Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

બાવળા-ધોળકા રોડ પર ચાલુ બાઇકમાં આગ : બે મોત થયા

પત્નિ પણ આગની જવાળામાં સપડાતાં દાઝી ગઇ : પતિ-પત્ની, તેમના મિત્ર બાઇક ઉપર જઇ રહ્યા હતા ત્યારે મોડી રાત્રે બનેલો બનાવ : એફએસએલની સહાય લેવાશે

અમદાવાદ,તા.૨૨  : બાવળા ધોળકા હાઇવે પર ગઇકાલે રાત્રે ચાલુ બાઇક પર આગ લાગતા બે વ્યક્તિના મોત નીપજયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે દાઝી જતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગઇ મોડી રાત્રે બાઇક પર પતિ-પત્ની અને તેમના મિત્ર બાઇક પર બાવળા તરફ આવતા હતા, ત્યારે બાવળા-ધોળકા રોડ પર આ વિચિત્ર ઘટના બની હતી અને બાઇકમાં કોઇક કારણસર અચાનક આગ લાગતાં પતિ અને તેનો મિત્ર આગમાં ગંભીર રીતે સપડાતાં તેમનું મૃત્યુ નીપજયું હતું. જયારે આ બનાવમાં પત્ની પણ દાઝી ગઇ હતી. બાવળા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોત દાખલ કરી તપાસ શરૂ કરી છે. એટલું જ નહી, પોલીસે આ પ્રકરણમાં એફએસએલની પણ મદદ લેવાની તજવીજ હાથ ધરી છે. જો કે, આ બનાવને લઇ થોડી વિચિત્રતા અને સવાલો પણ હોઇ પોલીસ તમામ શકયતાઓ ચકાસવાની દિશામાં પણ તપાસ કરી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ મહિસાગર જિલ્લાના ભાણાસીમલ ગામના રહેવાસી રાકેશભાઇ ડામોર તેમના પત્ની આરતીબેન ડામોર અને સચિનભાઇ મિસ્ત્રી (મેઘાણીનગર, અમદાવાદ) ગઇકાલે રાત્રે બાઇક પર બાવળા તરફ આવી રહ્યા હતા, ત્યારે બાવળા- ધોળકા રોડ પર અચાનક બાઇકમાં આગ લાગી હતી. આગ લાગતા જ તેઓએ બાઇક ઉભી રાખી દીધી હતી. પરંતુ આગ વધુ લાગી હોવાના કારણે આગ બુઝાવવાના ચકકરમાં ત્રણેય જણાં ગંભીર રીતે આગની ઝપેટમાં આવી હતા. ગંભીર રીતે દાઝેલા સચિનભાઇ મિસ્ત્રી અને રાકેશભાઇ ડામોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આરતીબેન પણ દાઝી ગયા હતા. જો કે, તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને બે વ્યકિતના મોતને લઇ અરેરાટીની લાગણી પ્રસરી હતી. બીજીબાજુ, બનાવની ખબર પડતાં બાવળા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે હવે બાઇકમાં આગ કઇ રીતે લાગી તે અંગે એફએસએલ દ્વારા તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

(9:07 pm IST)