Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

IOC ધોરી ગેસ એજન્‍સીને ૧૫ વર્ષની લડત બાદ ન્‍યાય

કોમી તોફાનમાં ૨.૬૦લાખનું નુકસાન થયું હતું : એજન્‍સીને ૨૦૦૩થી ૬૭ હજારથી વધુનું વળતર ૯ ટકા વ્‍યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને ફોરમનું ફરમાન

અમદાવાદ,તા.૨૩ : ગોધરાકાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમ્‍યાન અમદાવાદ શહેરમાં પાલડી વિસ્‍તારમાં આવેલી ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશનની ધોરી ગેસ એજન્‍સીને તોફાની ટોળાઓ દ્વારા નિશાન બનાવાઇ હતી અને એજન્‍સીમાં ગેસના સિલિન્‍ડર, રેગ્‍યુલેટર, રબર ટયુબ તથા હોટ પ્‍લેટ - સ્‍ટવ, ર્ફનિચર, કાચ, કોમ્‍પ્‍યુટર વિગેરેને નુકસાન-લુંટફાટ કરી રૂા. ૨,૬૦,૯૩૩ નું નુકસાન પહોંચાડયું હતું. જેમાં નુકસાનીનું વળતર મેળવવા ધોરી એજન્‍સીને ગ્રાહક ફોરમ, સ્‍ટેટ કમીશનથી લઇ નેશનલ કમીશન અને ત્‍યારબાદ પુનઃ અમદાવાદ એડીશનલ ગ્રાહક ફોરમ સુધી ૧૫-૧૫ વર્ષોની લાંબી કાનુની લડત લડવી પડી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફરિયાદી એજન્‍સીને પંદર-પંદર વર્ષોના લાંબા વ્‍હાણાં વીતવા છતાં કાનૂની લડતમાં સતત સાથ આપી આખરે ન્‍યાય અપાવ્‍યો હતો. અમદાવાદ એડિશનલ ગ્રાહ્‌ક તકરાર નિવારણ ફોરમે ફરિયાદી એજન્‍સીને ૨૦૦૩થી રૂ.૬૭ હજારથી વધુનું વળતર ૯ ટકા વ્‍યાજ સાથે ચૂકવી આપવા પ્રતિવાદી નેશનલ ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીને ફરમાન કર્યું હતું. ખૂબ જ મહત્‍વપૂર્ણ એવા આ કેસની વિગતો એવી છે કે, ગત તા. ૨૭-૦૨-૨૦૦૨ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્‍સપ્રેસને આગ લગાડવાના ગોધરાકાંડને પગલે રાજયભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્‍યા હતા. એ દરમ્‍યાન અમદાવાદ શહેરના પાલડી વિસ્‍તારમાં પ્રતીક્ષા કોમ્‍પલેક્ષમાં આવેલ ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશનની ધોરી ગેસ એજન્‍સીને તોફાની ટોળાએ તોડફોડ કરી નિશાન બનાવી હતી. જેમાં એજન્‍સીને રૂ.૨,૬૦,૯૩૩નું નુકસાન થયું હતું. ગેસ એજન્‍સીના માલિકે નેસનલ ઈન્‍સ્‍યોરન્‍સ કં.ના એલપીજી વિતરક તરીકે કમ્‍બાઈન પોલીસી લીધી હતી અને દાવાવાળી પોલીસી દરમ્‍યાન એજન્‍સીનું નુકસાન થયુ હોવાથી વળતરની રકમ મેળવવા દાવો કર્યો હતો. પરંતુ નેશનલ ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીએ આ દાવો નકારતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય) ના પ્રમુખ મુકેશ પરીખે અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વીમાકંપની સામે ધોરી ગેસ એજન્‍સી વતી ફરીયાદ દાખલ કરી હતી. જો કે, ફોરમે ફરિયાદ કાઢી નાંખતા મુકેશ પરીખે  ગુજરાત રાજ્‍ય ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફોરમના ચુકાદાને પડકારીને ફર્સ્‍ટ અપીલ કરી હતી. સ્‍ટેટ કમીશને ફરિયાદીની અપીલ મંજૂર કરી હતી અને સર્વેયરના સર્વે રીપોર્ટ પ્રમાણે રૂા. ૧,૦૧,૮૯૫નું વળતર ફરિયાદીને તા. ૨૨-૦૧-૨૦૦૩ થી વ્‍યાજ સાથે ચુકવી આપવા વીમાકંપનીને ફરમાન કર્યું હતું. પરંતુ આ હુકમથી નારાજ વીમાકંપનીએ આ ચુકાદા સામે નેશનલ કમીશન નવી દિલ્‍હી સમક્ષ રિવિઝન પીટીશન દાખલ કરી હતી. 

નેશનલ કમીશને આ કેસ ફરીથી પુનઃ સમીક્ષા અર્થે અમદાવાદ શહેર (એડીશનલ) ગ્રાહક તકરાર નિવારણ ફોરમને રિમાન્‍ડ કરતાં તેની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં અમદાવાદ એડીશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ડી.બી.નાયક અને સભ્‍યો શ્રીમતી કે.એસ.નાણાંવટી અને કે.પી.મહેતાએ ફરીયાદ અરજી અને દાદ અંશતઃ મંજુર કરી, નેશનલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીને ફરમાન કર્યું હતું કે, ફરીયાદીને રૂા. ૬૭,૦૦૫ની રકમ તા. ૨૨-૦૧-૨૦૦૩ થી વસુલ થતા સુધીના ૯ ટકાના વ્‍યાજ સાથે ચૂકવી આપવી. ઉપરાતં, માનસિક ત્રાસ અને ખર્ચના રૂા. ૫,૦૦૦ અલગથી ચુકવવાના રહેશે. ફોરમે નોંધ્‍યું હતું કે, આ કેસમાં સર્વેયરનો રીપોર્ટ, નુકશાન અંગેના ફોટોગ્રાફ્‌સ વિગેરે ધ્‍યાને લેવાપાત્ર છે. ગ્રાહક સુરક્ષા ધારા અન્‍વયે ફરીયાદી ગ્રાહકોને સમયસર ગુણવત્તાલક્ષી ચુકાદાઓ દ્વારા ઝડપી ન્‍યાય મળવો જોઈએ.

(9:04 pm IST)