Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈના કથિત ત્રાસથી કંટાળી વૃદ્ધ દંપતીના નવ દિ 'થી ઉપવાસ

ઘરની બાજુમાં પડેલી બિનવારસી ગાડીની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપતા લોકઅપમાં પુરી દીધા

 

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી. આર. વસાવા દ્વારા કથિત ત્રાસથી કંટાળી એક વૃદ્ધ દંપતી 9 દિવસથી ઉપવાસ પર બેઠું છે. જો કે પીઆઇ વસાવા તમામ આક્ષેપોન નકારી કાઢ્યા છે

   શહેરના શાહઆલમ વિસ્તારમાં જહીરૂદ્દીન મકરાણી તેમના પત્ની સાથે છેલ્લા નવ દિવસથી ઉપવાસ પર બેઠા છે. ઉપવાસ પાછળનું કારણ છે કે વૃદ્ધ દ્વારા તેમના ઘરની બાજુમાં પડેલી બિનવારસી ગાડીની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક એટલેકે દાણીલીમડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓના પેટમાં તેલ રેડાયું હતું. જેને લીધે વૃદ્ધ વ્યક્તિને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો હતો.

બાદમાં પોતાના પિતાને છોડાવવા ગયેલા યુવકને પણ દાણીલીમડા પોલીસે અટકાયતી પગલાં લઇ લોકઅપમાં ધકેલી દીધો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. જેને લઇને પરિવાર સાથે વૃદ્ધ વ્યક્તિને ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડી રહ્યા છે

ઉપવાસ પર બેઠેલા જહીરૂદ્દીન મકરાણીએ જણાવ્યું કે બાબતને લઇને તેમણે સીએમ, પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમને ન્યાય મળે તેવો લેટર પણ સીએમ ઓફિસમાંથી આવ્યો તો પણ હજુ સુધી કોઇ અધિકારી જોવા પણ આવ્યા નથી.

જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. વસાવાનું કહેવું છે કે, ઘટના બની ત્યારે કારમાલિક આવ્યા હતા અને જહીરૂદ્દીન ભાઇએ પોતાના ઝઘડાની તેમની સાથે અદાવત રાખીને રીતે બિનવારસી કારનો કોલ કર્યો હતો તેથી પગલાં લેવાયા હતા.

પણ વૃદ્ધ વ્યક્તિનું કહેવું છે કે તેમણે એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી હતી. જો કે મામલે પીઆઇ વી. આર. વસાવાએ ઉપવાસ પર બેઠેલા વૃદ્ધ મામલે તેમને મીડિયા સમક્ષ કાંઇ કહેવું નથી અને તેમના ઉચ્ચ અધિકારીઓએ પણ બાબતે બોલવાનો ઇનકાર કર્યો છે

(12:12 am IST)