Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ગુજરાત હાઇકોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન મામલે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આ મામલો વધુ ગુંચવાયોઃ સોમવારે વધુ સુનાવણી

અમદાવાદઃ બુલેટ ટ્રેન આડે જુદા-જુદા અવરોધો આવી રહ્યા છે ત્‍યારે હવે જમીન સંપાદન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આ પ્રકરણમાં સોમવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુરુવારે સુરત જિલ્લાના ખેડૂતો ગુજરાત હાઈકોર્ટ પહોંચતા કોર્ટે કડક વલણ અપનાવી ગુજરાત સરકારની જમીન સંપાદન મામલે ઝટકણી કાઢી હતી. જમીન સંપાદન માટે કેન્દ્ર નહીં પણ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કરતા આ પ્રોજેક્ટમાં જેમની જમીન સંપાદિત થઈ શકે છે તેવા ખેડૂતોએ વિરોધ સાથે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને માગણી કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા જાહેર પાડવામાં આવેલ નોટિફિકેશનને રદ કરવામાં આવે અને કેન્દ્ર દ્વારા સમગ્ર પ્રોસેસ ફરીથી સ્ટાર્ટ કરવામાં આવે.

જેને લઈને કેસની સુનાવણી કરતી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની આગેવાનીવાળી બેન્ચે સરકારને સવાલ પૂછ્યા હતા કે બુલેટ ટ્રેના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા રાજ્ય સરકાર સક્ષમ ઓથોરિટી છે કે નહીં તે દર્શાવતા દસ્તાવેજ રજૂ કરેજ્યારે અપીલકર્તા તરફથી કોર્ટમા રજૂ થનાર વકીલ આનંદ યાજ્ઞીકે કહ્યું કે, ‘અમદાવાદ-મુંબઈ વચ્ચે બનનારો 508 કીમી લાંબો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેન્દ્રીય એજન્સી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યો છે. જે માટે બંને રાજ્યોમાં જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે પ્રોજેક્ટ બનાવનાર એજન્સી કેન્દ્રીય હોવા છતા રાજ્ય સરકારે સંપાદન માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

તો આ સાથે જ સંપાદનની પ્રક્રિયા બીજા એ મુદ્દે કાયદાકીય આંટીઘૂટીમાં પડી છે કે રાજ્ય સરકારે સંપાદન માટે 2013માં બનાવવામાં આવેલ નવા કાયદા મુજબ જેમની જમીન સંપાદન થવાની છે તેમની સહમતી સાધી નહોતી. તેમાં પણ જો કેન્દ્રીય એજન્સી આ પ્રોજેક્ટ બનાવી રહી હોય તો કાયાદની દ્રષ્ટીએ જમીન સંપાદન કર્યા પહેલા સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરવું ફરજીયાત છે. તેમજ પ્રોજેક્ટમાં જેમની પણ જમીન પર અસર પડે છે તેવા લોકોને સ્થાળાંતરીત કરી અન્ય જગ્યાએ આ જ પ્રમાણે વસાવવા જોઈએ. જ્યારે હાલ ગુજરાત સરકારના નોટિફિકેશનમાં 2013ના કાયદા મુજબની જોગવાઈ અદ્રશ્ય છે. જેના કારણે આ નોટિફિકેશનને રદ કરી દેવું જોઈએ.

નોટિફિકેશન રદ કરવા માટે ત્રીજુ કારણ આપતા વકીલે કહ્યું હતું કે, ‘નોટિફિકેશનમાં જમીનની જગ્યાએ કમ્પેન્શેસન માટે જે રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે 2011ની જંત્રીના ભાવ મજુબ છે. જ્યારે નિયમ મુજબ નવા જંત્રી ભાવ અને જમીનના માર્કેટ ભાવ અનુસાર વળતરની રકમ હોવી જોઈએ.

દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ આર.એસ. રેડ્ડીની આગેવાની ધરાવતી પીઠે કહ્યું કે, ‘નવા કાયદાનો મુખ્ય હેતું જ ખેડૂતોને સારામાં સારા તાજેતરના માર્કેટ ભાવ વળતર તરીકે ચૂકવવાનો છે. આ માટે જંત્રીને પણ રીવાઇઝ્ડ કરવી પડે.આ સાથે સરકારની પણ ઝાટકણી કાઢી હતી તેમજ આગમી સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી હતી.

(5:21 pm IST)