Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ચાલુ બસે મોબાઇલ ઉપર વાત કરતો વિડિયો આવતા આક્રોશ

રાજકોટ બીઆરટીએસનો વિડિયો વાયરલ થયો : અંબાજી પાસે લકઝરી બસના ચાલક દ્વારા મોબાઇલ પર વાત કરતાં સર્જેલા અકસ્માતમાં ૩૩ના મોતની યાદ તાજી

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ બીઆરટીએસની બેદરકારીથી બે ભાઈઓના મોતને હજુ ૨૪ કલાક થયા છે ત્યારે રાજકોટમાં બીઆરટીએસ બસનો ડ્રાઇવર ચાલુ બસે મોબાઇલ ફોનમાં વાત કરતો વીડિયો વાઇરલ થતાં લોકોમાં જોરદાર આક્રોશ ફેલાયો હતો. રાજકોટવાસીઓમાં બીઆરટીએસ બસના ડ્રાઇવરની ચાલુ બસે આવી ગંભીર બેદરકારી અને બેજવાબદારીભર્યા વલણને લઇ ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. એક બાજુ તંત્ર દ્વારા ડ્રાઇવરે સલામતી અને શિસ્તના પાઠ ભણાવવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ બેફામ અને બેદરકાર ડ્રાઇવરો ટ્રાફિકની કે વાહનચાલકોની ઐસી તૈસી કરીને ચાલુ બસે બિન્દાસ ફોન પર વાત કરે છે. ચાલુ બસે મોબાઇલ ફોન કરતા વીડિયોને લઇ હજુ થોડા સમય પહેલાં અંબાજી પાસે લકઝરી બસના ચાલક દ્વારા મોબાઇલ પર વાત કરતાં સર્જેલા અકસ્માતમાં ૩૩ ના મોતની યાદ તાજી કરાવી દીધી છે. સમગ્ર વિવાદ વકરતાં રાજકોટ મહાનગરપાલિકા પણ ચર્ચા અને વિવાદમાં સપડાઇ હતી.

                       લોકોએ તાત્કાલિક ડ્રાઇવર સામે કાયદાનુસાર પગલાં લેવા ઉગ્ર માંગણી કરી હતી. અમદાવાદમાં બીઆરટીએસ બસ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં બે સગા ભાઇઓના મોતના બનાવને પગલે રાજકોટ મહાનગરપાલિકા પણ જાણે હરકતમાં આવી ગઇ હતી. ખાસ કરીને રાજકોટ બીઆરટીએસ બસના ડ્રાઇવર દ્વારા ચાલુ બસે મોબાઇલ પર વાત કરતો વીડિયો વાયરલ થતાં સ્થાનિક પ્રજાજનોમાં ઉગ્ર આક્રોશ સામે આવ્યો હતો. જો ડ્રાઇવરના પ્રકારે ચાલુ બસે મોબાઇલ પર વાત કરાતાં બસમાં બેઠેલા મુસાફરોની સલામતી અને સુરક્ષાનું શું અને જો કોઇ ગંભીર અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની તેવા ગંભીર સવાલો જાગૃત નાગરિકોએ ઉઠાવ્યા હતા. સમગ્ર વિવાદ વકરતાં રાજકોટ મનપાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેને જણાવ્યું હતુ કે, આડેધડ બસ ચલાવનાર ચાલકો સામે પગલાં લેવામાં આવશે. માટે ચેરમેને તાત્કાલિક બેઠક બોલાવવા મનપા કમિશનરને સૂચન કર્યું હતુ અને તેના અનુસંધાનમાં સાંજે મનપા ખાતે સીટી બસ અને બીઆરટીએસ બસને લઈને મહત્વની બેઠક મળી હતી. રાજકોટમાં અકસ્માતના બનાવ બને તે માટે સ્ટાફને રૂરી તાલીમ આપવાની વાત પણ કરાઇ હતી. તો ઉપરોકત વાયરલ વીડિયોને લઇ ડ્રાઇવર વિરૂધ્ધ પગલાં લેવા પણ માંગ ઉઠી હતી.

(8:41 pm IST)