Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતને વધારાઈ

વાહન વ્યવહાર વિભાગ દ્વારા લોકોને મોટી રાહતઃ રાજયમાં એક કરોડથી વધારે વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી : હજુ પણ કેટલાક પડકારો

અમદાવાદ,તા. ૨૩: રાજયમાં જૂના વાહનોમાં હાઇસીકયોરીટી નંબર પ્લેટ(એચએસઆરપી) લગાવવાની મુદતમાં રાજયના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે અને હવે તા.૩૦મી એપ્રિલ સુધી આ મુદત લંબાવાઇ છે. રાજય સરકાર દ્વારા છેલ્લી બે વખતથી એચએસઆરપી લગાવવાની મુદત લંબાવવામાં આવી રહી છે પરંતુ તેમછતાં વાહનચાલકોના ધસારાને પહોંચી વળવુ એ ભારે કપરુ કાર્ય થઇ પડયું છે. જો કે, હજુ પણ રાજયમાં એક કરોડથી વધુ જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું કામ બાકી છે. રાજયના જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની અગાઉની તારીખ તા.૧૫મી ફેબ્રુઆરી સુધી નિયત કરાઇ હતી. એ પછી આ મુદત લંબાવી તા.૩૧મી માર્ચ અંતિમ તારીખ જાહેર કરાઇ હતી પરંતુ હજુ સુધી રાજયના મોટાભાગના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું કામ અધૂરું હોવાથી રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા હવે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદત વધુ એક વખત લંબાવી તા.૩૦ એપ્રિલ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આશરે ૨૫થી ૩૦ લાખથી વધુ વાહનોમાં હજુ પણ એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી રહી છે. એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે રાજય સરકાર દ્વારા તમામ આરટીઓ કચેરીમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને શકય એટલી ઝડપથી એચએસઆરપી લગાવવાનંું કામ પૂર્ણ કરવા સૂચના અપાઇ છે પરંતુ તેમછતાં ઓછા સ્ટાફ અને ટાંચા સાધનો વચ્ચે એચએસઆરપીના કપરા કાર્યને પહોંચી વળવુ મુશ્કેલ છે. દરમ્યાન અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું કામ એટલું સરળ નથી. આરટીઓ સત્તાવાળાઓ તેમની રીતે શકય તમામ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ જૂના વાહનોની સંખ્યા જ એટલી બધી છે કે, તેને આટલા ઓછા સમયમાં પહોંચી વળવુ શકય નથી.

ખરેખરે, આરટીઓ સત્તાવાળાઓ અને સરકારી તંત્ર દ્વારા આરરટીઓની સાથે સાથે અન્ય વધારાના કેમ્પ અને વ્યવસ્થા કરી જૂના વાહનોમાં એચએસઆરપી લગાવવા નાગરિકો માટે વધારાની સુવિધા ઉભી કરવી જોઇએ. સાથે સાથે આરટીઓ કચેરીઓ સહિતના આવા સ્થળોએ રવિવાર કે જાહેર રજામાં પણ એચએસઆરપીનું કામ ચાલુ રાખી કાર્યબોજને હળવો કરી શકાય તેમ છે. આ માટે સરકાર અને તંત્રએ ભારે અસરકારકતા અને ઇચ્છાશકિત દાખવવા પડશે.

(10:07 pm IST)