Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અમદાવાદમાં બે મહિલાઓના આપઘાત બાદ નવો ખુલાસોઃ બંને વચ્ચે સજાતિય સંબંધો હોવાના કારણે નોકરીમાંથી પાણીચુ આપવામાં આવ્યુ હતું: નોકરીની જગ્‍યાએ બંને મહિલાઓ કલાકો સુધી એક જ બાથરૂમમાં પુરાઇ રહેતી હતી

અમદાવાદઃ અમદાવાદમાં થોડા સમય પહેલા સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેનાર બંને મહિલાઓ સજાતિય સંબંધો ધરાવતી હતી અને બંનેને આ કારણોથી નોકરીમાંથી પણ પાણીચુ આપી દેવામાં આવ્યું હતું.

આત્મહત્યા કરી લેનાર બે મહિલાઓ આશા ઠાકોર અને ભાવના ઠાકોર લેસ્બિયન કપલ હોવાના કારણે નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. કપલે આત્મહત્યા કરતા પહેલા લિપ્સ્ટિકથી સ્યુસાઇડ નોટ લખી હતી કે દુનિયા તેમને એકસાથે રહેવા દેતી નથી તેઓ હવે મૃત્યુ બાદ એકસાથે રહેશે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મહિલાઓ ચાંગોદર ઇન્ડસ્ટ્રીય એરિયામાં આવેલ એક પ્લાયવુડના કારખાનામાં નોકરી કરતી હતી. જોકે બંને મહિલાઓના સંબંધો ત્યાં ઉજાગર થઈ જતા મેનેજમેન્ટને લાગ્યું કે તેમના સંબંધોની અવળી અસર અન્ય કર્મીઓ પર પડી શકે છે જેથી તેમણે બંનેને નોકરીમાંથી પાણીચુ આપી દીધું હતું.

રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ. સિંહે કહ્યું કે, ‘તપાસમાં અમને કહેવામાં આવ્યું કે બંને કંપનીમાં પણ એકસાથે રહેતી હતી અને કલાકો સુધી બંને એક જ બાથરુમમાં પુરાઈ રહેતી હતી. જેના કારણે કંપનીના કામકાજ પર અસર પડતી હોવા ઉપરાંત અન્ય કર્મચારીઓ પર પણ ઉલ્ટી અસર ન પડે તે માટે આગમચેતી રુપે તેમને નોકરી પરથી રજા આપી દેવામાં આવી હતી.

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ગુજરી બજાર પાસે આવેલ વોકવે પરથી આશા(30) અને ભાવના(28) બંનેએ આશાની 3 વર્ષની પુત્રી મેઘા સાથે સાબરમતીમાં કુદી જીવ આપ્યો હતો. સૂત્રોએ કહ્યું કે, ‘બંનેના પતિઓની કોઈ ફિક્સ આવક નહોતી.પોલીસે કહ્યુંકે, ‘તેમના સહકર્મચારીઓ અને પરિવારના સભ્યો બંનેના સંબંધો અંગે જાણતા હતા.

જ્યારે આ બાબતે આશાના પતિ હિંમત ઠાકોરની સંપર્ક કરવામા આવ્યો તો તેમણે કહ્યું કે, ‘આશાએ બે મહિના પહેલા એમ કહીને જોબ છોડી દીધી હતી કે તેને ત્યાં કામ કરવાનું ફાવતું નથી પરંતુ નોકરીમાંથી કાઢી મુકવામાં આવી છે તેવું જણાવ્યું નહોતું.

આશાના પતિએ કહ્યું કે, ‘આશાએ મને 4 મહિના પહેલા જ જણાવ્યું હતું કે તેના અને ભાવના વચ્ચે શારીરિક સંબંધો છે. જોકે મને આ બાબતે કોઈ વિરોધ નહોતો કેમ કે તેના બીજી કોઈ સ્ત્રી માટેના પ્રેમ છતા હું તેની સાથે જીવન જીવવા માગતો હતો.જ્યારે ભાવનાના પતિ કાંતિને આ અંગે જાણ થતા તેને આ સંબંધ મંજૂર નહોતો. ગત 8 જૂને જ્યારે ભાવનાએ આશા સાથે કાંતિનું ઘર છોડી દીધું ત્યારે કાંતિએ પણ આત્મહત્યા કરી હતી.

(6:25 pm IST)