Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગુજરામાં ૧૯ જળાશય હાઈએલર્ટ પર મુકાયા

સરદાર સરોવરમાં સંગ્રહ વધ્યો

અમદાવાદ,તા.૨૩: રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૩/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ૧૯ જળાશયો હાઇએલર્ટ, ૧૦ જળાશયો એલર્ટ તેમજ ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને અંબાજળ, પોરબંદરનું અમીરપુર, તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી એમ કુલ ૧૯ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજયના કુલ ૧૦ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૧ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૩,૦૧૭ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૮૨ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૪ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૩,૨૮,૫૮૬ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના ૩૬.૮૯ ટકા છે.

(10:26 pm IST)