Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રેલવે સ્ટેશન જતી બસમાં જ મહિલાએ શિશુને જન્મ આપ્યો

૧૦૮ પહોંચે તે પહેલા જ પ્રસૂતિ થઈ : મહિલા અને બાળકનું સ્વાસ્થ્ય સારૂ હોવાથી ડિલિવરી બાદ બંને ટ્રેનમાં જવા રવાના થયા : તંત્રએ પેંડા વહેંચ્યા

અમદાવાદ, તા. ૨૩  : કોરોના કહેરના કારણે દેશમાં લોકડાઉન થયું છે. જે બાદમાં શ્રમિકોને ખાવાના ફાફા પડી રહ્યાં છે. ખાવાનું અને કામ હોવાથી અનેક શ્રમિકો પગપાળા વતન જવા નીકળી પડ્યા હતાં. જે બાદમાં સરકારે જાહેરાત કરી કે જે પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માંગે છે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત રોડ પર પગપાળા જતા લોકોને પણ શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા હતાં. હવે તેમને ક્રમશઃ તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદથી પણ શ્રમિકોને વતન મોકલવા માટે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. દરમિયાન એક શ્રમિક મહિલાએ રેલવે સ્ટેશન જતી વખતે બસમાં બાળકને જન્મ આપ્યો છે.

        કઠવાડા ખાતે રહેતા શ્રમિકોને છત્તીસગઢ મોકલવામાં આવી રહ્યા છે. શ્રમિકોમાં અંજના ટંડેલ નામની એક મહિલા પણ સામેલ હતી. અંજનાબહેનને ૯મો મહિનો ચાલતો હતો. તે પતિ સાથે કઠવાડા રહેતી હતી. દરમિયાન સરકાર દ્વારા છતીસગઢના શ્રમિકોને મોકલવા માટેની વ્યવસ્થા થતાં તેણે પણ વતન જવાની ઇચ્છા પ્રગટ કરી હતી. જે અનુસંધાને આજે કઠવાડા ખાતે શેલ્ટર હાઉસ અને અન્ય મજૂરોને રેલવે સ્ટેશન પહોંચાડવા માટે વિશેષ બસ દોડાવવામાં આવી હતી. બસ કઠવાડાથી વસ્ત્રાલ મહેસૂલ ભવન પહોંચી હતી. અહીંથી છત્તીસગઢના લોકોને રેલવે સ્ટેશન લઈ જવાના હતા. વસ્ત્રાલ મહેસૂલ ભવનથી બસ ઉપડે તે પહેલા અંજનાને પ્રસવ પીડા ઊપડી તી જે બાદમાં તંત્ર દ્વારા ફોન કરીને ૧૦૮ એમ્બ્યુલન્સનેબોલાવવામાં આવી હતી. જો કે ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં અંજનાબેને બસમાં બાળકને જન્મ આપી દીધો હતો.

(9:49 pm IST)