Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

આણંદમાં ભેદી સંજોગોમાં પુત્રીના લગ્ન સમયે પિતાનું અપહરણ

આણંદ: આણંદ પંથક નજીક આવેલ સામરખા ચોકડી પાસેથી એક અપહરણની ઘટનાને અંજામ અપાયો હતો.જેમાં પાંચ ઈસમોએ મળી એક પિતાને તેની દિકરીની લગ્નમાં ન જવા દેવા માટે તેના અપહરણનો કારસો રચ્યો હતો. આણંદના ભાલેજ રોડ પર આવેલ એક સોસાયટીના મકાનમાં બે દિવસ યુવતિના પિતાને ગોંધી રાખવામાં આવ્યા હતા.જ્યાં તેમને પાંચ ઈસમોએ ઢોર માર મારી દિકરીના લગ્ન બાદ છોડી દેવામાં આવ્યા હતા.આ ઘટનામાં આણંદ સીટી પોલીસ મથકે પાંચેય ઈસમો સામે અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આણંદમાં આવેલ કોહીનુર સોસાયટીમાં રહેતા ગફુરભાઈ દાઉદભાઈ વોરાના પત્ની થોડા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેમની એક દિકરીને તેના મામાના ઘરે રહેતી હતી. જેના લગ્ન ગફુરભાઈના ધ્યાન બહાર કરાવી દેવાનો પેંતરો રચવામાં આવ્યો હતો. આ ઘટનામાં આણંદના ભાલેજ રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા મુનાફ ગનીભાઈ, ચિરાગ શીરાજભાઈ અને ઈકબાલ અબ્દુલભાઈ તમામ વોરા અને અમદાવાદના બારેજામાં રહેતા ઐયુબ કરીમમીયા અને અબ્બાસભાઈ વ્હોરાએ મળી ૧૯ અને ૨૦મીના રોજ સામરખા ચોકડી પાસેથી સામરકા જવાના રોડ પર ઉક્ત ઈસમોએ ફિલ્મી ઢબે આવી તેઓને જબરજસ્તી એક કારમાં બેસાડયા હતા. આ ઈસમોએ તેમને મુનાફ ગનીભાઈ વ્હોરાના ભાલેજ રોડ પર આવેલ મકાનમાં લઈ જઈ બે દિસવ સુધી ગોંધી રાખ્યા હતા. આ ઈસમોએ તેમને બે દિવસ ગડદાપાટુનો માર માર્યો હતો.જ્યારે તેમની દિકરીના લગ્ન થઈ ગયા બાદ તેમને છોડી મુક્યા હતા. આ ઘટનાની જાણ આણંદ સીટી પોલીસ મથકે થતા બનાવની ફરિયાદ નોંધી પાંચેય ઈસમો સામે પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.જ્યારે ગફુરભાઈના ટેલિફોનીક સંપર્ક દરમ્યાન તેમણે તેમની ઉપરોક્ત આપવિતી જણાવી હતી.

(5:37 pm IST)