Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સુરતના તક્ષશિલા અગ્નિકાંડ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૪ હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ

સુરત: સુરત સહિત દેશને હચમચાવી નાંખનારા તક્ષશિલા આર્કેડનાં અગ્નિકાંડમાં થયેલા 22 લોકોના મોતના કેસમાં તપાસ એજન્સી એવી સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચે તપાસનો અહેવાલ સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો છે. મહત્વનું છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર-પાલિકા-ફાયર અને ડીજીવીસીએલની ગંભીર લાપરવાહીને કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના 59 દિવસ બાદ આજે ક્રાઇમબ્રાંચે 11 તહોમતદારો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાંચે 4000થી વધુ પાનાની ચાર્જશીટ બનાવી છે.

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલી તક્ષશિલા આર્કેડમાં ગત 24 મે આગની ઘટના બની હતી. આ ઘટનામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે સળગી જવાથી 16 વિદ્યાર્થીઓના મોત થયા હતાં, ત્યાંજ 6 લોકોના ચોથા માળેથી કુદવાના કારણે મોત થયા હતાં. આમ સમગ્ર ઘટનમાં 22 માસૂમોનો જીવ ગયો હતો. આ ઘટનામાં ગંભીર બેદરકારી બહાર આવતા સરથાણા પોલીસમાં જવાબદારો સામે 304 અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમબ્રાંચના એસીપી આર.આર.સરવૈયાને સોંપવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચે ડ્રોઇંગ કલાસીસના સંચાલક ભાગર્વ મનસુખ બુટાણીની સૌથી પહેલી ધરપકડ કરી હતી, ત્યાર બાદ તપાસનો ધમધમાટ શરુ  હરસુખ કાનજી વેકરીયા, જીગ્નેશ સવજી પાઘડાળ, જીગ્નેશના પિતા સવજી પાઘડાળ, બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામ કહારની ધરપકડ કરી હતી.

સમગ્ર મામલે મહાનગર પાલિકાના અધિકારીઓની જાની જોઇને કરાયેલી બેદરકારી પણ સામે આવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે મનપાના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, જયેશ સોલંકી, ફાયર બ્રિગેડના એસ.કે આચાર્ય અને કિર્તી મોઢ ડેપ્યુટી ઈજનેર વિનુ પરમારની ધરપકડ પણ કરી હતી. સમગ્ર મામલે ઘટનાના દિવસે ડીજીવીસીએલની સીધી બે જવાબદારી  સામે આવી હતી જેથી ડીજીવીસીએલના નાયબ ઈજનેર દિપક ઈશ્વરલાલ નાયકની ધરપકડ કરાઈ હતી. તમામ આરોપીઓ હાલ સુરતની લાજપોર જેલમાં છે.

આ અગ્નિકાંડને 59 દિવસ થયા છે. ત્યારે ક્રાઇમબ્રાંચ દ્વારા 11 તહોમતદારો સામે સુરત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.  4000થી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે, જેમાં આરોપીઓની શું ભૂમિકા હતી તેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં 150થી વધુ સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.  આ કેસમાં ત્રણ આરોપી હજુ પણ ફરાર છે, જેમાં હિમાંશું ગજ્જર, અતુલ ગોડસાવાલા અને દિનેશ નામના આરોપીને ચાર્જશીટમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ચાર્જશીટ અંગે પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિ કાંડની તપાસ ખૂબ મહત્વની હતી કારણકે અલગ અલગ વિભાગ સાથે સંકળાયેલા લોકોની અને અધિકારીઓની તપાસ કરવામાં આવતી હતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો અલગ પ્રકારનો રોલ હતો જ્યારે ફાયર વિભાગના અધિકારીઓની જવાબદારી અલગ હતી તો દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ કરેલી ભૂલો પણ ખૂબ મહત્વની હતી.

સુરત ક્રાઇમ બ્રાંચના એ.સી.પી.આર.આર સરવૈયાની ટીમે તપાસમાં ઝીણામાં ઝીણી વિગતોને યોગ્ય રીતે તપાસી હતી જે આ કિસ્સામાં જવાબદાર હતા. તેમની શું ભૂલો હતી શું ક્ષતિ હતી તેની યોગ્ય રીતે તપાસ કરી ધરપકડ કરવામાં આવી હતી. મનપાના અધિકારીઓ દ્વારા ઈંપેક્ટ ફીના કાયદાનું પાલન કરવાના બહાના હેઠળ અયોગ્ય રીતે બિલ્ડિંગને મજૂરી આપી હતી. તો ફાયરના અધિકારીઓએ પણ ફાયર સેફટીની કામગીરી યોગ્ય રીતે કરી ન હતી.

ડીજીવીસીએલના અધિકારીએ પણ ઓવરલોડની ફરિયાદ છતાં કાર્યવાહી કરી ન હતી. ઉલટાનું ગેરકાયદેસર કનેક્શન આપવામાં આવ્યું હતું. આમ જેની જે ભૂમિકા આ કેસમાં છે તેનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે. આ એક દાખલરૂપ કામગીરી છે. જેમાં અલગ અલગ સંસ્થા અને વિભાગોની બેદરકારી સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે. અમારી તપાસ હજુ પણ ચાલુ છે અને વોન્ટેડ આરોપીઓ ઉપરતાં તપાસમાં જે પણ નામ સામે આવશે તેની સામે કાર્યવાહી કરવાના આવશે.

(5:40 pm IST)