Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

દરેકને મતાધિકારનો ઉપયોગ કરવો ખુબ જરૂરી : અનંત દવે

હું એકપણ વાર મતદાન કરવાનું ચૂકયો નથી : લોકશાહીના પર્વની ઉજવણીમાં સામાન્ય મતદારોની સાથે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજ મતાધિકારમાં જોડાયા

અમદાવાદ,તા. ૨૩ : લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં આજના મતદાન દરમ્યાન અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા, એસજી હાઇવે સહિતના વિવિધ મતદાન મથકો પર સામાન્ય મતદારોની સાથે ખુદ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજ પણ આમઆદમીની સાથે મતદાન કરવા કતારમાં નજરે પડયા હતા. જયુડીશરીમાં ઉચ્ચ અને પ્રતિષ્ઠાભર્યો હોદ્દો ધરાવતા હોવાછતાં જજીસ એકદમ સરળ અને સામાન્ય નાગરિકની માફક જ મતદાન કરવા માટે લાઇનમાં ઉભા રહેલા નજરે પડયા હતા., જે ખરેખર નોંધનીય હતું. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં આજે સુપ્રીમકોર્ટના જજ અને મૂળ અમદાવાદના જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવે, ઓરિસ્સા હાઇકોર્ટના જજ કલ્પેશભાઇ ઝવેરી સહિતના ન્યાયમૂર્તિઓ પણ જોડાયા હતા અને પવિત્ર મતદાન કરી અન્ય મતદારોને મતદાનની અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. લોકશાહીના મહાપર્વ દરમ્યાન આજનું મતદાન કરવા સુપ્રીમકોર્ટના જજ જસ્ટિસ એમ.આર.શાહ, ઓરિસ્સા હાઇકોર્ટના જજ જસ્ટિસ કલ્પેશભાઇ એસ.ઝવેરી ખાસ અમદાવાદ આવ્યા હતા. મતદાન કરવા માટે મતદાનથકે એક સામાન્ય નાગરિકની જેમ જ મતદારોની સાથે લાઇનમાં ઉભા રહેલા સુપ્રીમકોર્ટના જજ એવા જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, લોકશાહીનું મહાપર્વ અને મહાઉત્સવમાં દરેક નાગરિકની મતદાન કરવાની પવિત્ર ફરજ છે. કોઇએ એવું ના વિચારવું જોઇએ કે, મારા મતથી શું ફેર પડશે. દરેક મતદાતાના મતથી ઘણો મોટો ફેર પડી શકે છે. તેથી પ્રત્યેક નાગરિકે તેના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ. જસ્ટિસ એમ.આર.શાહે રસપ્રદ વાત કરતાં જણાવ્યું હતું કે,પ્રાપ્ત થયો ત્યારથી લઇ આજદિન સુધી એકપણ વખત મતદાન કરવાનું ચૂકયા નથી. જે મતદારો મત નથી કરતાં, તેઓને સરકાર કે ઓથોરીટી સામે સવાલ ઉઠાવવાનો પણ અધિકાર નથી એ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું, તેથી જ દરેક મતદારે મતદાન કરવુ અનિવાર્ય છે. દરમ્યાન એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવેએ જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે અને દરેક નાગરિકે બંધારણે આપેલા તેના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ. તેમણે તમામ મતદારોને મતદાન કરવા પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. દરમ્યાન ઓરિસ્સા હાઇકોર્ટના જજ જસ્ટિસ કલ્પેશભાઇ એસ.ઝવેરીએ જણાવ્યું હતું કે, આ મારી બંધારણીય ફરજ હોઇ તે પૂર્ણ કરવા હું મતદાન કરવા ખાસ અહીં અમદાવાદ આવ્યો છું. જો બંધારણીય અધિકારોનો હક્ક જોઇતો હોય તો દરેક નાગરિકે મતદાનની તેની પવિત્ર અને બંધારણીય ફરજ નિભાવવી જોઇએ અને મતદાન કરવું જોઇએ. આ જ પ્રકારે હાઇકોર્ટના અન્ય જજીસ અને જયુડીશરીના અન્ય પદાધિકારીઓ પણ મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

(10:07 pm IST)