Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

'જોવા જેવી દુનિયા' વચ્ચે દાદા ભગવાનના જન્મદિનની ઉજવણી

ઓડિયો વિઝયુઅલ ઈલ્યુઝનના માધ્યમથી કર્મનું જ્ઞાન પ્રસ્તુત : મેગ્નેટીક મોડેલ દ્વારા જ્ઞાનવિધિ પ્રદર્શિત : પૂ. દિપકભાઇના સત્સંગમાં મેદની ઉમટી

રાજકોટ તા. ૨૨ : ગાંધીનગર નજીક અડાલજ ત્રિમંદિરના આંગણે 'જોવા જેવી દુનિયા'ના પ્રદર્શનીય સર્જન સાથે ઉજવાય રહેલ ૧૧ દિવસીય મહોત્સવ દરમિયાન આજે તા. ૨૨ ના રોજ અક્રમ વિજ્ઞાનના પ્રણેતા પૂ. દાદા ભગવાનનો ૧૧૧ મો જન્મ દિવસ ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો.

કારતક સુદ ચૌદસના પાવન દિવસે અનંત અવતારની શોધના ફળરૂપે, દાદા ભગવાનને સ્વરૂપનું જે જ્ઞાન લાધ્યું હતું, તે જ જ્ઞાન જગતમાં ફેલાવવાની તેમની ભાવના હતી. તેઓ કહેતા કે બહાર જે દેખાય છે તે અંબાલાલ પટેલનો દેહ છે, અને તેમાં પ્રગટ થયા તે દાદા ભગવાન જન્મજયંતીના દિવસે પૂર્ણ સ્વરૂપે પ્રગટ હોય છે, તેથી આ દિવસે તેમના દર્શનનું અનેરું મહત્વ છે.

આજે સવારે ૮ થી ૯ પૂ. દાદા ભગવાનનુ પુજન, વિધિ અને આરતી કરવામાં આવેલ. બાદ વર્તમાન જ્ઞાની પુરુષ, પૂ.શ્રી દીપકભાઈના ઉપસ્થિતીમાં  કીર્તન ભકિતના ગુંજન વચ્ચે સર્જાતા અલૌકિક વાતાવરણમાં જ્ઞાનીની વીતરાગતાના ચરણ સ્પર્શ દર્શન અપૂર્વ લ્હાવો લોકોએ મેળવ્યો હતો.

અડાલજના ત્રિમંદિરના પ્રાંગણમાં, પૂ. દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતી નિમિતે ઊભી થયેલી 'જોવા જેવી દુનિયા'માં થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક દ્વારા સુખી જીવન જીવવાની કૂંચીઓ તો મળે જ છે. સાથે સાથે પોતાની અંદરની રહસ્યમય દુનિયા જોવાની અંતર્મુખી દ્રષ્ટિ પણ પ્રાપ્ત થાય છે.

આ મહોત્સવના ૧૧ દિવસોમાં રોજેરોજ દાદા ભગવાન પરિવારમાં યોજાતી સત્સંગ પ્રવૃત્ત્િ।ની ઝાંખી મળે છે, જેમાં દાદાશ્રીની રેકર્ડ થયેલી જીવંત વાણીને સંકલિત કરીને પ્રકાશિત થયેલ આપ્તવાણી પુસ્તકનું પારાયણ એક મહત્વનો ભાગ છે.

ગઇકાલે સવારે અંદરની જોવા જેવી દુનિયાને સમજવા પૂ. દીપકભાઈ દ્વારા આપ્તવાણી-૧ પુસ્તકના અંતઃકરણ વિષય ઉપર પારાયણ થયું હતું. આ સત્સંગમાં જયાં ભૌતિક વિજ્ઞાન નથી પહોંચી શકયું તેવા અંતઃકરણ એટલેકે મન-બુદ્ઘિ-ચિત્ત-અહંકારની રહસ્યમય સમજણ આધ્યાત્મિક વિજ્ઞાનની દ્રષ્ટિએ મળી હતી.

આ અંતઃકરણની પ્રેકિટકલ ઉદાહરણ દ્વારા સમજણ થીમ પાર્કમાં અક્રમ લેબ પ્રદર્શનમાંથી પણ મળે છે. આ ઉપરાંત, સાંજે પૂજયશ્રીએ પ્રતિક્રમણ વિષય ઉપર સત્સંગ કર્યો હતો. પ્રતિક્રમણ એટલે દોષ થાય કે તરત જ સ્વીકાર કરી, ભાવથી મનમાં માફી માંગી લેવી, અને ફરી આવી ભૂલ ના થાય તેવો નિર્ણય કરવો.

આ સત્સંગમાં પૂજયશ્રીએ બહાર દેખાતા ભૂલભરેલા વર્તનની સામે દોષ થતાની સાથે તરત જ થતાં ભાવ-પ્રતિક્રમણ કરીને કર્મોથી મુકત થવાનો રસ્તો દર્શાવ્યો હતો. સાચા દિલથી કરેલા પસ્તાવાના અલૌકિક અનુભવો પણ પૂજયશ્રી સાથેના પ્રશ્નોત્ત્।રી સત્સંગમાં વ્યકત થયાં હતા.

અહીં ૨૩ જેટલા મલ્ટીમીડિયા શોને જોવા આવતા રોજના ૫૦૦૦૦થી વધુ મુલાકાતીઓ દ્વારા અદભુત પ્રતિસાદ મળ્યો છે.

અક્રમ લેબ એટલે ભૌતિક વિજ્ઞાનના કુલ ૩૩ પ્રયોગો દ્વારા સરળ શૈલીમાં, આધ્યાત્મના ગૂઢ રહસ્યો જેવાકે સ્થૂળ શરીર, સૂક્ષ્મ અંતૅંકરણ, આત્મા-અનાત્માના ગુણધર્મો વગેરેનું તેમજ વ્યવહારિક જ્ઞાનનું એક વૈજ્ઞાનિક પ્રદર્શન જેમાં વ્યવહારના ગૂંચવાડામાં સમાધાનકારી પ્રેકિટકલ સમજણ પણ મળે છે.

અક્રમ લેબમાં શરીરની પાચનક્રિયાને મશીનરી મોડેલ દ્વારા, ભ્રાંતિનું સ્વરૂપ ઓડિયો વિઝયુઅલ ઈલ્યુઝનના માધ્યમથી, તેમજ કર્મની થીયરી પાણીની ટાંકીના મોડેલ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આત્માનું શરીરમાં સ્થાન, અરીસા જેવું સ્વરૂપ, આત્માના અવ્યાબાધ, ટંકોત્કીર્ણ વગેરે ગુણોને  વૈજ્ઞાનિક પ્રયોગોના માધ્યમથી દર્શાવ્યા છે.

દાદાશ્રીના વ્યવહારજ્ઞાનના સૂત્રો જેવાકે, અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવ્હેરની સમજણ કાઉન્ટર-પુલી, કાઉન્ટર-વેઈટના મોડેલથી અને અસરકારક એકટીવીટીના માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે.

અહીં પૂજય દાદાશ્રીના ૨ કલાકના આત્મ-અનાત્માના ભેદવિજ્ઞાનના પ્રયોગ, એટલેકે જ્ઞાનવિધિની પ્રક્રિયા પણ એક મેગ્નેટિક મોડેલ દ્વારા દર્શાવી છે. આ આંતરિક અને બાહ્ય અમૂલ્ય 'જોવા જેવી દુનિયા' માણી શકાય છે, વિના મૂલ્યે !

(3:16 pm IST)