Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજયમાં ઓક્સિજનની વિતરણ તથા ફાળવણીના મોનીટરીંગ કરવા બે IASને કામગીરી સોંપાઈ : નોડલ ઓફિસર તરીકે નિમણુંક

આઇએએસ ધનંજય દ્રિવેદી તથા આઇએસ સંજીવ કુમારને જવાબદારી સોંપાઈ

કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનની બૂમરેંગ ઉઠી છે. પરિણામે કેટલાંક લોકો મૃત્યુ પામ્યા હોવાની સાથોસાથ દર્દીઓની દયનીય પરિસ્થિતિમાં મૂકાયાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ બાબતોને નજર સમક્ષ રાખીને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં ઓક્સિજનની ફાળવણીથી માંડીને વિતરણ કરવા માટે બે IAS અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરી છે. જેમાં નર્મદા, વોટર રિસોર્સ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટના સચિવ આઇએએસ ધનંજય દ્રિવેદી તથા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડના મેનેજીંગ ડીરેકટર આઇએસ સંજીવ કુમારનો સમાવેશ થાય છે

સામાન્ય વહીવટ વિભાગના ( સર્વિસ ) અધિક સચિવ અશોક દવેએ કરેલા હુક્મમાં જણાવ્યું છે કે, ઓક્સિજનના ઉપલબ્ધ જથ્થાંની મહત્તમ અને તર્કસંગત ઉપયોગિતા સુનિશ્ચિત કરવા તેમ જ રાજયભરમાં ઓક્સિજનનો સ્ટોકનો પુરવઠો, ફાળવણી અને વિતરણનું મોનીટરીંગ કરવા માટે તેમ જ ઓક્સિજનના સ્ટોકના આવક-જાવકની દેખરેખ રાખવા માટે સરકારના નર્મદા, જળસંશાધનો અને કલ્પસર વિભાગના સચિવ ધનજંય દ્રિવદી અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર સંજીવ કુમારની ગુજરાત રાજયમાં ઓક્સિજનના સપ્લાય, ફાળવણી અને વિતરણનું દેખરેખ રાખવા માટે નોડલ ઓફીસર તરીકે નિમણૂંક કરવામાં આવે છે. નોડલ ઓફીસર તરીકેની તેમની કામગીરી દરમિયાન વખતોવખત ભારત સરકાર દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેનો તેમણે અનુસરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. જેના કારણે ઓક્સિજન ટેન્કને એમ્બ્યુલન્સ સ્ટેટસ આપવામાં આવ્યું છે. તેને કોઇ રોકવાની નહીં વગેરે પ્રકારની જાહેરાતો અગાઉ થઇ છે. તેની સાથે ઓક્સિજનનો જથ્થો સીધો જ જે તે સ્થાને પહોંચે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

(12:05 am IST)