Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમદાવાદમાં સફાઈનું કામ બંધઃ ૧૫ હજાર સફાઈ કર્મચારીઓની હડતાલ હડતાલીયા સફાઈ કર્મીઓ સામે લેવાશે કડક પગલાઃ વિજય નેહરા

વરસદારોને નોકરી આપો સહિતની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા :અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરાએ જે કામદારો કામે નહી આવે તેને નોકરી પરથી દુર કરાશેઃ અસામાજીક પ્રવૃત્તિ કરનાર સામે ફરિયાદ કરાશેઃ પડતર માંગણી લઈને હડતાળઃ દરમહિને રૂ.૩૨૫ કરોડ પગાર  ચૂકવાય છે

અમદાવાદ,તા.૨૩: એક તરફ શુક્રવારની સાંજે પડેલા ભારે વરસાદથી ઠેર ઠેર ભૂવા પડતાં અને રસ્તા તૂટવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ગત ચોમાસાની જેમ આગામી દિવસોમાં શહેરના રસ્તાની હાલત વધુ કફોડી થવાની દહેશત ઊભી થઈ છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા હોઈ પ્રજાની હાલાકીમાં વધારો થયો છે.

ગત તા. ૧ એપ્રિલ, ૨૦૧૮થી તંત્ર દ્વારા ૬૨૦૦ રોજિંદા સફાઈ કામદારને કાયમી કરાયા છે, પરંતુ તેમનું ફરજ દરમિયાન નિધન થાય તો તેમના એક વારસદારને નોકરી આપવી, તંત્રના જીડીઈએસટીમાં સહાયક શબ્દ કાઢીને કાયમી શબ્દનો ઉલ્લેખ કરવો, મુકાદમની ખાલી જગ્યા પર સિનિયોરિટીના આધારે સફાઈ કામદારની નિમણૂક કરવી, નગરપાલિકા અને ગ્રામ પંચાયત સમયના કાયમી થવા પાત્ર સફાઈ કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ ૧૬ માગણી માટે આજથી મ્યુનિસિપલ નોકરમંડળ સાથે જોડાયેલા સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી ગયા છે.

નોકરમંડળના પ્રમુખ દેવકરણ મકવાણા અને મહામંત્રી કલ્પેશ મકવાણાએ કહ્યું હતું કે તમામે તમામ ૧૫ હજાર સફાઈ કર્મચારી હડતાળ પર ઉતરી ગયા છે.

દરમિયાન આ લખાય છે ત્યારે  નોકરમંડળના પદાધિકારીઓની બેઠક મળી રહી છે. જેમાં તંત્ર સામેનાં ધરણાં, પ્રદર્શન સહિતના કાર્યક્રમો નક્કી કરાશે. જોકે અમારી હડતાળ ગાંધીચીંધ્યા માર્ગે અહિંસક રહેશે. તેમ જણાવાયું હતું. દરમિયાન આજની હડતાળમાં મેનહોલ કર્મચારી જોડાયા નથી તેવો દાવો એક અન્ય યુનિયનના અગ્રણી નરેશ પરમારે કર્યો છે.

આ દરમિયાન મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નવા પશ્યિમ ઝોન સિવાય શહેરભરમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા હોવાનો નિખાલસ એકરાર કર્યો છે. જોકે આ લખાય છે ત્યારે કયાંયથી કોઈ અજુગતો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું નથી.(૩૦.૧૦)

 

(4:06 pm IST)