેથી નીકળી કણઝરી, ખેડા જિલ્લામાં વાહનયાત્રા ફરશે. બપોરે નડીયાદ, મહેમદાબાદ જિલ્લામાં યાત્રા ફરશે.

તા.૨ ઓકટોબરના સવારે ૧૦ વાગ્યાથી મહેમદાવાદથી પ્રારંભ થઈ જશોદાનગરથી પ્રવેશ કરી શહેરમાં ફરશે. આ યાત્રા સાંજે ૪ વાગ્યે અમદાવાદ સાબરમતી આશ્રમ પહોંચશે. જયાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ યાત્રામાં રાજયભરમાંથી આગેવાનો તેમજ કાર્યકરો અને વિવિધ શહેરોમાં કાર્યકરો યાત્રાનું સ્વાગત કરશે.

(4:01 pm IST)