News of Sunday, 23rd February 2020
અમદાવાદ, તા.૨૩ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અને તેમનો મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે તે પહેલાં જ આજે મોટેરા સ્ટેડિયમ ખાતે બહુ ગંભીર બેદરકારી અને ચૂક સામે આવી હતી. જેમાં મોટેરા સ્ટેડિયમના જે ગેટ નંબર-૩ પર થઇને ટ્રમ્પ અને મોદી સહિતના મહાનુભાવોનો કાફલો અંદર જવાનો હતો તે ત્રણ નંબરનો વીવીઆઇપી ગેટ જ આજે ભારે પવનના વાવાઝોડા સાથે એકદમ ધરાશાયી થઇ ગયો હતો. એટલું જ નહી, જોરદાર પવન ફુંકાતાં આ વીવીઆઇપી ગેટની બાજુમાં જ આવેલો પબ્લીક ગેટ પણ તૂટી પડયો હતો. લોખંડની એન્ગલો અને જાળીથી મજબૂત એવો વીવીઆઇપી ગેટ તૂટી પડતાં સ્થાનિક અધિકારીઓ સહિત સૌકોઇમાં દોડધામ મચી ગઇ હતી.
જો કે, આ સમગ્ર દુર્ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા તંત્રએ રાહત અનુભવી હતી. પરંતુ વિશ્વની મહાસત્તા એવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને તેમના પત્ની મલેનિયાની આવતીકાલની મુલાકાત પહેલાં જ આ પ્રકારે તેઓ જયાંથી પસાર થવાના હતા તે વીવીઆઇપી ગેટ તૂટી પડતાં બહુ મોટી અને ગંભીર બેદરકારી સામે આવતાં હવે એક નવો જ વિવાદ સર્જાયો છે. આ સમગ્ર પ્રકરણમાં આટલી હલકી કે મજબૂતાઇ કે સુરક્ષાના પાસાઓનું ધ્યાન રાખ્યા વિના ગેટ તૈયાર કરનારા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ વિરૂધ્ધ આકરા પગલાં લેવાની ઉગ્ર માંગણી પણ ઉઠી રહી છે.
બીજીબાજુ, અમ્યુકો સત્તાવાળાઓ અને મોટેરા સ્ટેડિયમ પર સ્થિત તંત્રના અધિકારીઓએ તાબડતોબ મજૂરો બોલાવી ફરીથી આ ગેટ ભારે મજબૂતાઇ અને સુરક્ષાની ખરાઇ સાથે તૈયાર કરાવવાની ફરજ પડી હતી. આજની આ દુર્ઘટના વખતે ગેટની નીચે કોઇ મજૂર, સુરક્ષા જવાન કે નાગરિક નહી હોવાના કારણે ઇજા કે જાનહાનિની ઘટના નોંધાઇ ન હતી. જેના કારણે તંત્ર અને ફરજ પર હાજર સુરક્ષા તેમ જ પોલીસના જવાનોએ પણ ભારે રાહતનો દમ લીધો હતો. જો કે, જયારે વિશ્વની મહાસત્તા એવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મલેનિયાના આવતીકાલના આગમન પહેલાં જ આટલી મોટી ગંભીર બેદરકારી અને ખામીએ અમ્યુકો, તંત્ર અને આયોજકોની તૈયારી અને આયોજનોને લઇ ગંભીર સવાલો ઉભા કરી દીધા હતા.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સોશ્યલ મીડિયામાં પણ ટ્રમ્પ અને મોદીની આવતીકાલની મુલાકાત પહેલાં જ તેઓ જયાંથી પસાર થવાના હતા, તે ત્રણ નંબરના વીવીઆઇપી ગેટ અને તેની બાજુનો પબ્લીક ગેટ તૂટી પડતાં ભારે હાસ્યાસ્પદ અને ટીકાત્મક કોમેન્ટો થતી જોવા મળી હતી. તો, બંને મહાનુભાવોની સુરક્ષાને લઇને પણ ગંભીર સવાલો ઉઠયા હતા. આ સમગ્ર પ્રકરણમાં જે કોઇ કોન્ટ્રાકટર, આયોજક કે અધિકારીની ખામી હોય તેઓની વિરૂધ્ધ તાત્કાલિક સબકસમાન આકરા પગલાં લેવા પણ માંગણી ઉઠવા પામી હતી.