Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી રૂપાણી કરશે રેફકોલ્ડ ઈન્ડીયા 2018નુ ઉદ્ઘાટન : ખોરાકનો બગાડ નિવારવા - 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા જેવા વિષયો પર થશે ચર્ચા : હજ્જારો મુલાકાતીયો ઉમટશે

ગાંધીનગર :  કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રીફર ટ્રાન્સપોર્ટેશન અંગે 3 દિવસનુ આંતરરાષ્ટ્રિય પ્રદર્શન અને કોન્ફરન્સનુ ઉદ્ઘાટન ગુરૂવારે વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે પરષોત્તમ રૂપાલા (ભારત સરકારના કૃષિ, પંચાયત રાજ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન) તથા મનસુખ માંડવીયા (ભારત સરકારના માર્ગ પરિવહન, ધોરીમાર્ગો, શિપીંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ વિભાગના પ્રધાન) હાજરી આપશે.

ગાંધીનગરમાં તા. 22થી 24 નવેમ્બર 2018 દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન કમ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયા 2018 ભારતના અને વિશ્વના રેફ્રિજરેશન ઉદ્યોગના સહયોગીઓ એક જ સ્થળે એકત્ર થશે અને ખોરાકનો બગાડ નિવારવા માટેની ટેકનોલોજીમાં ઈનોવેશનની તાતી જરૂરિયાત હલ કરીને તથા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અંગેના પ્રયાસને ઘનિષ્ઠતાથી અનુસરી આ બાબતે ચર્ચા હાથ ધરશે.

આ ઉપરાંત આ સમારંભમાં બાયર સેલર મીટ દ્વારા કોલ્ડ ચેઈન અને રેફ્રીજરેશન ઉદ્યોગના સપ્લાયરો અને ગ્રાહકો મળશે. જંગી પ્રદર્શન અને કોન્ફરન્સ એક આદર્શ પ્લેટફોર્મ બની રહેશે અને વિદેશથી આમંત્રિત કરયેલા સંભવિત બાયર્સ સાથે વ્યૂહરચનાઓ વિકસાવવા અને જોડાણો માટે નેટવર્કિંગની તકો પૂરી પાડશે. 
રેફકોલ્ડ ઈન્ડીયાને વિવિધ  વિવિધ આંતરરાષ્ટ્રિય સંસ્થાઓનો અને યુનાઈટેડ નેશન્સ એનવાયરોમેન્ટ પ્રોગ્રામ, (UNEP), આઈઆઈઆર, અમેરિકન સોસાયટી ઓફ હીટીંગ રેફ્રીજરેટીંગ એન્ડ એસી એનજીનિયર્સ (ISHRAE), ગ્લોબલ ફૂડ ચેઈન કાઉન્સિલ (GFCC) જેવી વૈશ્વિક સંસ્થાઓનો સહયોગ હાંસલ થયો છે. આ પ્રતિષ્ઠીત સંસ્થાઓ કોન્ફરન્સમાં વિવિધ બેઠકોનું આયોજન કરશે, જેમાં થયેલો પરામર્શ ભાગ લેનાર માટે માર્ગદર્શક બની રહેશે.

નફો નહીં કરતી સંસ્થા  ISHRAE દ્વારા  NurenbergMesse India ના સહયોગથી યોજાયેલ આ સમારંભ ટેકનિકલ વર્કશોપ્સ, પેનલ ચર્ચાઓ અને જ્ઞાનવર્ધક થીમ આધારિત પરિસંવાદોથી સભર રહેશે. આ ઉદ્યોગની દુનિયાભરની જાણીતી વ્યક્તિઓમાં સામેલ થશે. કોલ્ડ ચેઈન અને રેફ્રીજરેશન ઉદ્યોગના આ અનોખા અને બૃહદ સમારંભમાં UNEPની આગેવાની હેઠળનો  ‘Montreal Protocol and Cold Chain’ સેમિનાર ધ્યાનાકર્ષક બની રહેશે.

ભારત તથા ચીન, જર્મની અને અમેરિકા જેવા દેશોમાંથી આ ત્રણ દિવસની કોન્ફરન્સમાં 100 થી વધુ એક્ઝીબીટર્સ સામેલ થશે અને 10 હજારથી વધુ મુલાકાતીઓ સામેલ થાય તેવી સંભાવના છે. કોલ્ડ સ્ટોરેજ, ફૂડ, ડેરી અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સહયોગીઓ આ સમારંભમાં સામેલ થશે. ફ્રાન્સ, તુર્કી અને ચીનની ડેલિગેશન પણ આ જંગી શોની મુલાકાતે આવશે. મધ્ય પ્રદેશ, ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનો પણ આ સમારંભમાં સામેલ થશે. મુલાકાતીઓને રેફ્રીજરેશન સેક્ટરના આધુનિક ઈક્વિપમેન્ટસ અને ટેકનોલોજી જોવા મળશે.

ભારતના અર્થતંત્રમાં ખેતી મહત્વની ભૂમિકા ભજવે છે અને 58 ટકા જેટલી વસતિ કૃષિ અને સંલગ્ન ઉદ્યોગો સાથે જોડાયેલી છે. દેશના એકંદર મૂલ્યવર્ધનમાં આ ક્ષેત્રએ 2016-17માં 17.4 ટકાનું યોગદાન આપ્યું હતું. આમ છતાં આ ઉદ્યોગ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. અપૂરતી માળખાગત સુવિધાઓને કારણે ખેત પેદાશોનો બગાડ થાય છે. મજબૂત વેરહાઉસ અને કોલ્ડચેઈન સપ્લાય સિસ્ટમ દ્વારા આ બગાડને નિયંત્રિત કરી શકાય અને ખેડૂતોની આવકમાં અનેકગણો વધારો કરી શકાય તેમ છે.

સુસંકલિત લોજીસ્ટીક્સ સપોર્ટ અને ખેડૂતોના ખેતરોની નજીક કોલ્ડ સ્ટોરેજમાં મૂડી રોકાણ કરવાથી નાશવંત ચીજોનુ જીવનચક્ર લંબાશે. ઉદ્યોગોના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અપૂરતા કોલ્ડચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે 40 ટકા જેટલી પેદાશોનો બગાડ થાય છે. વધુમાં પ્રોસેસ્ડ ફૂડ ઈન્ડસ્ટ્રીની માંગ પણ વધતી જાય છે, જેના કારણે ભારતમાં કોલ્ડ સ્ટોરેજ ચેઈન્સની જરૂરિયાત ઉભી થઈ છે.

બિઝનેસના દ્રષ્ટિકોણમાં ભારે પરિવર્તનને કારણે ભારતની કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રી ખૂબ ઝડપથી આગળ ધપી રહી છે. અગાઉ ઉત્પાદન વધારવા તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું. હવે જે તે ખેત પેદાશો અંગે બજારમાં બહેતર સંગ્રહ વ્યવસ્થા અને પરિવહનની સુવિધાઓ અંગે વિચારવામાં આવે છે. આથી કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ હવે સપ્લાય ચેઈન ઈન્ડસ્ટ્રીનો આંતરિક હિસ્સો બની રહ્યો છે, જેમાં રેફ્રીજરેટેડ સ્ટોરેજ અને રેફ્રીજરેટ ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ થાય છે. આથી બગાડ ઘટાડવા માટે તમામ બિઝનેસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું આવશ્યક બની ગયું છે.

આ વચન અને સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ભારતના કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીએ વર્ષ 2017 થી 2022 દરમ્યાન 19 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દરથી વિકાસ હાંસલ કરવાની ધારણા વ્યક્ત કરી છે.

ભારતમાં ખેત પેદાશો માટે અસરકારક કોલ્ડ સોલ્યુશન્સની તાતી જરૂરિયાત છે. જે દ્વારા ખેતીની ચીજોને તેમના ઉત્પાદન કેન્દ્રોથી વપરાશના ઉત્પાદન કેન્દ્રો સુધી પહોંચાડીને નાશવંત ચીજોના મૂલ્યમાં થતો ઘટાડો નિવારી શકાય.

(10:30 am IST)