Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

હવે નવા સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ થશે : નીતિન પટેલ

ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સુધારા બિલ પસાર : જર્જરિત મકાનો પુનઃ વિકાસ ભોગવટો કરનાર ૭૫ ટકા મકાન માલિકની સંમતિથી કરી શકાશે : મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ,તા.૨૨ : ગુજરાત ગ્રુહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો પુનઃ વિકાસ માટેની જોગવાઇ કરવાનાં હેતુથી આ સુધારા વિધેયક લાવવામાં આવ્યુ છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે. આજે વિધાનસભા ખાતે ગુજરાત ગ્રુહ નિર્માણ બોર્ડ સુધારો વિધેયક-૨૦૧૯ને વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે સમગ્ર રાજ્યમાં વિવિધ શહેરોમાં હાઉસિંગ બોર્ડની અનેકવિધ સ્કીમોમાં હજારો લોકો નિવાસ કરે છે. ૨૫ વર્ષથી જુના જર્જરિત મકાનોના નવીનીકરણથી આ પરિવારોને આધુનિક સુવિધાયુક્ત નવા મકાનો ઉપલબ્ધ થશે.  રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ સુધારાનો મહત્તમ લાભ મળશે. હાલમાં ઘરવિહોણા નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા દરે વિવિધ કક્ષાના મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુધારા વિધેયકના પરિણામે હાલમાં હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા નાગરિકોને સસ્તા નવા મોટા સુવિધાયુક્ત મકાનો મળશે અને બિલ્ડરોને બાકીની જમીનનો ધંધાકીય હેતુથી ઉપયોગ કરી તેનો ખર્ચ કાઢી શકાશે તેમ નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ સુધારા વિધેયક ઉપર વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,  આ અધિનિયમ હેઠળ અમુક મકાનોના પુનઃવિકાસની આવશ્યકતા હોવા છતાં આવા મકાનના માલિક અથવા તેનો ભોગવટો કરનારા- ભોગવટેદારોના તમામ સભ્યોની સર્વ  સંમતીના અભાવે આવા મકાનોનો પુનઃવિકાસ કરવો શક્ય નથી.  આવા મકાનોનો સમયસર પૂર્ણ વિકાસ કરવામાં ન આવે તો તેના રહેવાસીઓનું જીવન જોખમમાં મુકાય તેવી સંભાવના રહેલી છે.  આ જોખમ અને મુશ્કેલીઓનાં નિવારણ લાવવાના હેતુથી આ અધિનિયમમાં યોગ્ય સુધારા કરવા જરુરી હતા તેમ તેમણે ઉમેર્યું હતું. ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા આવા મકાનોનો પુનઃ વિકાસના હેતુથી સબંધિત સત્તાધિકારીએ તેના વિકાસ માટે પરવાનગી આપ્યાંની તારીખથી  ૨૫ વર્ષનો સમયગાળો પૂર્ણ થયેલો હોવો જોઈએ.  આ સિવાય સબંધિત સત્તાધિકારીએ આ મકાન ખંડેર હાલતમાં છે અથવા ગમે ત્યારે પડવાની શક્યતા છે. તેનો ભોગવટો કરનાર,  ઉપયોગ કરનાર તેની પાસેથી પસાર થતા રાહદારી અથવા આજુબાજુના મકાન-સ્થળ  માટે કોઈપણ રીતે જોખમકારક છે તેવું જાહેર કર્યું હોય તે જરૂરી છે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સબંધિત સત્તાધિકારી યોગ્ય કાર્યરીતિના પાલન બાદ તે મકાનોના પુનઃવિકાસ માટેની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કરે ત્યારબાદ જો કોઈ મકાન ખાલી ન કરે તો માલિક  ભોગવટદારને મકાન ખાલી કરાવવા એક માસની નોટિસ આપવાની રહેશે.  બોર્ડ અથવા યથાપ્રસંગ વ્યક્તિગત એજન્સીએ પુનઃવિકાસની મુદત માટે માલિકો અથવા ભોગવટો કરનારાને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ પૂરું પાડવું પડશે.  મકાન ખાલી ન કરવાના કિસ્સામાં માલિક-ભોગવટો કરનારને બોર્ડની જમીન પર અનઅધિકૃત ભોગવટેદાર તરીકે ગણવામાં આવશે અને આવા માલિક-ભોગવટો કરનારને સંક્ષિપ્તરૂપે કબજો છોડવો પડશે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શહેરી વિસ્તારની યોજનાઓ વધુ સરળતાથી અને વધુ અસરકારક અમલી બનાવવા મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારની મંજૂરીથી નાયબ મ્યુનિસિપલ કમિશનર, મદદનીશ કમિશનર જેવા બીજા અધિકારીઓને નિમણૂક આપવા અંગેનું સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેને ગૃહે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ હેઠળના વિધેયકમાં સુધારો રજુ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, આ સુધારાથી અનુભવી અધિકારીઓની સેવાઓ રાજ્ય સરકારની મંજૂરીથી નીમણૂક આપી શકાશે. આ સુધારા વિધેયકનો હેતુ સ્થાનિક વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં લઇ પ્રજાલક્ષી કામો, ગુણવતાયુક્ત  સેવાઓ પ્રજાને  મળશે. રાજ્યમાં કોર્પોરેશનને લગતા કાર્યૉનું વધુ સારું અમલીકરણ થાય તે માટે વિશાળ સંપર્ક અને વિવિધ સરકારી વિભાગોના અનુભવ ધરાવતા અધિકારીઓને સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનને સતા મળશે.

(9:59 pm IST)