Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

રૂપાલમાં ઘર ઘર ચાલો સંપર્ક અભિયાનનો થયેલ શુભારંભ

વરદાયિની માતાના દર્શન કરી અભિયાન શરૂ : સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી કાર્યકરો ઘર ઘર સુધી પહોંચાડવાની તૈયારી કરાઈ : જીતુ વાઘાણી

અમદાવાદ,તા.૨૩ : આજરોજ ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સવારે વરદાયિની માતાના મંદિર, રૂપાલ, ગાંધીનગર ખાતે દર્શન કરી ભાજપના ''ઘર ઘર ચલો'' સંપર્ક અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં ''મારું ઘર ભાજપનું ઘર'' મંત્રને ચરિતાર્થ કરતા દરેક કાર્યકર્તા-વિસ્તારકો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પત્ર ''ભારત કે મન કી બાત'' અને કેન્દ્ર સરકારની જનકલ્યાકારી યોજનાઓની માહિતી ઘર-ઘર સુધી પહોચાડશે. વાઘાણીએ ઇલેર્ક્ટ્રોનિક મીડિયાને જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી એટલે અસત્ય અને સત્ય વચ્ચેનો સંઘર્ષ છે. ભારતીય જનતા પાર્ટી હરહંમેશ રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રવાદ, સૌને ન્યાય, વાસ્તવિક્તા, સત્યતા અને 'સૌનો સાથ સૌનો વિકાસ'ને સાથે લઈને સકારાત્મક રાજનીતિમાં માને છે. સમગ્ર દેશમાં કોંગ્રેસની જાતિવાદ, પ્રાંતવાદ, ભાગલાવાદી, પરિવારવાદ અને તુષ્ટિકરણની નકારાત્મક રાજનીતિને જાકારો મળ્યો છે ત્યારે ભાજપા સરકારની પારદર્શકતા, સુશાસન અને જનકલ્યાણની યોજનાઓની માહિતી આ સંપર્ક અભિયાનમાં તમામ કાર્યકર્તાઓ દ્વારા ઘર-ઘર સુધી પહોચાડી પરિશ્રમની પરાકાષ્ટા સર્જશે. ભાજપાની રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા હંમેશા લોકો અને લોક કલ્યાણને કેન્દ્રમાં રાખી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે જેનાથી ભાજપાના 'સર્વજન સુખાય સર્વજન હિતાય'ના મંત્રને એક અદમ્ય વેગ મળી રહ્યો છે.

ઘર ઘર ચલો સંપર્ક અભિયાન દરમ્યાન સમગ્ર ગુજરાતની તમામ ૨૬ લોકસભા ક્ષેત્રમાં આજ થી વિસ્તારકો મંડલ અને વોર્ડમાં આવતા તમામ બૂથો પર જઇ માહિતી પત્રિકા અને સ્ટીકર વિતરણ કરશે. આ પ્રસંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપા હંમેશાં ગુજરાતની જનતા જનાર્દનનો આભારી રહ્યો છે તથા આવનારી લોકસભા ચૂંટણીમાં  ભાજપા સૌનાં સહયોગથી જ્વલંત વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

 

(9:30 pm IST)