Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બારડોલી તાલુકામાં 113 દિવસ બાદ કોરોનાના માત્ર 2 કેસો નોંધાયા

કોરોના સંકર્મીતોની સંખ્યા 1596 થઈ : અત્યાર સુધીમાં 38ના મોત થઈ ચૂક્યા છે.

બારડોલી તાલુકામાં 113 દિવસ બાદ કોરોનાના માત્ર 2 કેસો નોંધાતા તંત્ર અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તાલુકામાં આ સાથે જ કોરોના સંકર્મીતોની સંખ્યા 1596 થઈ છે જ્યારે અત્યાર સુધીમાં 38ના મોત થઈ ચૂક્યા છે.

બારડોલી શહેર અને તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં જુલાઈ માસથી કોરોનાની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો જોવા મળ્યો હતો. દરમ્યાન ઓક્ટોબરમાં ધીમે ધીમે આ આંકડામાં ઘટાડો નોંધાય રહ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી લાગી રહ્યું છે. બારડોલીમાં 20 થી 25 કેસો રોજિંદા નોંધાતા હતા. જેમાં પણ ચાલુ માસમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે. તાલુકામાં 113 દિવસ બાદ માત્ર બે જ કેસો નોંધાયા છે. જેમાં બારડોલીના જય ગોપાલ એપાર્ટમેન્ટમાં 52 વર્ષના પુરુષ અને પાટીદાર જિનમાં આવેલ મેરુ શિખર એપાર્ટમેન્ટમાં 37 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. 2 જુલાઈના રોજ બારડોલીમાં 1 કેસ નોંધાયા બાદ કેસોની સંખ્યા સતત વધી રહી હતી.

(11:00 pm IST)