Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

માતા હોસ્પિટલ બહાર કરગરતી રહી કે, 'મારા દીકરાને એડમિટ કરોઃ એ પોઝિટિવ છે' પણ તંત્ર તમાશો જોતું રહ્યું

૧૦૮ વગર આવતા દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશ નહિ અપાય તેવુ લાચાર માતાને કહેવામાં આવ્યું હતું: રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલે દીકરાને એડમિટ કરવા નનૈયો ભર્યો

અમદાવાદ, તા.૨૩: કોરોનામાં માનવતા મરી પરીવાર હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને તંત્રના કાન બહેરા અને આંખે અંધાપો આવ્યો હોય તેવુ ખાસ જોવા મળ્યું છે. સરકાર દર્દીઓને મરવા માટે છોડી રહી છે. ત્યારે દર્દીઓની મજબૂરીને અનેક દ્રસ્યો રોજ જોવા મળી રહ્યાં છે. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલની બહાર માતા-પુત્રનો એક એવો વીડિયો જોવા મળ્યો છે, જે જોઈને હતાશા થ ઈ આવે.

અમદાવાદના માતા-પુત્રનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોરોના પોઝિટિવ દર્દી અને તેની માતા શારદાબેન હોસ્પિટલની બહાર રઝળતા જોવા મળ્યા હતા. એક માતા દીકરાને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે ખૂબ પ્રયાસ કર્યા પણ કોઈ ફાયદો થયો ન હતો. ૧૦૮ વગર આવતા દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશ નહિ અપાય તેવુ લાચાર માતાને કહેવામાં આવ્યું હતું. રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલે દીકરાને એડમિટ કરવા નનૈયો ભર્યો હતો. તેમ ઝી ન્યુઝનો અહેવાલ જણાવે છે.

તંત્રનું આ તે કેવુ વલણ કે દર્દી હોસ્પિટલના દરવાજે હોવા છતાં તેને એડમિટ કરવામાં આવી નથી રહ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા એક પરિવારનો ૩૫ વર્ષીય પુત્ર કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે લાચાર માતા કરફ્યૂના સમયમાં દીકરાને લઈને શારદાબેન હોસ્પિટલમાં પહોંચી હતી. પરંતુ તેમને જોઈને હોસ્પિટલના કર્મચારીઓએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. માતા બહાર કરગરી રહી હતી કે, મારા દીકરાને એડમિટ કરો, એ પોઝિટિવ છે. પરંતુ નિષ્ઠુર તંત્રએ દરવાજે જ જવાબ આપ્યો હતો કે, ૧૦૮ એમ્બ્યુલન્સમાં આવનારા દર્દીને જ અહી દાખલ કરાશે.

આવામાં માતાએ વલોપાત કરતા કહ્યું હતું કે, કરફ્યૂ હોવાથી ૧૦૮ મળતી ન હતી. તેથી હું લઈને આવી છું. 'મા'લાચાર બની રસ્તા પર બેસી ગઈ હતી. તો બાજુમાં દીકરો પણ ટળવળીને રસ્તા પર પડ્યો હતો. પણ તંત્રના બહેરા કાને કંઈ અથડાયુ ન હતું. તંત્ર દરવાજા પર ઉભા રહીને મા-દીકરાની વ્યથા તમાશો બનીને જોઈ રહ્યુ હતું.

(10:13 am IST)