Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગુજરાતમાં ચેઇન સ્નેચરોને ૧૦ વર્ષ સુધીની સજા કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી

ગુજરાત વિધાનસભાએ સપ્ટેમ્બર ૨૦૧૮માં આઈપીસીની કલમ ૩૭૯માં સુધારો કર્યો હતો અને તેમાં વધુ બે કલમ ૩૭૯એ અને ૩૭૯બી ઉમેરી હતી

નવી દિલ્હી તા. ૨૩ : દેશના અન્ય રાજયમાં ચેઈન સ્નેચરોને ત્રણ વર્ષની સજા આપતા કાયદાની સરખામણીએ ગુજરાત રાજયમાં ચેઈન સ્નેચરોને ૧૦ વર્ષ સુધીની સજા આપતા કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.

ચેઈન સ્નેચિંગના ગુના બદલ તેમ જ એ પ્રક્રિયા દરમિયાન સંબંધિત વ્યકિતને ઈજા કરવા બદલ ક્રિમિનલ લો (ગુજરાત અમેન્ડમેન્ટ) ખરડા ૨૦૧૮ અંતર્ગત ગુનેગારને વધુમાં વધુ દસ વર્ષની જેલની સજા ઉપરાંત રૂ. ૨૫૦૦૦નો દંડ કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ આ ખરડાને મંજૂરી આપી દીધી હોવાનું ગૃહ ખાતાના અધિકારીઓએ કહ્યું હતું. દેશના અન્ય રાજયોમાં સમાન્ય રીતે ચેઈન સ્નેચરોને આઈપીસીની કલમ ૩૭૯ હેઠળ ત્રણ વર્ષની જેલની સજા અથવા દંડ કે પછી બંને કરવામાં આવે છે. અમુક રાજયો આ કાયદાને રાષ્ટ્રપતિ મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાએ સપ્ટેમ્બર ૨૦૧૮માં આઈપીસીની કલમ ૩૭૯માં સુધારો કર્યો હતો અને તેમાં વધુ બે કલમ ૩૭૯એ અને ૩૭૯બી ઉમેરી હતી અને ગુનેગારોને કડક સજા થાય તેની ખાતરી કરી હતી. ગુજરાત સરકારે આ કાયદો ઘડી કાઢ્યો હતો કેમ કે આઈપીસીની કલમ ૩૭૯ હેઠળ ચોરી માટે કરવામાં આવતી સજા ગુનેગારોને ગુનો કરવા નિરૂત્સાહી અપૂરતી જણાતી હતી કેમ કે મોટાભાગે ગુનેગારો જામીન મેળવી લેતા હતા, એમ અન્ય એક અધિકારીએ કહ્યું હતું.

નવા કાયદાનુસાર ચેઈન સ્નેચરને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવશે, પરંતુ ગુનો કરતી વખતે જો તે સંબંધિત વ્યકિતને ઈજા પહોંચાડશે તો તેવા સંજોગોમાં તેને દસ વર્ષ સુધીની જેલની સજા કરવાની આ કાયદામાં જોગવાઈ છે.(૨૧.૩)

(9:28 am IST)