Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વર્ષમાં એક લાખ દિવ્‍યાંગોને કૌશલ્‍યયુકત તાલીમ અપાશે

દિવ્‍યાંગના સંબંધમાં મહત્‍વપર્ણ જાહેરાત કરાઈ : દિવ્‍યાંગોના મગજ અને ક્ષમતાના આધારે તેમના કૌશલ્‍યને વિકસાવતો વધારાનો તાલીમી અભ્‍યાસક્રમ ઉપયોગી હશે

અમદાવાદ,તા.૨૩: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા અંધ-અપંગ અને માનસિક વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ માટે દિવ્‍યાંગનો અનોખો શબ્‍દ આપ્‍યા બાદ સ્‍કીલ્‍સ ઇન્‍ડિયાનું અનોખું અભિયાન છેડયું છે ત્‍યારે તેને સાર્થક કરતાં દિવ્‍યાંગો માટે ગુજરાતના સૌપ્રથમ રેડીકલ સ્‍કીલ્‍સ સેન્‍ટર(રાજપથ કલબ પાસે, અમદાવાદનું કેન્‍દ્રના દિવ્‍યાંગ સશકિતકરણ વિભાગના સચિવ શ્રીમતી શકુંતલા ગેમલીન દ્વારા ઉદ્‌ધાટન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કેન્‍દ્રીય સચિવ શકુંતલા ગેમલીને જણાવ્‍યું હતું કે, દિવ્‍યાંગોને કૌશલ્‍યયુકત તાલીમ આપી તેઓને નોકરી-રોજગાર માટે સજ્જ અને સશકત કરવા કેન્‍દ્ર સરકાર કટિબધ્‍ધ છે. આ માટે કેન્‍દ્ર સરકાર આશરે રૂ.૮૦ કરોડ જેટલું માતબર ભંડોળ પણ તેમના સ્‍કીલ્‍સ ડેવલપમેન્‍ટ અને ટ્રેનીંગ માટે ફાળવી રહી છે. સાથે સાથે દિવ્‍યાંગોના મગજ અને ક્ષમતાના આધારે તેમના કૌશલ્‍યને વિકસાવતો વધારાનો તાલીમી અભ્‍યાસક્રમ પણ ટૂંક સમયમાં અમલી બનાવવા સરકાર જઇ રહી છે. કેન્‍દ્ર સરકાર દર વર્ષે એક લાખથી વધુ દિવ્‍યાંગોને કૌશલ્‍યયુકત તાલીમ આપવા માંગે છે.

         તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આજનો જમાનો સ્‍કીલ્‍સ, ટેકનોલોજી અને વિકાસનો છે. દિવ્‍યાંગો સહિત દેશના યુવાધનને પણ સ્‍કીલ્‍સ ઇન્‍ડિયા હેઠળ કૌશલ્‍યયુકત તાલીમ અને રોજગારની તક કેન્‍દ્ર સરકાર પૂરી પાડી રહી છે. જો કે, દિવ્‍યાંગો માટે સરકાર ખાસ ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે. જુદા જુદા ૭૫૦ જેટલા ેક્ષેત્રોમાં દિવ્‍યાંગોને તક પૂરી પાડવાની સાથે પ્રાથમિક તબક્કામાં ૬૫ જેટલા વિવિધ ક્ષેત્રોમાં દિવ્‍યાંગોને કૌશલ્‍યયુકત તાલીમ અને રોજગારીનું અમલીકરણ થશે. દિવ્‍યાંગોના મગજ, તેમની શારીરિક ક્ષમતા અને તેમના જમાપાસાને ધ્‍યાનમાં રાખી સરકાર નિષ્‍ણાત તજજ્ઞો, ન્‍યુરોલોજીસ્‍ટ ડોકટરો, ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓ અને વિષયના જાણકાર અનુભવીઓ સાથે સલાહમસલત કર્યા બાદ તેમના વિશેષ તાલીમી અભ્‍યાસક્રમને ટૂંક સમયમાં અમલી બનાવવા જઇ રહી છે. ગુજરાતમાં આજે ખૂલેલું ખાસ દિવ્‍યાંગો માટેનું રેડીકલ સ્‍કીલ્‍સ સેન્‍ટર તેમના માટે આશીર્વાદ સમાન બની રહેશે. આ પ્રસંગે રેડીકલ સ્‍કીલ્‍સ સેન્‍ટરના વડા આનંદ માડિયાએ જણાવ્‍યું હતું કે, દિવ્‍યાંગો માટેના જરૂરી ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડિજીટલ ટેકનોલોજી, નિષ્‍ણાતો દ્વારા તાલીમ, આઇટી સહિત સર્વગ્રાહી તાલીમ સહિતની અદ્યતન સુવિધા અને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડતું રેડીકલ સ્‍કીલ્‍સ સેન્‍ટર દિવ્‍યાંગોને વૈશ્વિક નોલેજ વર્કર અને નોલેજ એન્‍ટરપ્રિન્‍યોર તરીકે બદલવાની તક પૂરી પાડશે. દિવ્‍યાંગોને કૌશલ્‍યયુકત તાલીમમાં વ્‍યકિતગત રીતે ડિઝાઇન, સોફ્‌ટવેર, હાર્ડવેર, ટેકનોલોજી અને ક્રિએટીવ આવડતથી લઇ પ્રોફેશનલ લક્ષ્યાંક હાંસલ કરવામાં આ સેન્‍ટર બહુ ઉમદા પ્‍લેટફોર્મ બની રહેશે. રેડીકલ સ્‍કીલ્‍સ સેન્‍ટરે રાજયની સૌપ્રથમક સ્‍ટાર્ટ અપ યુનિર્વસિટી સાથે પણ જોડાણ કર્યું છે અને તેથી દિવ્‍યાંગોને કાયદેસર પ્રમાણપત્ર પણ અપાશે કે જેથી તેઓ દેશમાં કે વિશ્વમાં કયાંય પણ પ્રોફેશનલ કેરિયરમાં સન્‍માનજનક સ્‍થાન હાંસલ કરી શકશે. આ પ્રસંગે અપસ્‍કીલ્‍સ ઇન્‍ડિયાના ડિરેકટર માનસી અગ્રવાલ, જાણીતા એન્‍ટરપ્રિન્‍યોર ભરત પટેલ સહિતના મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

 

 

(9:05 pm IST)