Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

CA તરીકે કામ કરતા મારે સરકારી ઓફિસમાંથી ફાઇલો પાસ કરાવવા માટે અધિકારીઓને લાંચ આપવી પડતી હતીઃ અંદરથી હચમચી ગયેલ સુરતનો યુવક કદમ દોશી દિક્ષા અંગિકાર કરશે

 

Photo: surat_jain-kadam1-640x525

સુરતઃ CA તરીકે પોતાની કંપની ચલાવતા કદમ દોશી એક બાબતે ખૂબ જ નિરાશા અને ઉદાસીનતા અનુભવતા હતા. પોતાની ફાઇલ્સ સરકારી ખાતામાં પાસ કરાવવા માટે તેમને ડગલે અને પગલે લાંચ આપવી પડતી હતી. પરંતુ તેમાં પણ એક દિવસ હદ ત્યારે થઈ જ્યારે પોતાની ફાઇલ સંપૂર્ણ રીતે યોગ્ય હોવા છતા પાસ કરાવવા માટે એક જ દિવસમાં પાંચ-પાંચ અધિકારીને લાંચ આપવી પડી હતી. જેના કારણે 25 વર્ષના આ યુવાન CAનું મન સંસારમાંથી ઉઠી ગયું અને તેમણે એક જ ઝાટકે બધુ છોડીને ધર્મના માર્ગે ચાલવાનું નક્કી કર્યું.

કમદના પિતા સુરતમાં હીરાના વેપારી છે. આર્થિક રીતે સદ્ધર પરિવારમાંથી આવતા હોવા છતા કદમ હવે આગામી 10 ફેબ્રુઆરીના રોજ હજારો લોકોની હાજરીમાં પોતાના ગુરુ પાસેથી દિક્ષા લઈ જૈન મુની બનશે. કદમે જણાવ્યું કે, ‘ CA તરીકે પ્રાઇવેટ કંપની સાથે કામ કરતા મારે સરકારી ઓફિસમાંથી આ ફાઇલ્સ પાસ કરાવવી પડતી હતી. જેના માટે અધિકારીઓને મારે લાંચ આપવી જ પડતી હતી. એક દિવસ એવું બન્યું કે ફાઇલ પાસ કરાવવા માટે એક જ દિવસમાં મારે પાંચ અધિકારીને લાંચ આપવી પડી હતી. જે ઘટનાથી હું અંદરથી હચમચી ગયો હતો. મને પોતાને જ પ્રશ્નો પૂછવા લાગ્યો હતો કે જો આટલું ભણીને પણ મારે આ પ્રકારે ગેરકાયદેસર કામ પર જ આધાર રાખવો પડે તો પછી ભણતરનો મતલબ જ શું રહે?’

કદમ જે પહેલા દેશની ટોચની કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરવા માગતો હતો તેણે અચાનક જ સાધુ બની જવાનું નક્કી કર્યું. તેણે વધુમાં કહ્યું કે, ‘હું સમાજને મદદરુપ થવાના અને સિસ્ટમને સુધારવાના ઘણા સપનાઓ લઈને ભણ્યો હતો. પરંતુ એક પ્રાઇવેટ કંનપીમાં થોડા સમય કામ કરવામાં જ મને સમજાઈ ગયું કે ગમે તેટલો પ્રયાસ કરું પણ મારે આ ખોટા કામ કરવા જ પડશે તેથી મે તેનાથી દૂર થવાનું વિચારી લીધું છે.

કદમ દોષીએ સાધુ બનાવા માટે જ્યારે નોકરી છોડી ત્યારે તેમનો વાર્ષિક સેલેરી રુ. 6 લાખ હતો જ્યારે તેમના પિતાનો હીરા ઉદ્યોગ વાર્ષિક 1.5 કરોડનું ટર્નઓવર ધરાવે છે. ધો. 12માં 90% મળ્યા બાદ 2014માં કદમે પોતાનો CAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મહત્વનું છે કે આ જ દિવસે કદમની પિતરાઇ બહેન વિદિષા દોષી(28) પણ જૈન સાધ્વી બનાવાની દિક્ષા લેશે. તેમના પિતા રમણિકભાઈ કચ્છના આડેસર ગામ ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે. ધો. 12 પછી જ વિદિષાએ અભ્યાસ છોડીને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવાનું શરુ કરી દીધું હતું.

જ્યારે કદમ જણાવ છે કે ‘હું જૈનિઝમના મૂળ સિદ્ધાંતમાં માનતો હતો પરંતુ ક્યારેય સાધુ બનવા અંગે વિચાર્યું નહોતું. મારે એક ગર્લફ્રેન્ડ પણ હતી અને બીજા સામાન્ય યુવાનની જેમ જ મારા પણ પ્લાન હતા. પરંતુ એક વર્ષ સુધી CAની પ્રેક્ટિસ કર્યા પછી મને ખરો આનંદ અને સત્યની શોધની ઇચ્છા થઈ. જે મને સાધુ જીવનમાં જ મળશે.’ જૈન મુનિ તરીકે દીક્ષા લેતા પહેલા દરેક વ્યક્તિએ 47 દિવસ સુધી ધ્યાન સાધના કરવી પડે છે તે અંગે કદમે કહ્યું કે આ દિવસોમાં મને ખરો આનંદ મળ્યો છે.

(5:13 pm IST)