Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

પ્રદૂષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમમાં અમદાવાદ મોખરે

અમદાવાદ શહેર-જિલ્લામાં ૭૭૦ ફરિયાદોઃ હાલમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોના જવાબમાં સામે આવેલી વિગતો : પાંચ વર્ષમાં વ્યાપક ફરિયાદ થઈ

અમદાવાદ,તા. ૨૩ : હવા, પાણી અને જમીનનું ગંભીર અને જોખમી પ્રદૂષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમોમાં સમગ્ર રાજયમાં અમદાવાદનું નામ મોખરાના સ્થાને આવતાં નગરજનો અને અહીંના સ્થાનિક સત્તાતંત્ર માટે ભારે શરમજનક સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને જીપીસીબી સહિતના સત્તાવાળાઓ માટે તો આ અતિગંભીર અને લાલબત્તી સમાન વાત છે.  છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો, રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે તા. ૩૧ માર્ચ, ૨૦૧૮ની સ્થિતિએ છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૫૨૬૦ ફરિયાદો પ્રદૂષણ સંબંધી થઈ હોવાની ચોંકાવનારી હકીકત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોના જવાબમાં સામે આવી હતી.       તેનાથી પણ આઘાતજનક અને આશ્ચર્ય જન્માવે તેવી વાત તો એ છે કે, પ્રદૂષણ ફેલાવતાં આ ઔદ્યોગિક એકમો અને જેમની સામે ફરિયાદો થઇ છે, તેમાંથી માત્ર ૨૩૮૧ ઔદ્યોગિક એકમો સામે જ પગલાં લેવામાં આવ્યાં હોવાનું વિધાનસભામાં ખુદ રાજય સરકારે પોતાના જવાબમાં કબુલ્યું છે. રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોમાં અમદાવાદ મોખરે હોવાનું સામે આવ્યું છે, જે ઘણી ગંભીર અને ચિંતાનજક વાત છે. છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે સૌથી વધુ ૭૭૦ ફરિયાદો થઈ છે. ગુજરાત વિધાનસભામાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજય સરકારે આ માહિતી આપી હતી. અમદાવાદ થયેલી ફરિયાદો પૈકી પાંચ વર્ષમાં માત્ર ૨૬૪ એકમો સામે જ પગલાં લેવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ઉપરાંત સુરત, ગાંધીનગર, રાજકોટ, ભરુચ-નર્મદા, વલસાડ-ડાંગમાં મોટા પ્રમાણમાં ફરિયાદો થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રદૂષણ ફેલાવતા એકમો અંગે સૌથી ઓછી ફરિયાદો મહીસાગર, છોટાઉદ્દેપુર અને બોટાદ જિલ્લામાં થઈ હતી. પ્રદૂષણને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પ્રવર્તતી ગંભીર અને ચિંતાજનક સ્થિતિને લઇ હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ તાત્કાલિક ધોરણે અસરકારક પગલા લે તો તે હિતકારી લેખાશે એવી લાગણી પર્યાવરણવિદોમાં ઉઠવા પામી છે.

(9:16 pm IST)