Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહેસુલી ક્ષેત્રે ક્રાંતિ, ટેકનોલોજીની મદદથી અશકય બન્યુ શકયઃ વિજયભાઇ

વિલંબ નિવારીએ તો જ વિકાસ શકય બનેઃ ગાંધીનગરના સમારંભમાં મુખ્યમંત્રીનું ઉદ્દબોધન

વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ સહીતની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મહેસુલમાં ક્રાંતિ માર્ગદર્શક કાર્યક્રમ :ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં મહેસુલમાં ક્રાંતિ વિષયક કાર્યક્રમ યોજાયો'તો જેમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી , નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ સહીતના ઉપસ્થિત રહયા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને રાજય સરકારે અશકયને શકય બનાવ્યું છે.

(અશ્વિનભાઇ વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. રર :  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને અશકયને શકય બનાવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વહિવટનો મુખ્ય આધાર મહેસૂલ તંત્ર છે. મહેસૂલી પ્રક્રિયા લોકહિત માટે હોય, લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય પરંતુ કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજીયુકત વ્યવસ્થાઓથી લાવવામાં ગુજરાતે દેશનું દિશાદર્શન કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત મહેસૂલમાં ક્રાંતિ માર્ગદર્શક કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ સહિત રાજય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ આ અવસરે ઉપસ્થિત હતા.

મુખ્યમંત્રીશ્રીએ  મહેસૂલ વિભાગની જૂની પૂરાણી અને  આંટીદ્યૂંટી વાળી પ્રક્રિયાઓથી નિર્ણયોમાં થતા વિલંબ અંગે માર્મિક શૈલીમાં ટકોર કરતાં કહ્યું કે, વિલંબ તોડીયે તો જ વિકાસ શકય બને છે. વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનું કામ ગુજરાતે પાર પાડયું છે. 

લોકશાહીમાં લોકો અનુભવે કે આ મારી સરકાર છે, મારો પણ અવાજ સાંભળનારૃં કોઇ છે. લોકોની શાસન પ્રત્યેની માનસિકતા બદલાય તેવા જનહિત દાયયિત્વથી સરકારો ચાલવી જોઇએ. સાથોસાથ દેશ પણ વિકાસ ગતિ તરફ ચાલવો જોઇએ એવો મત પણ તેમણે વ્યકત કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગે એમ પણ જણાવ્યું કે, આઝાદી પછીની બહુધા સરકારોએ માત્ર સરકાર જ ચલાવી, દેશ ચલાવવા પર ધ્યાન અપાયુ નહી. પરિણામે લોકશાહી પ્રત્યેની લોકોની શ્રધ્ધા ડગી ગઇ હતી. હવે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકાર ચલાવવા સાથે દેશ ચલાવવા તરફ પણ નક્કર કદમ માંડયા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમય એવો પણ હતો કે લોકોના મનમાં સરકારો પ્રત્યે એવી વૈચારિક માનસિકતા બની ગઇ હતી કે આનાથી અંગ્રેજો સારા હતા.

આપણે લોકોની એ નબળી વૈચારિક માનસિકતા બદલી છે. લોકોને કેન્દ્રસ્થાને રાખીને, લોકહિત હૈયે રાખીને નિર્ણયો ત્વરાએ કર્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી સેવાઓમાં અદ્યતન ટેકનોલોજીના વિનિયોગ અને હવે ફેઇસ લેસ સિસ્ટમથી ઓનલાઇન એપ્રુવલની પહેલની સરાહના કરી હતી.

તેમણે કહ્યું કે, આવા સરળીકરણથી વિકાસની નવી ઊંચાઇઓ સર કરીને લોકશાહી શાસનમાં અમલદારશાહી, લાલફિતાશાહી ખતમ કરી પારદર્શી, નિર્ણાયક અને ત્વરિત-ઝડપી સરકારની પ્રત્યેક માનવીને અનૂભુતિ કરાવવાની આપણી નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર લોકોના હિતો માટે ઇઝ ઓફ લિવીંગ માટે જરૂર જણાયે કાયદાઓમાં સુધારા-કાયદા બદલવા માટે ઓર્ડિનન્સ લાવવા પણ ખૂલ્લા મને તૈયાર છે. રાજય સરકારે ૮ જેટલા જૂના જડ કાયદાઓમાં બદલાવ લાવીને લોકો માટે પારદર્શી અને જવાબદેહ વ્યવસ્થા વિકસાવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી કાયદાઓમાં NA ઓનલાઇન, આઇ ઓરા-ર, જમીન રેકોર્ડ ઓનલાઇન, ૭/૧ર ઉતારા ઓનલાઇન જેવી લોકોને સીધી સ્પર્શતી સેવાઓના સરળીકરણને રાઇટ  ટાઇમ ફોર રાઇટ જોબ ગણાવ્યો હતો.

તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે, આવી સેવાઓના સરળીકરણ માટે કોઇ આંદોલનો થયા ન હતા, રજૂઆતો કે માંગણીઓ ન હતી આવી પરંતુ આ સરકારે સામાન્ય માનવી પણ સરકાર સાથે સીધો સંવાદ કરી શકે. તેને કોઇનેય પાઇ-પૈસો આપ્યા વિના દ્યેર બેઠાં સેવાઓ ઓનલાઇન મળે તેવા જવાબદારીયુકત શાસનભાવથી આવા ક્રાંતિકારી નિર્ણયો અને પગલાં લીધા છે.

 મુખ્યમંત્રીશ્રીએ સામાન્યમાં સામાન્ય, ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ખેડૂત સૌની અપેક્ષા સંતોષાય એવા સરળ વહિવટની દિશામાં સરકાર હજુ વધુ નવતર કદમ ઉઠાવશે તેવી તત્પરતા દર્શાવી હતી.

 તેમણે ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે દેશ-દુનિયામાં પ્રસ્થાપિત થવામાં આ મહેસૂલમાં ક્રાંતિકારી નિર્ણયો- ટેકનોલોજીયુકત આયામો નવું સિમાચિન્હ બનશે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર રાજયના મહેસૂલી તંત્રને આ ભગીરથ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

મહેસૂલમાં ક્રાંતિમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ વિગેરે હાજર રહ્યા હતાં.

(4:12 pm IST)