Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કાલે શનિદેવ રાશિ પરિવર્તન કરશે : મંદિરોમાં આયોજનો

દૂધેશ્વરના પ્રાચીન શનિમંદિરમાં અનેક કાર્યક્રમો : કાલે શનિમંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જામશે

અમદાવાદ, તા. ૨૩ : આવતીકાલે સૂર્યપુત્ર શનિદેવ પોતાની રાશિ પરિવર્તન કરશે, શનિદેવના રાશિ પરિવર્તનની નોંધનીય અને મહત્વની ઘટનાને લઇ આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરના શનિમંદિરોમાં પણ ભવ્ય પૂજા, મહાઆરતી, યજ્ઞ અને પ્રસાદ સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શનિદેવની રાશિ પરિવર્તનને લઇને શનિમંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જામશે. શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન અને ચમત્કારિક એવા શનિમંદિર, શાહીબાગના શનિમંદિર, થલતેજ વિસ્તારમાં આવેલા વૈભવલક્ષ્મી મંદિર ખાતેના શનિમંદિર, સાલ હોસ્પિટલની સામે આવેલા શનિદેવ મંદિર, સોલારોડ પર આવેલા કાંકરિયા હનુમાનજી ખાતેના શનિદેવ મંદિર, વૈષ્ણૌદેવી સર્કલ ખાતે મારૂતિનંદન મંદિરમાં શનિદેવ મંદિર સહિતના વિવિધ શનિદેવ મંદિરોમાં વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

                     જેમાં  દૂધેશ્વર વિસ્તારના અતિ પ્રાચીન અને ચમત્કારિક એવા શનિમંદિર, ખાતે મહાઆરતી, યજ્ઞ, માલપુઆ-ગાંઠિયાના પ્રસાદ, ૧૦૮ આહુતિ સહિતના કાર્યક્રમોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેંકડો શનિભકતો દર્શનાર્થે ઉમટશે એમ દૂધેશ્વર શનિદેવ મંદિરના પૂજારી  રવિ મહારાજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે તા.૨૪મી જાન્યુઆરી ગુૃવારના રોજ શનિ મહારાજ પોતાની રાશિ બદલશે એટલે કે, શનિ મહારાજ આવતીકાલે સવારે -૪૫ વાગ્યે મકર રાશિમાં પરિવર્તન કરશે. આવતીકાલની ઘટના ધાર્મિક, જયોતિષશાસ્ત્ર અને ખગોળીય દ્રષ્ટિકોણથી પણ બહુ નોંધનીય અને મહત્વની મનાઇ રહી છે. આવતીકાલે શનિદેવની રાશિ પરિવર્તનની ઘટનાને લઇ દૂધેશ્વર સ્થિત અતિપ્રાચીન શનિદેવ મંદિર ખાતે સવારે -૪૫ વાગ્યે મહાઆરતી, શનિદેવને તેલનો અભિષેક-વિશેષ પૂજા અને માલપુઆ-ગાંઠિયાના પ્રસાદ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે મંદિર પ્રાંગણમાં દર્શનાર્થે આવનારા સેંકડો શ્રધ્ધાળુ ભકતો માટે શનિદેવનો વિશેષ મહાયજ્ઞ યોજાશે, જેમાં ૧૦૮ આહુતિ શનિ મહારાજને અર્પણ કરવામાં આવશે.

          આવતીકાલે શનિ મહારાજને દાન, તેલનો અભિષેક, પીપળા-સૂર્યને જળ ચઢાવવુ અને દીપ પ્રગટાવવાથી કષ્ટમાંથી મુકિત મળે છે. દૂધેશ્વર શનિદેવ મંદિરના પૂજારી  રવિ મહારાજે ઉમેર્યું કે, દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિરમાં સતત ૧૩ શનિવાર ભરવાથી તમામ કષ્ટોમાંથી મુકિત મળતી હોવાની અને શનિદેવની કૃપા વરસતી હોવાની માન્યતા હોવાને લઇ અહીં શ્રદ્ધાળુ ભકતોની ભારે ભીડ રહેતી હોય છે. આવતીકાલે પણ મંદિર સત્તાવાળાઓ તરફથી ભકતો માટે દર્શન અને પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજીબાજુ, જ્યોતિષ ગણના અનુસાર, આવતીકાલે, ૨૪ જાન્યુઆરીના રોજ મકર રાશિમાં શનિ પ્રવેશ કરશે. રાશિ પરિવર્તન મોટું અને મહત્વનું માનવામાં આવે છે. પરિવર્તનની સૌથી ખાસ વાત છે કે રાશિ પરિવર્તન મકર રાશિમાં થશે પરંતુ તેની અસર કુંભ રાશિના જાતકો પર વધારે છે. કારણ કે શનિના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરૂ થનાર છે. તેથી કુંભ રાશિના જાતકો પર શનિનો વિશેષ પ્રભાવ રહેશે. શનિ દેવ કર્મના ફળના દાતા છે. તેથી જાતકના જેવા કર્મ હશે તેવું ફળ તેને પ્રાપ્ત થશે. જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ ઠીક નથી તેમને રાશિ પરિવર્તનથી વિપરીત અસર થશે. જ્યારે જેમની કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હશે તેમને સારા પરિણામ જોવા મળશે. આવતીકાલે તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૦થી કુંભ રાશિના જાતકની સાડાસાતીનું પહેલું ચરણ શરૂ થઈ જશે. તેથી જાતકોના કાર્યક્ષેત્ર પર અસર થશે અને સાથે જે તેના પારિવારીક સંબંધો અને સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થશે. તેથી કુંભ રાશિના જાતકોએ દરેક કામ સાવધાનીથી કરવા અને ખાસ કરીને પોતાના કર્મ પર ધ્યાન આપવું.

(8:48 pm IST)