Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

૧૦-૧૫ ટકા જેટલા લોકો કિડનીની પથરીના દર્દીઓ

એન્ડોયુરોલોજી આંતરરાષ્ટ્રીય સેમીનારનું આયોજનઃ પથરી અને પ્રોસ્ટેટની ૧૮ લાઇવ સર્જરી કરાશે, દુનિયાના દેશોમાંથી ૬૦૦થી વધારે નિષ્ણાંત યુરોલોજીસ્ટ પહોંચ્યા

અમદાવાદ,તા. ૨૩: અમદાવાદ શહેરમાં અત્યારસુધીના સૌથી મોટા એન્ડોયુરોલોજી આંતરરાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૩થી ૨૫ ફેબ્રુઆરી સુધી એસ.જી હાઇવે પરની શેલ્બી હોસ્પિટલમાં યોજાઇ રહેલા એડવાન્સમેન્ટ ઇન અન્ડોયુરોલોજી(એઆઇઇ)ના આ આંતરરાષ્ટ્રીય સેમીનારમાં વિશ્વભરમાંથી ૬૦૦થી વધુ યુરોલોજીસ્ટ ભાગ લેવા આવનાર છે. જે દરમ્યાન પથરી અને પ્રોસ્ટેટની ૧૮ લાઇવસર્જરી કરવામાં આવશે, જેનું પ્રસારણ ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેન્શન હોલમાં કરવામાં આવશે. એન્ડોયુરોલોજીના આ આંતરરાષ્ટ્રી સેમીનારમાં વિશ્વવિખ્યાત લેપ્રોસ્કોપીક અને એન્ડોસ્કોપીક  યુરોસર્જન ડો.કંદર્પ પરીખ ભારતમાં સર્વપ્રથમવાર રોબોટીક ફલેક્સીબલ યુરેટેરોસ્કોપી દ્વારા કિડનીની સ્ટોન સર્જરી કરશે. ડો.કંદર્પ પરીખે જણાવ્યું હતું કે, આજે દસથી પંદર ટકા લોકો કિડનીની પથરીના દર્દથી પીડાઇ રહ્યા છે. હવેના સમયમાં સ્ત્રીઓ અને બાળકોમાં પણ કિડનીની પથરીની સમસ્યા વધતી જતી જોવા મળી રહી છે. શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે તેવા સંજોગોમાં કિડનીની પથરીની શકયતા વધી જાય છે એમ કહેતાં ડો.કંદર્પ પરીખે ઉમેર્યું હતું કે, એઇઇ ૨૦૧૮ ગુજરાત યુરોલોજી એસોસીએશન અને શ્યામ યુરોલોજી હોસ્પિટલ દ્વારા આયોજિત ત્રણ દિવસના આ આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમીનારમાં ભારતમાં પહેલી જ વાર કિડનીની પથરી માટે રોબોટીક ફલેક્સીબલ યુટેરોસ્કોપી દ્વારા સર્જરી કરવામાં આવશે. આજે સમગ્ર વિશ્વમાં કિડનીની પથરીના ઓપરેશન માટે માત્ર સાત રોબોટ્સ ઉપલબ્ધ છે. શરીરમાં કોઇપણ કાપા કે વાઢકાપ વિના લેસરથી સર્જરી અથવા કી હોલ આ સેમીનારનું સૌથી મોટુ આકર્ષણ છે. વળી, અફઘાનિસ્તાન અને યુરોપના યુરોલોજી એસોસીએશન દ્વારા સત્તાવાર રીતે આ સેમીનારને એન્ડોર્સ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સેમીનારમાં સૌપ્રથમવાર બનવા જઇ રહેલી ઘટના વિશે ડો.કંદર્પ પરીખે જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે આઠથી નવ દરમ્યાન ઇન્ટરનેટના માધ્યમથી લોસ એન્જલસથી પણ કિડનીની પથરી અને પ્રોસ્ટેટના ઓપરેશન અંગેની લાઇવ સર્જરીનું નિદર્શન કરવામાં આવનાર છે. તેમણે ઉમેર્યું કે, આ સેમીનારમાં રોબોટીક ફલેક્સીબલ યુટેરોસ્કોપી દ્વારા સર્જરી કરવા માટે ખાસ પ્રકારે વિદેશી રોબોટ મંગાવવામાં આવ્યો છે. રોબોટીક સર્જરીમાં પ્રીસીજનનું લેવલ ઘણું વધી જાય છે અને તે હાથના વાયબ્રેશનને પણ રદૂ કરી દેતો હોવાથી ખૂબ જ ચોકસાઇપૂર્વક, સરળતાથી અને પરિણામલક્ષી સર્જરી કે ઓપરેશન થઇ શકે છે. આજના પ્રસંગે વિદેશથી આવેલા નિષ્ણાત તબીબો ફ્રાંસના ડો.એલિવર ફ્રેકચર, જર્મનીના ડો.સ્વેન લામે, ઇટાલીના ડો.બોઝીની, તુર્કીના ડો. ઝફર અને નેપાળના ડો.પ્રેમ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

એઆઇઇ સેમીનાર સમગ્ર વિશ્વમાં પથરી અને પ્રોસ્ટેટ સંબંધિત રોગોના ક્ષેત્રમાં જે અત્યાધુનિક સંશોધનો થયા છે, તેને પણ સેમીનારમાં ઉજાગર કરશે. આ આંતરાષ્ટ્રીય સેમીનારનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેવાડાના માનવી સુધી આ લેટેસ્ટ ટેકનોલોજી અને રિસર્ચનો લાભ પહોંચે તે જ છે એમ ડો.કંદર્પ પરીખે અંતમાં ઉમેર્યું હતું.

(10:12 pm IST)