Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સરકાર અનામત મુદ્દે ૩ મહિનામાં સર્વે કરાવેઃ ગુજરાત સરકાર રપ વર્ષથી શું ડમરૂ વગાડે છે? હાર્દિક પટેલ

ગુજરાત ''પાસ''ના કન્વીનરો ઓબીસી આયોગની મુલાકાતે : હાર્દિક પટેલની આગેવાનીમાં રપ સભ્યોની ટીમ ઓબીસી પંચની કચેરી પહોંચી : પાટીદાર અનામત અંગે રજૂઆત

રાજકોટ તા.રરઃ પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે ગુજરાતભરના પાસના કન્વિનરો સાથે ઓબીસી આયોગની મુલાકાત લેશે. આ પહેલા તેણે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં સાથે હાર્દિકે એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે પાટીદાર સમાજ તરફથી આ છેલ્લો પ્રયાસ છે. હવે પછી આરપારની લડાઇ લડવામાં આવશે.

હાર્દિક પટેલે જણાવ્યું કે ઓબીસી કમિશન સમક્ષ સર્વે માટે કરીશું રજુઆત, ગુજરાતમાં આનંદીબેન સરકારે ૧૦ ટકા ઇબીસીની જાહેરાત કરી હતી. આ વખતે હાઇકોર્ટે સુચન કર્યું હતું કે આ અનામત કોઇપણ પ્રકારના સર્વે વગર આપવામાં આવ્યું હોવાથી તેને માન્ય રાખી શકાય નહીં. સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે સર્વે બાદ જ અનામત આપી શકાય. ગુજરાતમાં સર્વે થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. સર્વેમાં ખબર પડી જશે કે પાટીદાર સમાજ કેટલો દુઃખી અને પછાત છે. સર્વેની માંગણી સાથે જ અમે ઓબીસી કમિશન સમક્ષ રજૂઆત કરીશું. અમે પંચને વિનંતી કરીશું કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સર્વે કરીને તમે  જ નકકી કરો કે પાટીદાર સમાજને અનામતની જરૂર છે કે નહીં., 'આનંદીબેનનું અનામત બંધારણીય ન હતું.', આનંદીબેને જે અનામતની જાહેરાત કરી હતી તે સર્વે કર્યા વગર જ કરી હતી. આથી તે બંધારણીય ન હતું. અમે ઇચ્છીએ છીએ કે દસ લોકોની સમિતિ બનાવવામાં આવે, આ સમિતિમાં પાટીદારના પાંચ લોકોનો પણ સમાવેશ કરવામાં આવે જેનાથી ઇમાનદારીથી સર્વે કરી શકાય.

મહારાષ્ટ્ર સરકારે અનામતની જાહેરાત કરી એટલે સરકાર સફાળી જાગી છે અને નાટકો શરૂ કર્યા છે. ગુજરાત સરકાર ૨૫ વર્ષથી ડમરૂ વગાડે છે ? અમારે કોઇ નાટકો નથી જોઇતા, અમે ઇચ્છીએ છીએ કે ત્રણ મહિનામાં સર્વે થાય અને અનામતની જાહેરાત કરવામાં આવે, ૨૫ વર્ષના યુવકો સરકાર સામે લડી રહ્યા હોવાથી સરકારને પોતાનો અહંકાર નડે છે. અમે ૪૫ મી વખત રજુઆત કરી રહ્યા છીએ. આ અમારી છેલ્લી રજુઆત છે. બાદમાં અમે આરપારની લડાઇ લડીશું.

ઓબીસી કમીશન ઇચ્છે તો તમામ જ્ઞાતિઓનો સર્વે કરે. ઓબીસી આયોગના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટ સતાના મદનમાં લાલ લાઇટ લઇને ફરી રહ્યા છે. આ કમિશન અમારી રજુઆતને શા માટે ગંભીરતાથી નથી લેતુ તે વિચારવા જેવો પ્રશ્ને છે. જો પંચને એવું લાગે તે અન્ય કોઇ સમાજનો પણ સર્વે કરવાની જરૂર છે તો અમને તેની સામે કોઇ જ તકલીફ નથી.

વિપક્ષ અનામત માટે પ્રાઇવેટ બિલ લાવે.'' અમે બે દિવસમાં પ૦૦ જેટલા પાટીદારો વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મળવા જવાના છીએ. અમારી માંગણી છે કે પાટીદારોને અનામત માટે વિપક્ષ પ્રાઇવેટ બિલ લાવે. ભાજપ જો આ બિલને સમર્થન નહીં કરે તો સાબિત થઇ જશે કે ભાજપ પાટીદારો વિરોધી છે.''

(4:43 pm IST)