Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

GLSBBA દ્વારા ત્રિદવસીય સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન

રાજીવ ખંડેલવાલે કલફેસ્ટ-૨૦૧૮નું ઉદ્ઘાટન કર્યું : ૨૫ સપ્ટે.સુધી ચાલનારા આ રાષ્ટ્રીયકક્ષાના મહોત્સવમાં દેશની ૪૦થી વધુ કોલેજોના ૭૦૦થી વધુ વિદ્યાર્થી જોડાયા

અમદાવાદ, તા.૨૩ : શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત જીએલએસ ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (જીએલએસબીબીએ) દ્વારા આજથી ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાના સાંસ્કૃતિક મહોત્સવ ઈમેજિનેશન (કલફેસ્ટ)-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન આજે જાણીતા ફિલ્મસ્ટાર અને હોસ્ટ રાજીવ ખંડેલવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતી અભિનેત્રી ભકિત કુમાવત, ગુજરાતી આર્ટીસ્ટ ઓજસ રાવલ, આર.જે.કુણાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતના સાંસ્કૃતિક મહોત્સવની થીમ સફરનામા છે. તા.૨૩થી ૨૫ સપ્ટેમ્બર સુધીના આ રાષ્ટ્રીય કક્ષાના અને શિક્ષણજગતના બહુ મહત્વના એવા સાંસ્કૃતિક મહોત્સવમાં દેશની ૪૦થી વધુ કોલેજોના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે એમ અત્રે જીએલએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પ્રો વોસ્ટ ભાલચંદ્ર જોષી અને જીએલએસબીબીએના ડાયરેકટર ડો.શેફાલી દાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીએલએસ યુનિવર્સિટીના સ્થાપક સુધીરભાઇ નાણાવટીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષણજગતમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને તેમની કલા,કૌશલ્ય અને આંતરિક પ્રતિભા માટે એક અનોખુ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉમદા આશયથી જીએલએસબીબીએ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતની થીમ સફરનામા છે એટલે કે, જીવન એક યાત્રા છે અને જીએલએસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રાનો મહત્વનો ભાગ છે. આ પ્રકારના સાંસ્કૃતિક મહોત્સવ વિદ્યાર્થીઓની માત્ર કારકિર્દી જ નહી પરંતુ વ્યવકિતત્વ ઘડતરમાં પણ બહુ પ્રોત્સાહક અને માર્ગદર્શક બની રહે છે. જીવનમાં સંસ્કૃતિ અને સર્જનાત્મકતા બંને મહત્ત્વના છે. કલ્પનાથી સર્જનાત્મકતા સ્ફૂરે છે અને ક્રિએટીવ તથા કોલોબરેટિવ અનુભવો સંસ્કૃતિ નિર્માણ અને ઘડતરમાં ઉપયોગી બને છે, જેના વિના માનવ સમાજ અધૂરો છે. આ વિચારને જ મનમાં રાખીને ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (જીએલએસ-જે.પી.શાહ બીબી), જીએલએસ યુનિવર્સિટી દ્વારા તા.૨૩, ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમ્યાન શહેરના લોગાર્ડન વિસ્તારમાં આવેલા જીએલએસ પરિસરમાં ઈમેજિનેશન-૨૦૧૮  રાષ્ટ્રીયકક્ષાના મહોત્સવનું આયોજન કરાયું છે. જીએલએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પ્રો વોસ્ટ ભાલચંદ્ર જોષી અને જીએલએસબીબીએના ડાયરેકટર ડો.શેફાલી દાણીએ વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રયી કક્ષાના આ ત્રિદિવસીય સાંસ્કૃતિક મહોત્વસમાં ૪૦થી વધુ કોલેજોના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, મહોત્સવના અંતે જીએલએસ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી સંલગ્ન કોલેજો, એ સિવાયની બાકીની કોલેજો અને જનરલ  એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર, ટ્રોફી, પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા પર્ફોર્મિંગ આર્ટ, ફાઈન આર્ટ અને લિટરરી ઈવેન્ટ સહિત ૩૧થી વધુ ઇવેન્ટમાં પોતાની પ્રતિભા રજૂ કરવામાં આવશે.  આ વર્ષના મેગા કલ્ચરલ ફેસ્ટિવલને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં પર્ફોર્મિંગ આર્ટ, ફાઈન આર્ટ અને સ્ટોરી ટેલિંગ સામેલ છે. જ્યારે અન્ય નિયમિત પસંદગીની કેટેગરીઝ જેમકે ડાન્સ, રંગોલી અને પોએટ્રી રિસાઈટેશન પણ સામેલ છે, જે બધામાં આ વર્ષના સાંસ્કૃતિક ઉત્સવને સૌથી વધુ ખાસ બનાવનાર ઈવેન્ટમાં કેટલીક અનોખી સ્પર્ધાઓ જેમકે એકાપેલા (કોઈ સાધન વિના ગાયન), ડૂડલિંગ, સ્ટોરીબોર્ડ ફોટોગ્રાફી અને આરજે હન્ટ સ્પર્ધાનો પણ સમાવેશ કરાયો  છે. નિષ્ણાત તજજ્ઞો-જજ દ્વારા વિવિધ ફિલ્ડમાં વિજેતાઓ નક્કી કરાશે. આ ફેસ્ટિવલમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓના જીવનમાં તે મોટા સીમાચિહ્નરૂપ બનશે. આ પ્રસંગે જાણીતા ફિલ્મસ્ટાર રાજીવ ખંડેલવાલે કલફેસ્ટ-૨૦૧૮નું ઉદ્ઘાટન કરી ઘણી ખુશી વ્યકત કરી હતી અને જીએલએસ સંસ્થાનો ઘણો આભાર માન્યો હતો. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ, અભિનેત્રી ભકિત કુમાવત, ગુજરાતી કલાકાર ઓજસ રાવલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

(9:10 pm IST)